Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતિક વીરદાદા જશરાજ

૨૨ જાન્યુઆરી 'વીરદાદા જશરાજ શોર્યદિન'

રાજકોટઃ શૌર્યભૂમિ મનાતી એવી ભારતભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જશરાજનો ૨૨ જાન્યુઆરીના રોજ શોર્યદિન છે. દાદા જશરાજનો જન્મ લોહરકોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશની ચોકદારી કરી. શૂરવીરતા, સમર્પણ, કરુણા અને કોઇના દુઃખમાં ભાગ લેવો એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે.

રાજા વસ્તુપાળ અને રાણી વીરકોરના પાટવીકુંવર મોટા પુત્ર વસ્તરાજ ઉર્ફે વચ્છરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનો જન્મ ઇ.સ.૧૦૩૨, વિક્રમ સંવત ૧૦૮૭, હીજરી સન ૪૨૨માં થયો. બંને ભાઇ બાલ્યાવસ્થાથી જ વીર, તેજસ્વી અને ઘોડેસવારીમાં નિપુણ હતા અને વીરયોધ્ધા તરીકે ઓળખાતા હતા. તા.૧૫.૧.૧૦૪૮ને શુક્રવાર વિક્રમ સંવત ૧૧૦૩, હીજરી સન ૪૩૯નાં દીને કુંવર વચ્છરાજને લોહર કોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરંતુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલના વચ્છરાજ દાદાએ જાતે પોતાના નાનાભાઇ જસરાજને રાજતીલક કરી લોહર કોટના નવા મહારાણાની જાહેરાત કરી. તેમણે વિધર્મીઓનો અંત કરીને કાબુલના કિલ્લા ઉપર વિજય ધ્વજ ફરકાવ્યો એવું કહેવાય છે કે જેટલો ત્યાગ ગુરૃ ગોવિન્દ સિંહમાં હોતો, જેટલો શૌર્ય મહારાણા પ્રતાપમાં હતુ કે જેટલુ સાહસવીર શિવાજીમાં હતુ તેટલી જ શકિત, સાહસ અને શોર્ય સૂર્યવંશી રાણા જસરાજમાં હતુ. રામ રાજયના સમયમાં ભગવાન શ્રીરામની આજ્ઞાથી ભરત મહારાજે તે વખતના ગાંધાર(હાલ અફઘાનિસ્તાન)પ્રદેશમાં જાગેલા વિદ્રોહને પરાજિત કરી તે પ્રદેશમાં તક્ષશીલા અને કોંકણપુર(પેશાવર) શહેરો વસાવ્યા હતા અને સમસ્ત રઘુવંશી રાજયની સ્થાપના કરી હતી. અત્યારના પાકિસ્તાનની ઉતરભ્રમી અને અફઘાનિસ્તાનની દક્ષીણી ભુમી પર હિમાલયની ગિરિમાળા વચ્ચે લોહર પ્રદેશ હતો. આ રાજય હોવાથી તે વખતના ભારતના રાજય મંડળે લોહરાજવીને લોહરાણાને શીરપાવ એનાયત કર્યો હતો. તે સમયે મોગલશાહ ચંગીઝખાન અને મહંમદ ગઝનીએ અવારનવાર કરેલી ચઢાઇઓને લોહરાણાઓએ મારી હટાવી હતી. ઇસવીસન પૂર્વે સિકંદર કૂચ અટકાવનાર લોહરાણા પોરસની જેમ જશરાજે ઇરાનીઓ અને અફઘાનિસ્તાનીઓની કૂચને અટકાવી હતી.

કુંવર જસરાજની સગાઇ ઉનડકોટના રાણા રઘુપાલ ઉનડકોટની દીકરી સાથે થઇ હતી. વસંતપંચમીના દિવસે જયારે જસરાજજીના લગ્નનો દિવસ હતો એ દિવસે જ મલેચ્છ સેનાએ કંદહાર અને હિંદુકુશના રસ્તેથી આવી ઉનડકોટની નજીક જ આવેલ લાતુરગઢ ઉપર હુમલો કર્યો હતો. ઉનડકોટમાં મહારાણા જસરાજના લગ્નમાં બધા મગ્ન હતા. મલ્લેચ્છોએ ઉનડકોટની ગાયોનું હરણ કરી લીધુ હતું. એક ગોવાળે આ સમાચાર સેનાપતિ સિંધુદેવ શર્માને આપ્યા. તેઓએ પોતાના અંગત સાથીદારોને સાથે લઇ વિધર્મીઓની સામે બાથે ભીડયા. આ યુધ્ધમાં વિધર્મીઓએ ગાયોને સામે રાખી હતી હવે જો તેઓ શસ્ત્ર ઉપાડે, સામો પ્રહાર કરે તો ગાયોનું મૃત્યુ થાય માટે તેઓએ હાથબળથી યુધ્ધ કર્યુ અને વિરગતી પામ્યા. જયારે સેનાપતિ સિંધુદેવ શર્માનું શવ ઘોડા ઉપર આવે છે. દાદા જસરાજ સહિત બધાની આંખોમાં આંસુ આવી જાય છે. તેમની મોટી બહેન હરકૌર પોબારુની વિનંતીથી દાદા લગ્નવેદીના ચાર ફેરા તો ફરે છે પરંતુ પોતાની પત્નીની સંમતિથી જ લગ્ન પછી તરત જ ગાયોના રક્ષણ માટે યુધ્ધે ચડે છે. જેમાં તેની બહેન હરકૌરે પણ મદદ કરી હતી. આખરે કાબુલના દુશ્મન પરાજિત થયા, અને જશરાજ વિજયી થયા. લોહર સૈનિકના વેશમાં આવેલ એ ક શત્રુએ લગ્નની ખુશાલીમાં જસરાજ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી વંદન કરી દગાથી જસરાજની ગરદન ઉપર સાંગ મારી માથુ ઉતારી દીધું. જસરાજનું માથા વિનાનું ધડ પણ ઝનુનથી લડે છે ત્યારથી તેઓ લોહાણા અને ભાનુશાલીઓ દ્વારા વીરદાદા જશરાજ કુળદેવતા તરીકે પૂજાતા આવ્યા છે અને તેની બહેન હરકૌરની લોહાણા કુળ દ્વારા કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. મહારાણા પ્રતાપના ચેતક ઘોડાની જેમ દાદા જસરાજનો પ્રિય અશ્વ લાલુ હતો જેમની ખાંભી આજે પણ ઉનડકોટમાં જોવા મળે છે.(૪૦.૫)               

આલેખનઃ મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ રાજકોટ

 

(3:24 pm IST)