Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વેલનાથપરાના દૂધના ધંધાર્થી કમલેશે ઘરમાં ઘુસી સગીરા પર નિર્લજ્જ હુમલો કર્યો

તેણીએ દેકારો કરતાં સગા આવી જતાં ભાગી ગયોઃ ઓગણીસ દિવસ પહેલાની ઘટનામાં વાલીએ ફરિયાદ કરતાં બી-ડિવીઝન પોલીસે પોક્‍સો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં અને દૂધનો ધંધો કરતાં શખ્‍સે એક સગીરા ઘરે એકલી હોવાનું જાણી ઘરમાં ઘુસી તેની આબરૂ લેવાના ઇરાદે નિર્લજ્જ હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભોગ બનેલી પંદર વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી મોરબી રોડ વેલનાથપરા-૨૧માં રહેતાં કમલેશ મેપાભાઇ વરૂ નામના દૂધનો ધંધો કરતાં શખ્‍સ વિરૂધ્‍ધ નિર્લજ્જ હુમલો, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ફરિયાદીએ જણાવ્‍યું હતું કે તેઓ ગત ૫/૨ના રોજ ધંધાના કામે બહાર હતાં અને ઘરના બીજા સભ્‍યો બહારગામ ગયા હતાં ત્‍યારે પંદર વર્ષની દિકરી ઘરે એકલી હોઇ કમલેશ વરૂએ એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી જઇ તેણીના શરીરે ગુપ્‍ત ભાગે અડપલાઓ કરી જાતીય હુમલો કર્યો હતો. દિકરીએ દેકારો મચાવતાં બાજુમાંજ સગા હોઇ તે આવી જતાં કમલેશ ભાગી ગયો હતો. પણ તે ભાગ્‍યો ત્‍યારે સગા તેને ઓળખી ગયા હતાં. આ મામલે માથાકુટ થતાં અને મારામારી થતાં સામ-સામે ફરિયાદ થઇ હતી. જે તે વખતે ફરિયાદ કરવામાં મોડુ થઇ ગયું હોઇ હવે પોલીસને જાણ કરતાં પીઆઇ આર. જી. બારોટ, હિતેષભાઇ ગઢવી સહિતે ગુનો નોંધ્‍યો હતો. કમલેશ વિસ્‍તારમાં દૂધ દેવા આવતો હોઇ તે કારણે તે સગીરાને ઓળખતો હતો અને બનાવને દિવસે સગીરાને એકલી ભાળી ઘરમાં ઘુસી જઇ નિર્લજ્જ હુમલો કર્યો હતો. તેમ ફરિયાદમાં જણાવાયું હતું.

(3:23 pm IST)