Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

પશ્ચિમ રેલવેના જીએમ આલોક કંસલે રાજકોટ રેલ્વે ડીવીઝનના વિકાસ કાર્યોની સમીક્ષા કરી

રાજકોટ, તા., ૨૧: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે આજે રાજકોટ મંડળની મુલાકાત લીધી હતી. જનરલ મેનેજર શ્રી કંસલે રાજકોટ સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓની ચકાસણી કરી હતી. તેમણે પ્લેટફોર્મ પર સ્થિત કેટરિંગ સ્ટોલ, પેસેન્જર વેઇટિંગ રૂમ, વોટર કુલર, હેરિટેજ ગેલેરી, કોન્કોર્સ હોલ, પાર્સલ ઓફિસ વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પ્લેટફોર્મ પર હાલમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની પણ નોંધ લીધી હતી. તેમજ શ્રી કંસલે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે હોસ્પિટલમાં નવનિર્મિત ઓકિસજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ટાંકીની ક્ષમતા ૫૦૦ લિટર છે, જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સતત ઓકિસજન પૂરો પાડી શકશે.

શ્રી કંસલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જનરલ મેનેજર શ્રી કંસલે રાજકોટની લોકો કોલોની સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડમાં નવનિર્મિત પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પેવેલિયનમાં લગભગ ૮૦ લોકો બેસી શકે છે.રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં શ્રી કંસલે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનજર શ્રી અનિલકુમાર જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિવિઝનમાં કરવામાં આવેલ યાત્રી સુવિધાઓ સલામતી/સુરક્ષા કાર્ય, માળખાકીય કામગીરી, વિદ્યુતિકરણ કાર્ય અને અન્ય વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી અને તેની સાથે સંબંધિત એકશન પ્લાન પર પણ ચર્ચા કરી હતી તથા આ પ્રસંગે જનરલ મેનેજરે મુસાફરોને કાર્ય દરમિયાન રાષ્ટ્રીયતાને પ્રથમ પ્રાધાન્ય આપીને કામ કરવું જોઈએ અને પરસ્પર ભાઈચારાને પ્રાધાન્ય આપીને સામાજિક સંવાદિતા માટે કાર્ય કરવા માટે અને પોર્ટ કનેકિટવિટી ને સરળ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ તથા આખા ભારતમાં રેલવે મારફતે તમામ ક્ષેત્રોની નૂર સરળતાથી પહોંચે તે માટે ખાસ ભાર આપવામાં આવ્યો છે, જેથી રેલવે દ્વારા માલના પરિવહનમાં વધારો થશે અને વિવિધ ક્ષેત્રોનો માલ નિયત સ્થળે સમયસર પહોંચી શકે.

(3:12 pm IST)