Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સાંગણવા ચોક પાસે રીયાઝ દલની હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસ્માઇલ દલ પકડાયો

પ્રનગર પોલીસે ઇસ્માઇલ ઉર્ફે બટુકને રેફયુજી કોલોની પાસેથી દબોચ્યો

રાજકોટ,તા. ૧૯: શહેરના સાંગણવા ચોક પાસે ત્રણ વર્ષ પહેલા સંધી યુવાનની થયેલી હત્યાના ગુનામાં ફરાર શખ્સને પ્રનગર પોલીસે રેફયુજી કોલોની પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહંમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસે ગેડમની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, અશોકભાઇ હુંબઇ તથા મહાવીરસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પી.એસ.આઇ કે.ડી.પટેલને મળેલી બાતમીના આધારે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસ્માઇલ ઉર્ફે બટુક ઇશાભાઇ દલ (ઉવ.૬૭) (રહે.જંગલેશ્વર અંકુર શેરી નં. ૬ આર.એમ.સી કવાર્ટર હાલ જામનગર રોડ હુકડો કવાર્ટર)ને રેફયુજી કોલોની મેઇન રોડ પરથી પકડી લીધો હતો. ત્રણ વર્ષ પહેલા સાંગણવા ચોક પાસે રીયાઝ દલ નામના યુવાનની હત્યા થઇ હતી. આ ગુનામાં ઇસ્માઇલ ઉર્ફે બટુક છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. તે અગાઉ બી. ડીવીઝન અને પ્રનગર પોલીસ મથકમાં મારામારી તથા દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(2:32 pm IST)