Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સગીરાના અપહરણના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર રાજેશ ઉર્ફે રાજુ ધામેચા પકડાયો

પેરોલ ફરલો સ્કવોર્ડની ટીમે રાજેશને કુકેરી ગામેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૬: સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાના અપહરણના ગુનામાં અગીયાર વર્ષથી ફરાર સુરતના દરજી શખ્સને પેરોલ ફરલો સ્કવોર્ડે નવસારીના કુકેરી ગામમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જ ાડેજાએ ફરાર કેદીઓને તથા નાસતા ફરતા કેદીઓને પકડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ હરપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ. મહેમદ અઝરૂદીનભાઇ બુખારી સહિત બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર રાજેશ ઉર્ફે રાજુ મનસુખભાઇ ધામેચા (ઉ.વ. ૪૧) (રહે. મુળ સુરત હાલ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી) ને કુકેરી ગામમાંથી પકડી લીધો હતો.

રાજેશ ઉર્ફે રાજુ ધામેચાએ ર૦૦૯માં સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. દોઢ વર્ષ બાદ સગીરા મોકો જોઇને ભાગીને રાજકોટ પરત આવી ગઇ હતી. આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજેશ ઉર્ફે રાજુ ત્યારથી ફરાર હતો અને તેણે કુકેરી ગામમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા.

(3:11 pm IST)