Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગયા શુક્રવારે બહોળો પ્રતિસાદ મળ્યા બાદ

સતત બીજા શુક્રવારે મ્યુ.કમિશ્નર સહિતના અધિકારીઓ- કર્મચારીઓ સાયકલ ચલાવીને આવ્યા

ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જમાં રાજકોટ સહિત ૯૫ શહેરો જોડાયા : અન્ય સંસ્થાઓએ પણ ઉદિત અગ્રવાલની અપીલને આવકારી

રાજકોટ,તા. ૧૮: શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ / કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેનો ગયા શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ઉપરાંત આજે પણ તમામ અધિકારીઓ/કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરશ્રીએ કરેલ અપીલને હૃદયથી સ્વીકારી સાયકલિંગ કરીને અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા.

આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહીત નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, એ. આર. સિંઘ, સી. કે. નંદાણી તેમજ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા તેમજ આજે મોટી સંખ્યામાં અધિકારીઓ/કર્મચારીઓ પોતાના દ્યરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ અપીલને આવકારી હતી જેમાં બીગ બજાર, આન ગ્રુપ ઓફ કંપની, ફોર્ચ્યુન હોટલ, ક્રિસ્ટલ મોલ, રાજકોટ નાગરિક સહકારી, અમૃતા હોસ્પિટલ સહિતની અન્ય સંસ્થાઓના સ્ટાફ પણ આજે ટુ વ્હીકલને બદલે સાઈકલ કે પૈદલ ઓફીસ આવ્યા હતા.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનરશ્રી શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦:૧૫ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

કોરોનાને મ્હાત આપીને ફરજ પર અધિકારીઓ ચાલીને આવ્યા

હાલ જ કોરોના વાઇરસને મ્હાત આપીને પોતાની ફરજ પર પરત આવેલા અધિકારીઓ પણ મ્યુનિ. કમિશનરે કરેલ અપીલને હૃદયથી આવકારી હતી. જેમાં નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાઠોડ અને જન સંપર્ક અધિકારીશ્રી ભુપેશ રાઠોડ આજે પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. ડો. પંકજ રાઠોડ ૨.૪૭ કી.મી. અને ભુપેશ રાઠોડ ૦૬ કી.મી. ચાલીને ઓફીસ આવ્યા હતા. જેઓ હાલ જ કોરોના વાઇરસ સામે લડીને પોતાની ફરજ પર હાજર થયેલ છે.

BRTS સાયકલ ટ્રેક પર સ..ર...ર...ર.. સાયકલો દોડી

ગઈકાલ સાંજે ૦૭:૦૦ વાગ્યે પણ શહેરના પ્રખ્યાત સાયકલિંગ ગ્રુપ જેવા કે રાજકોટ સાયકલ કલબ, રાજકોટ રેન્ડોનીયર્સ સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંઘ,  સી. કે. નંદાણીએ બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેકની રાઈડ કરી હતી. શહેરીજનો સાયકલિંગ કરે અને સ્પેશિયલ સાયકલિંગ માટે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો લોકો વધુને વધુ ઉપયોગ કરે તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું.

(4:01 pm IST)