Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક પૂ. ભાનુમા કક્કડ બ્રહ્મલીન

કાલે સાંજ સુધી પાર્થિવદેહ દર્શનાર્થે રખાશેઃ સાંજે ૬.૩૦ વાગ્યે અંતિમયાત્રાઃ શનિવારે પ્રાર્થનાસભા

પ્રથમ તસ્વીરમાં પૂ. ભાનુમાનો ફાઇલ ફોટો, બીજી તસ્વીરમાં પૂ. ભાનુમાનો પાર્થિવ દેહ તથા તેમના પરિવારજનો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલ પૂ. જલારામ પ્રાર્થના મંદિર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા., ર૮: રાજકોટના મોટી ટાંકી ચોક નજીકના ભાવીકોના આસ્થાના પ્રતિક સમાન પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક પૂ.સંત ભાનુમા આજે વ્હેલી સવારે બ્રહ્મલીન  થતા ભાવીકોમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે કાલે સાંજ સુધી પૂ. જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે. જયારે અંતિમયાત્રા કાલે સાંજે ૬.૩૦ વાગ્યે નિકળશે.

મમ્મીબાઇ ભગવાનજી સોમૈયા ટ્રસ્ટ સંચાલીત પૂ.જલારામ પ્રાર્થના મંદિરની સ્થાપના કરનાર પૂ. ભાનુમા વર્ષોથી જલારામ પ્રાર્થના મંદિરમાં સંત માતા તરીકે સેવા આપતા હતા. સંત તરીકેનું જીવન વિતાવતા હતા.  તા. ૧૬-૧૧-૧૯૬૯ના રોજ પૂ. જલારામ પ્રાર્થના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

પૂ. જલારામ પ્રાર્થના મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પૂ. ભાનુમાની અધ્યક્ષતામાં યોજવામાં આવતા હતા. પૂ. જલારામ પ્રાર્થના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો દર્શન અને પૂજનનો લાભ લઇને ધન્યતા અનુભવતા હતા.

પૂ. ભાનુમાના પાર્થીવ દેહને પૂ.જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે સાંજ સુધી દર્શનાર્થે રાખવામાં આવેલ છે. જયાં ભાવીકો શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયા છે. કાલે સાંજે ૬.૩૦ વાગ્યે તેઓની અંતિમયાત્રા નિકળશે. જેમાં તેમના પરીવારજનો તેમજ ભાવીકો મોટી સંખ્યામાં જોડાશે.

પૂ.ભાનુમાની પ્રાર્થનાસભા તા.૩૦-૧ર-ર૦૧૭ને શનીવારે સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસસ્થાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર પાસે, મોટી ટાંકી ચોક નજીક, રોકડીયા હનુમાન મંદિરવાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે તેમ જાણીતા આર્કિટેકટ શ્રી કિશોરભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

કરાંચીવાળા સ્વ.જેષ્ઠારામ ભગવાનજીભાઇના સુપુત્રી તથા સ્વ.શ્રી તુલસીદાસ નાનજીભાઇ કક્કડના ધર્મપત્ની પૂ.જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક સંત માતા પૂ.ભાનુમા (ઉ.વ.૯૧) તે શ્રી દિલીપભાઇ તુલસીદાસ કક્કડ, પોર્ટુગલ નિવાસી જાણીતા ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ, શ્રી અશોકભાઇ તુલસીદાસ કક્કડ, કોકીલાબેન તુલસીદાસ કકકડ અને શ્રીમતી રૂપાબેન હિતેશભાઇ રાયચુરાના માતુશ્રી તા.ર૮ના રોજ બ્રહ્મલીન  થયા છે. (૪.૧૩)

(3:38 pm IST)