૨૩ નવેમ્બર ૧૯૨૬ના રોજ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પુટ્ટપર્થી ગામમાં એક સાધારણ પરિવારમાં જન્મેલા સત્યનારાયણ રાજુએ ૨૦ ઓક્ટોબર ૧૯૪૦ના રોજ ૧૪ વર્ષની ઉંમરે પોતાને શિરડીના સાઈ બાબાનો અવતાર જાહેર કર્યા હતા. જયારે પણ તેઓ શિરડી સાઈ બાબા વિશે વાત કરતા ત્યારે તેઓ તેમને ‘પોતાનું પૂર્વ શરીર' કહેતા. તેમનો જન્મ સોમવાર કારતક માસ, અક્ષય વર્ષ આદ્રા નક્ષત્રમાં, પૂર્ણિમા પછી ત્રીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં થયું. તે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં એક અત્યંત દુર્ગમ અવિકસિત ગામ, પુટ્ટપર્થીના શ્રી પેડુ વેંકપ્પારાજુ અને માતા ઈશ્વરમ્માના આઠમા સંતાન હતા. નવજાત શ્રી સત્યનારાયણ (સત્ય) નો જન્મ થયો તે જ ક્ષણે, ઘરમાં રાખવામાં આવેલા તમામ સંગીતનાં સાધનો આપોઆપ વાગવા લાગ્યા હતા.!
ભગવાન સત્યનારાયણની પૂજાનો પ્રસાદ મેળવીને બાળકનો જન્મ થયો હતો, તેથી બાળકનું નામ સત્યનારાયણ રાખવામાં આવ્યું હતું. શ્રી સત્યનારાયણ (સત્ય) એ તેમનું પ્રારંભિક શિક્ષણ પુટ્ટપર્થીની પ્રાથમિક શાળામાં લીધું હતું. આઠ વર્ષની નાની ઉંમરથી સત્ય એ સુંદર ગીતો રચવાનું શરૂ કર્યું. તેઓ બાળપણથી જ પ્રતિભાશાળી હતા. સાથીઓની માંગ પર ચિત્રાવતીના કિનારે ઊંચા ટેકરા પર આવેલા આમલીના ઝાડ (કલ્પવૃક્ષ)માંથી વિવિધ પ્રકારના ફળો અને મીઠાઈઓનું સૃજન તેઓ કરતા. એ આમલીનું ઝાડ આજે પણ મોજૂદ છે. આ ઘટનાઓની સત્યતા માટે પુરાવા ઉપલબ્ધ છે, તેમ છતાં શંકા અને સત્ય વચ્ચે હંમેશા સંઘર્ષ થતો હતો.
૨૩ મે, ૧૯૪૦ ના રોજ, ૧૪ વર્ષની વયે, ‘સત્ય' (બાબા) એ તેમના અવતારની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ‘હું શિવશક્તિ સ્વરૂપ, શિરડી સાઈનો અવતાર છું.' એમ કહીને તેણે મુઠ્ઠીભર ચમેલીના ફૂલ હવામાં ઉછાળ્યા, જે જમીન પર પડતાં જ તેલુગુમાં ‘સાઇબાબા' લખેલું મળી આવ્યું હતું. ૨૦ ઓક્ટોબર ૧૯૪૦ના રોજ તેમણે પોતાનું ઘર છોડ્યું અને કહ્યું કે ભક્તોનો પુકાર તેમને બોલાવી રહ્યો છે અને તેમના જીવનનો મુખ્ય હેતુ તેમની રાહ જોઈ રહ્યો છે. કહેવાય છે કે, ૧૪ વર્ષની ઉંમરે તેમણે પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કરી દીધું. જયારે તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને વીંછીએ ડંખ માર્યો હતો અને તે કોમામાં ચાલ્યા ગયા હતા. જયારે તેઓ કોમામાંથી બહાર આવ્યા ત્યારે તેમનું વર્તન બદલાઇ ગયું હતું. તેમણે ખાવા-પીવાનું બંધ કરી દીધું. તેમણે પોતાનો બધો સમય શ્લોકો અને મંત્રોના જાપ કરીને પસાર કરવાનું શરૂ કર્યું.
