રાજકોટ તા. ૨૮: શહેર ક્રાઇમ બ્રાંચે બે નેપાળી તસ્કરને ઝડપી લઇ ચાર ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. આ બંને તસ્કરે છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ શહેરમાં ૧૬ મકાનોના તાળા તોડી ચોરીઓ કર્યાનું પણ કબુલ્યું છે. પોતાના વતનના લોકો જે સોસાયટી, એપાર્ટમેન્ટમાં ચોકીદારી માટે કે કાર વોશ માટે જતાં હોય તેની પાસેથી બંધ મકાનોની માહિતી મેળવી રાતે રેકી કરી ચોરી કરી નેપાળ, મુંબઇ, બેંગ્લોર મોજશોખ કરવા ભાગી જતાં હતાં. રૂપિયા ખુટે એટલે પરત રાજકોટ આવી ચોરી કરવાની ટેવ આ બંને ધરાવે છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ ઘરફોડ ચોરીઓ, ચિલઝડપ, વાહન ચોરી, લૂંટ, છેતરપીંડી જેવા ગુનાઓના ભેદ ઉકેલવા પ્રયત્ન કરી રહી હોઇ એ દરયિમાન હેડકોન્સ. અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા, કોન્સ. પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી પ્રવિણ બસંત શાહી (ઉ.૩૫-રહે. હુડકો ચોકડી પાસે તિરૂપતી સોસાયટી-૨, મુળ લાલુ ગામ તા. રાનીખેત નેપાળ) તથા ભરત રણબહાદુર શાહી (ઉ.૨૩-રહે. તિરૂપતી સોસાયટી-૪, મુળ માલકોટતા. કુમલ જી. કાલીકોટ નેપાળ)ને કોઠારીયા રોડ તિરૂપતીના પાણીના ટાંકા પાસેથી ચોરીના સાધનો ડીસમીસ, વાંદરી પાનુ, મોબાઇલ ફોન, રોકડા રૂા. ૧૨૩૦૦ સાથે પકડી લીધા હતાં. પુછતાછમાં આ બંનેએ ૧૨ચોરીઓ કબુલી હતી.
આ બંને શખ્સ પોતાના વતનના ઓળખીતા લોકો સાથે રહે છે અને શહેરની અલગ અલગ વિસ્તારની સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટમાં ચોકીદાર તથા કાર વોશ કરવા જતાં માણસો પાસેથી બંધ મકાનની માહિતી મેળવી રાત્રીના રેકી કરી બાદમં ડીસમીસ, લોખંડના સળીયા, વાંદરી પાનાથી તાળા તોડી અંદર પ્રવેશી કબાટ-તિજોરી તોડી રોકડ-દાગીના ચોરી કરવાની ટેવ ધરાવે છે. ચોરી કરી નેપાળ, બેંગ્લોર, મુંબઇ જઇ મોજશોખ કરી એકાદ વર્ષ બાદ ફરી રાજકોટ આવી ચોરીઓ કરવાની આદત ધરાવે છે.
આ બંનેએ અઢી વર્ષ પહેલા અન્ય શખ્સો પ્રવિણ, ભરત, ભરત, અનિલ, બુધ્ધી, અક્કલના સાળ, ધીરા સાથે મળી પત્રકાર સોસાયટીમાં મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી, બીગ બાઝાર પાછળ સાઇનગરમાં મકાનમાં, બે ર્ષ્વાપ હેલા શ્રેયસ સોસાયટી એરપોર્ટ ફાટક નજીક મકાનમાં, વૈશાલીનગરમાં, મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે, સાધુ વાસવાણી રોડ ત્રિવેણી સોસાયટીમાં, શારદાનગરમાં આકાશવાણી ચોક પાસે, સાઇનગર, ટેલીફોન એક્ષચેન્જ પાછળ મોમ્બાસા પાર્કમાં, જલારામ-૨ ઉમીયા ચોકમાં, ૧૫૦ રીંગ રોડ મોન્ટાબેલા એપાર્ટમેન્ટમાં અને અઢી વર્ષ પહેલા મોરબી સનાળા રોડના મકાનમાં ચોરી કર્યાનું કબુલ્યું છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ.આર. ગોંડલીયા, ટીમના પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, વાલભાઇ ડાભી, હેડકોન્સ. અમિતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.