Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રૈયા ચોકડી પાસે ટ્રીનીટી એપાર્ટમેન્‍ટમાં ધો-૧૧ની છાત્રાનો ફાંસો ખાઇ આપઘાત

માતાએ ભણતર બાબતે ઠપકો આપતાં પગલુ ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ

રાજકોટ તા. ૨૧: રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જતાં સેલસ હોસ્‍પિટલ નજીક આવેલા ટ્રીનીટી એપાર્ટમેન્‍ટમાં રહેતી અને મોદી સ્‍કૂલમાં ધોરણ-૧૧માં અભ્‍યાસ કરતી કૃતિકા ઘનશ્‍યામભાઇ સતાપરા (ઉ.વ.૧૭) નામની છાત્રાએ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવ વખતે છાત્રા કૃતિકા અને માતા વનીતાબેન એકલા ઘરે હતાં. પિતા ઘનશ્‍યામભાઇ ખેતીવાડી ધરાવતાં હોઇ ત્‍યાં ગયા હતાં. એ દરમિયાન કૃતિકાએ રૂમમાં જઇ ફાંસો ખાઇ લીધો હતો. માતાને જાણ થતાં દેકારો મચાવ્‍યો હતો અને પડોશીઓ ભેગા થઇ જતાં તેણીને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ પામી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. આર. ઝાલા અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કૃતિકા એક ભાઇથી મોટી હતી અને અભ્‍યાસ કરતી હતી. માતાએ ભણતરમાં ધ્‍યાન આપવાનું કહી ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:27 am IST)