પ્રારંભિક જીવનમાં, સત્યનારાયણ રાજુને ‘અસામાન્ય પ્રતિભા' ધરાવતા પરોપકારી બાળકનું નામ આપવામાં આવ્યું હતું. નાટક, સંગીત, નૃત્ય અને લેખન પ્રતિભા ધરાવતા આ બાળકે અનેક કવિતાઓ અને નાટકો લખ્યા છે. તેઓ ગાયક તરીકે પણ ઓળખાયા અને તેમના ભજનોની ઘણી સીડી બહાર પડી હતી. સત્ય સાઈ બાબાના અનુયાયીઓએ ૧૯૪૪માં પુટ્ટપર્થીમાં એક નાનું મંદિર બનાવ્યું હતું અને ૧૯૫૦માં એક વિશાળ આશ્રમ બનાવવામાં આવ્યો હતો જે ‘પ્રશાંતિ નિલયમ' તરીકે તેમનું કાયમી કેન્દ્ર બન્યું હતું. ‘પ્રશાંતિ નિલયમ' આશ્રમ, જેનું ઉદઘાટન બાબા દ્વારા ૧૯૫૦માં તેમના ૨૫માં જન્મદિવસે કરવામાં આવ્યું હતું. આજે આ આશ્રમ આધ્યાત્મિક જ્ઞાન અને જાગૃતિના કેન્દ્ર તરીકે વિકસિત થયો છે. જયાં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી વિવિધ ધર્મ અને માન્યતાઓને અનુસરતા લાખો ભક્તો અવતાર શ્રી સત્યસાઈ બાબાના દિવ્ય દર્શન કરવા આવતા હતા અને આજે પણ સમાધીના દર્શને જાય છે.
જો કોઈ પણ ચમત્કારોમાં વિશ્વાસ ન કરે તો પણ બાબાને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે આદર સાથે સ્વીકારી શકાય છે. તેમના સિદ્ધાંતો પણ હંમેશા રાષ્ટ્રના હિતને પોષતા. તેમનું માનવું હતું કે, જેઓ અલગ-અલગ ધર્મોમાં માને છે (હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે), પોતપોતાના ધર્મોનું પાલન કરે છે, તેઓએ સારા માનવી બનવું જોઈએ. સાઈ મિશનને સફળ બનાવવા માટે જરૂરી છે કે બાળકોને નાનપણથી જ એવું વાતાવરણ મળે કે જેમાં તેઓને સારા સંસ્કાર મળે અને તેઓ પાંચ માનવીય મૂલ્યો (સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા) ને આત્મસાત કરીને તેમના પાત્રમાં ઢાળી સારા નાગરિક બની શકે. તો જ બાળકોમાં પરિવર્તન આવશે અને તેમના વર્તનને જોઈને તેઓ જે બાળકોના સંપર્કમાં આવશે તેમના જીવનમાં પરિવર્તન આવશે. સત્યસાઇબાબા કહેતા કે, વ્યક્તિ ગમે તે ધર્મમાં માનતો હોય, તેણે રાષ્ટ્રીય ધર્મનું અત્યંત નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. વ્યક્તિએ હંમેશા અન્ય ધર્મોનું સન્માન કરવું જોઈએ. હંમેશા તમારા દેશનો આદર કરો, હંમેશા તેના કાયદાનું પાલન કરવું જોઇએ. ભગવાન એક છે પણ તેના જુદા જુદા નામ છે. ગરીબ, જરૂરિયાતમંદ અને બીમાર લોકોને કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવી જોઈએ. સત્ય, આધ્યાત્મિક પ્રેમ, સારા આચરણ, શાંતિ અને અહિંસાનાં મૂલ્યોનું પાલન કરવું જોઈએ અને તેનો ફેલાવો કરવો જોઈએ.
