Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૩ પરીક્ષાના પ્રશ્ન લીંક પ્રકરણમાં તપાસ : સત્તાધીશોનું વેઇટ અને વોચ

આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પુરાવા સાથે રજૂઆત કરશે

રાજકોટ તા. ૨૦ : વિવાદાસ્‍પદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ફરી પદવીની વિશ્વસનીયતા સામે પડકાર ઉભો થયો છે. બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ પરીક્ષાના પ્રશ્નપત્રો લીંક થયાનો ધડાકો થતાં ખળભળાટ મચી ગયો છે.

ગઇકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચાલતી ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહ જાડેજાના ધડાકા બાદ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દોડતુ થયું છે પરંતુ ૨૪ કલાક બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી ન થતાં અનેકવિધ ચર્ચા ચાલી રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્‍ટર-૪ના ૩ પ્રશ્નપત્રો પરીક્ષા પહેલા જ બજારમાં ફરતા થયા હતા. સોશ્‍યલ મીડિયામાં આ પ્રશ્ન ફરતા થવા છતાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની નિષ્‍ક્રીયતા સામે પ્રશ્નો ઉભા થયા છે.

આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પુરાવા સાથે યુનિવર્સિટીને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે. પરીક્ષા વિભાગ તેમજ સમગ્ર યુનિવર્સિટીનું તંત્ર હજુ પણ ગંભીર ન થતાં કે નક્કર કાર્યવાહી ન કરતા ભારે રોષ જોવા મળ્‍યો છે.

યુનિવર્સિટીના સત્તાધીશો હાલ થોભો અને રાહ જોવોની નિતી અપનાવી છે.

(11:52 am IST)