Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

લક્ષ્મીનગર અંડરબ્રિજનુ ૯૦% કામ પુર્ણઃ દિવાળી પછી લોકાર્પણ કરવા માટે ધમધમાટ શરૂ

બ્રિજના સર્વિસ રોડ બોક્ષ અને વરસાદી પાણી નિકાલના સમ્પનું કામ બાકીઃ બ્રિજની કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ-સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભર

લક્ષ્મીનગર અન્ડર બ્રિજની કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી રહેલા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ત્થા સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભર દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :.. શહેરનાં લક્ષ્મીનગર નાલા ખાતે અંડર બ્રીજ બનાવવાનું કામ હવે ૯૦ ટકા જેટલુ પુર્ણ થઇ ગયુ છે. ત્યારે દિવાળી બાદ આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થયો છે. જેનાં ભાગરૂપે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને આ વિસ્તારનાં કોર્પોરેટર તેમજ મ.ન.પા.ની  સેનીટેશન સમિતિનાં ચેરમેન અશ્વિન પાંભરે આ બ્રિજની કામગીરીનું સ્થળ  નિરીક્ષણ કરી કામ ઝડપી પુર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતાં.

આ બાબતે શ્રી પાંભરે જણાવેલ કે, બ્રિજનાં મુખ્ય બે બોક્ષ અને રોડ તૈયાર થઇ ગયા છે. હવે બન્ને સાઇડમાં સર્વિસ રોડ માટેનાં નાના બોક્ષ ત્થા તેનાં રોડનું કામ અને વરસાદી પાણી ભરાય તેનાં નિકાલ માટે સમ્પ, પમ્પીંગ સ્ટેશન વગેરેનું કામ જ બાકી છે. જે ઝડપથી પુર્ણ કરાશે. આવી દિવાળી પછી આ બ્રિજ ખુલ્લો મુકી શકાશે. જેથી ટ્રાફીકની સમસ્યા હળવી થશે.

અત્રે નોંધનીય છે કે  નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં. ૮માં નાના-મવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાની નિરાકરણ હેતુ હૈયાત નાલાની બાજુમાં અન્ડર બ્રીજ બનાવવાના કામના ભાગ રૂપે રેલ્વે વિભાગ સાથે 'ડીપોઝીટ વર્ક' તરીકે કામ કરાવવા કામ કરનાર એજન્સીને રેલ્વે વિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરવામાં આવેલ. તે અન્વયે હયાત નાલાની જગ્યાએ બે નવા બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડર પાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ ૫૦ મીટર લંબાઇ* ૭.૫૦ મીટર પહોળાઇ તથા ૪.૫૦ મીટર ઉંચાઇ રહેશે. તથા ટાગોર રોડ સાઇડ ૧૧૬ મીટર તથા નાના મવા સાઇડ ૧૩૫ મીટર એપ્રોચ રોડ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

આ નવું અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોએ શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવી રહી છે.

(4:27 pm IST)