શ્રી સત્ય સાઇ બાબાના સેવાકીય કાર્યોને મુક્ત અવાજે વખાણવામાં આવે તેટલા ઓછા છે. તેમની સમાજ સેવા અતુલ્ય રહી છે. આધ્યાત્મિક ઉપદેશોની સાથે સાથે બાબાએ સામાજિક ક્ષેત્રે પણ અનેક સેવાકીય કાર્યો કર્યા. પુટ્ટપર્થીમાં એક નાની હોસ્પિટલના નિર્માણથી જે શરૂ થયું તે આજે ૨૨૦ બેડની સુપર સ્પેશિયાલિટી સત્ય સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર મેડિકલ સાયન્સમાં વિકસ્યું છે. તેઓએ તેમની માતા ઈશ્વરમ્માના નામ પર ટ્રસ્ટ સ્થાપવાની સાથે, તેમણે સાઈ યુથ ઈન્ડિયા, સાઈ બાલ વિકાસ, ઈન્ટરનેશનલ સાઈ ઓર્ગેનાઈઝેશન, સાઈ બુક્સ એન્ડ પબ્લિકેશન ડિવિઝન, વ્હાઇટ ફિલ્ડ હોસ્પિટલ, સત્ય સાઈ મેડિકલ ટ્રસ્ટ, શ્રી સત્ય સાઈ હાયર સેકન્ડરીની પણ સ્થાપના કરી છે. સમગ્ર દેશમાં કાર્યરત શાળા સત્ય સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગની ત્રણ મુખ્ય શાખાઓ પ્રશાન્તિ નિલયમ, અનંતપુરમ, વૃંદાવન માં છે. જે અંતર્ગત કલા, વિજ્ઞાન, ગણિત, ભાષા, એમબીએ, ટેક્નોલોજી, પીએચડી, રમતગમત અને સંશોધન માટે મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલુંજ નહીં સમગ્ર ભારતમાં વિનામુલ્યે ઓપન હાર્ટ સર્જરી માત્ર સત્ય સાઈ બાબાની હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. દેશનો એવો કોઈ ખૂણો નથી જયાં બાબાના સેવા કાર્યે પોતાની ઓળખ ઉભી ન કરી હોય. બાબાની હોસ્પિટલોમાં ભારત અને વિદેશના નામાંકિત તબીબો મફત સેવાઓ આપે છે. બાબાના આ સામાજિક કાર્યોની યાદી અનંત છે. તેમના સમાજ કલ્યાણના કાર્યોમાં મહિલાઓ, યુવતીઓ, યુવાનો, ગ્રામીણ વર્ગ, નબળા આર્થિક વર્ગ, અપંગ, અનાથ, નિઃસહાય અને વૃદ્ધો માટે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, આંધ્રપ્રદેશમાં ૨૦મી સદી દરમિયાન ખૂબ જ ખરાબ દુકાળ પડ્યો હતો, ત્યારે શ્રી સત્યસાઈ બાબાએ લગભગ ૭૫૦ ગામડાઓ માટે પાણીની સુંદર વ્યવસ્થા કરી હતી.
શ્રી સત્ય સાઈએ તેમના જીવનકાળ દરમિયાન તેમજ તેમના આધ્યાત્મિક સ્વરૂપમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને તહેવારોની મધુર શ્રેણીને સુંદર રીતે જાળવી રાખી હતી. બાબાના આશ્રમમાં દરેક તહેવાર, દરેક ધર્મના તહેવારો સમાન ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા હતા. બાબા પોતે દરેક ધર્મ દ્વારા આયોજિત સાંસ્કૃતિક ઉત્સવોમાં ભાગ લેતા હતા. બાબાના આ કાર્યક્રમોમાં દેશની દરેક જાણીતી હસ્તી આમંત્રિત મહેમાન બની છે.
શ્રી સત્ય સાઈ બાબાએ ભારતમાં ત્રણ મંદિરો પણ સ્થાપ્યા, જેમ કે મુંબઈમાં ધર્મક્ષેત્ર, હૈદરાબાદમાં શિવમ અને ચેન્નાઈમાં સુંદરમ. આ ઉપરાંત, સત્ય સાઈ કેન્દ્રો વિશ્વના ૧૧૪ દેશોમાં સ્થિત છે. શ્રી સત્ય સાઈ બાબાએ ૧૯૫૭માં ઉત્તર ભારતમાં મંદિરોની મુલાકાત લીધી હતી અને ૧૯૬૮માં તેમની એકમાત્ર વિદેશ યાત્રા પર યુગાન્ડા ગયા હતા. સત્ય સાઈ બાબાને ૧૯૬૩માં ચાર ગંભીર હાર્ટ એટેક આવ્યા હતા. ૨૦૦૫ થી, બાબા વ્હીલચેર પર હતા અને નાદુરસ્ત તબિયતને કારણે ભાગ્યે જ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. વર્ષ ૨૦૦૬માં, લોખંડના સ્ટૂલ પર ઊભેલો વિદ્યાર્થી લપસી ગયો હતો અને તે અને સ્ટૂલ બંને બાબા પર પડ્યા હતા ત્યારે બાબાને હિપમાં ફ્રેક્ચર થયું હતું. એ પછી તેઓ પોતાના ભક્તોને કાર માંથી અથવા પોર્ટ ખુરશી દ્વારા દર્શન આપતા હતા.
