Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટમાં કોરોનાએ ફૂફાડો માર્યો : પશ્વિમ ઝોનમાં સૌથી વધુ સંક્રમણ : ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી રિપોર્ટ માટે નવી ૬ લેબ શરૂ

કોરોનાના વધતા કેસોને પગલે મુખ્ય સચિવ પંકજકુમાર રાજકોટની મુલાકાતે:રાજકોટ,મોરબી અને જામનગર શહેર અને જિલ્લાની કોરાની સ્થિતિ અંગે સમિક્ષા કરી

અમદાવાદ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે.શુક્રવારે રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 368 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે સાંજ સુધીમા 1134 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં કુલ મળીને 1502 પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ સાથે રાજકોટ શહેરમાં આજે 296 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં હતા.જ્યારે હાલમાં 6831 દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાના વધતા કેસોને પગલે મુખ્ય સચિવ પંકજકુમાર રાજકોટની મુલાકાતે હતા જ્યાં તેમણે રાજકોટ,મોરબી અને જામનગર શહેર અને જિલ્લાની કોરાની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી.પંકજકુમારે કહ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તો શા માટે વધી રહ્યા છે અને તંત્રની તૈયારી કેવી છે,કેસ ઘટાડવા માટે શું પગલા લેવા તેની સમીક્ષા કરવામાં આવી છે.મોટાભાગના લોકો હોમ આઇસોલેટ છે ત્યારે ધનવંતરી રથ અને સંજીવની રથ થકી તમામ લોકોનું નિયમીત ચેકિંગ થાય તે દિશામાં પગલાં લેવામાં આવશે.

પંકજકુમારે આજે કરેલી સમિક્ષા બેઠકમાં સામે આવ્યું હતું કે શહેરમાં કુલ કોરોના કેસમાં પશ્વિન ઝોનમાં સૌથી વધારે કેસ છે.આ અંગે મહાનગરપાલિકા દ્રારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.મનપા દ્રારા પશ્વિમ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.જેના થકી જે લોકોને લક્ષણો હોય તેના ટેસ્ટીંગ કરવામાં આવશે અને રસીકરણ અભિયાનને પણ વેગ આપવામાં આવશે.

પંકજકુમારે કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વઘી રહ્યું છે.ખાસ કરીને જેતપૂર,ગોંડલ અને ઘોરાજીમાં કેસ વધારે આવી રહ્યા છે.આ અંગે મહાનગરપાલિકાની જેમ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના રિપોર્ટ શહેરમાં પહોંચે તેટલો વિલંબ ન થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ૬ ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવશે.

(9:08 pm IST)