તમામ ધર્મોના લોકો આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાઈના શિષ્ય હતા. જયારે તેમના ભક્તો તેમને સાચા હૃદયથી યાદ કરે છે ત્યારે તેમના ફોટા માંથી આપોઆપ વિભૂતી નીકળવા લાગે છે. દેશ-વિદેશમાં તેમનું વિશાળ સામ્રાજય સ્થાપિત છે. સત્ય સાઈ બાબા લગભગ ૬૦ વર્ષોથી દેશના સૌથી પ્રભાવશાળી આધ્યાત્મિક નેતાઓમાંના એક રહ્યા હતા. તેમણે લગભગ ૧૭૮ દેશોમાં ધાર્મિક પ્રચાર કેન્દ્રો બનાવ્યા. શ્રી સત્ય સાઈ બાબાએ લોકોને સંદેશ આપ્યો કે દરેક વ્યક્તિએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ, દરેકને મદદ કરવી જોઈએ અને કોઈનું નુકસાન ન કરવું જોઈએ. શ્રી સત્ય સાઈ બાબા તેમના શિષ્યોને સમજાવતા રહ્યા કે તેઓએ તેમનો ધર્મ છોડવાની જરૂર નથી. તેમના ભક્તોની સંખ્યામાં વધારો થયો. તેમના ઘરે દર ગુરુવારે ભજનો થવા લાગ્યા, જે પાછળથી દરરોજનો ક્રમ બની ગયો. સત્ય સાઇ બાબા ઉપર અનેક પુસ્તકો, સીડી પણ બહાર પડ્યા છે.
૨૮ માર્ચ ૨૦૧૧ના રોજ ૮૬ વર્ષીય સાઈ બાબાને હૃદય અને શ્વસન સંબંધી સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત સતત બગડતી રહી. જયારે હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લો બ્લડ પ્રેશર અને લીવર ફેલ થવાના કારણે તેમની હાલત વધુ ચિંતાજનક બની હતી. તેના શરીરના લગભગ તમામ ભાગો પર દવાઓ બિનઅસરકારક સાબિત થવા લાગી. ૨૪ એપ્રિલે સવારે ૭.૪૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભલે આજે બાબા દેહ સ્વરૂપે નથી પણ તેઓ સદાય લોકોની વચ્ચે હાજર છે તેવો અહેસાસ ભક્તોને નિરંતર થયાજ કરે છે. જય સાઇરામ..
અમદાવાદ અને રાજકોટની શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પીટલ.. ‘માનવ સેવા એજ માધવ સેવા'
અમદાવાદ અને રાજકોટ ખાતે હ્રદયના દર્દીઓની નિઃશુલ્ક સર્જરી અને સારવાર કરતી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પીટલ નો એક જ ઉદ્દેશ છે ‘માનવ સેવા એજ માધવ સેવા'. હોસ્પીટલનું માનવું છે કે, શ્રી સત્ય સાઈ બાબાના નિર્દેશ મુજબ, આરોગ્ય, શિક્ષણ અને પાણી એ કોઈપણ માનવીના મૂળભૂત અધિકારો છે અને જાતિ, સંપ્રદાય અને ધર્મના ભેદભાવ વિના દરેકને સમાન પ્રદાન કરવું જોઈએ. તદુપરાંત, અમે કોઈપણ રીતે અમારા આદરણીય દર્દીઓને નિઃશુલ્ક કાર્ડિયાક સર્જરી કરીને બંધાયેલા નથી. વાસ્તવમાં અમે બાબાની કહેવતને અનુસરીને સમાજની નિઃસ્વાર્થ સેવા કરીને નમ્રતાપૂર્વક યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ પ્રશાંતિ મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે, જે એક સેવાભાવી સંસ્થા છે જે છેલ્લા ૨૨ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને મફત કાર્ડિયાક સારવાર આપીને માનવતાની સેવા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જયાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ૨૦,૦૦૦ થી વધુ દર્દીઓનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. હોસ્પીટલ દ્વારા માત્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જ નહીં પરંતુ રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજયોમાં પણ હાર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને શોધીને મદદનો હાથ લંબાવીને આગળ વધે છે. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આફ્રિકાના તાન્ઝાનિયામાં પણ કેમ્પ યોજાયો હતો. આ હોસ્પીટલમાં સારવાર અને શસ્ત્રક્રિયાઓ તદ્દન મફત હોવા છતાં, ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાઇ નથી. અહિંના તમામ સાધનો ભારતની કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલની સમકક્ષ છે. ટ્રસ્ટે ઓડિશા, રાજસ્થાનની રાજય સરકારો સાથે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા છે અને મધ્યપ્રદેશ અને બિહાર દરેક રાજયોમાંથી ૧૦૦૦ કાર્ડિયાક કેસોનું તદ્દન મફત સંચાલન પણ કરશે.
હું કર્ણાટકમાં ફરી જન્મ લઈશ.. સત્ય સાઇ બાબા
જયારે ૧૯૬૩ માં તેમને અનેક હાર્ટ એટેક આવ્યા ત્યારે સ્વસ્થ થવા પર, તેમણે જાહેરાત કરી કે તેઓ કર્ણાટક રાજયમાં પ્રેમ સાઈ બાબા તરીકે પુનર્જન્મ લેશે. શ્રી સત્ય સાઈ એ ગુરુ પૂર્ણિમાના અવસર પર ભવિષ્યવાણી કરી હતી કે તેઓ ફરીથી જન્મ લેશે. તેમણે તેના જન્મ સ્થળ અને તેના આગામી અવતારનું નામ પણ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ કર્ણાટકના માંડ્યા જિલ્લાના ગુણપાર્થી ગામમાં જન્મ લેશે અને પછી તેના અવતારનું નામ પ્રેમા સાઈ રાખવામાં આવશે.
રાજકોટના સાઇ ભક્ત ઉદયભાઇ માંકડ પર અનેકવાર વરસી છે સાઇકૃપા..!
વર્ષોથી જસદણ રહેતા અને છેલ્લા ૨ વર્ષ થી રાજકોટ સ્થાયી થયેલા ઉદયભાઇ માંકડ શ્રી સત્ય સાઇ બાબાના અનન્ય ભક્ત છે. છેલ્લા ૧૮ વર્ષથી તેઓ બાબાની નિત્ય સેવા કરતા આવ્યા છે. તેમના જીવનમાં સત્ય સાઇ બાબાની અનેકવાર કૃપા વરસી છે અને હજી પણ તે સતત અનુભવાય છે. તેઓ જયારે જસદણમાં રહેતા ત્યારે વર્ષ ૧૯૬૬-૬૭ માં તેમન પિતા ભાવનગરથી શ્રી સત્ય સાઇ બાબાનો એક ફોટો લાવ્યા હતા. પૂજા વખતે સવા પાંચ રૂપિયાના પેંડા તેઓ ધરતા. એ વખતથી બાબા ના ફોટા માંથી નિત્ય વિભૂતિ તેમના ઘરે પડે છે. આજે પણ તે શિલશિલો ચાલુ જ છે. ઉદયભાઇ માંકડ કહે છે, મારા બે દિકરા ભણવામાં ખુબજ નબળા હતા, નાપાસ થાય અથવા પાસિંગ માર્ક આવતા. એ વખતે મેં બાબા ને પત્ર આપ્યો હતો. તેઓ ભક્તોના પત્રો લેતા. એ પછી મારા બંને દિકરાને ૮૦ ટકા ઉપર માર્ક આવવા લાગ્યા. આજે બંને સરકારી નોકરી કરે છે અને બંને પરિણિત છે. ઉદયભાઇ દર વર્ષે ૩ થી ૪ વખત પુટપર્થી જાય છે ત્યાં ૧૫ થી ૧૬ દિવસ રોકાઇ સેવા આપે છે. તેમને મેઇન સભા ખંડની જવાબદારી સોંપાઇ છે. તેમના માર્ગદર્શન નીચે ૫૦ થી ૬૦ લોકો સેવા આપે છે. ઉદયભાઇ કહે છે, અમે જસદણમાં રહેતા એ વખતે ફ્રિઝ નહોતા ત્યારે સવારે એક લિટર દૂધ લઇ તેમાંથી અડધો લિટર વાપરી બાકીનું ઢાંકી રાખી દેતા ત્યારે સાંજે આખી તપેલી દૂધ થી ભરાયેલી મળતી. ઉદયભાઇ કહે છે, માત્ર શ્રધ્ધા હોવી જરૂરી છે. આ કોઇ ચમત્કાર નથી બાબા કહે છે તેમ આ તેઓ આવ્યા તેનું વિઝિટિંગ કાર્ડ છે. આજે પણ ઉદયભાઇ માંકડ અને તેનો આખો પરિવાર બાબાની વિભૂતિ લઇને પછી જ દરેક કાર્ય કરે છે.
પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