Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

નાગેશ્વર મંદિર પાછળ શંખેશ્વર એપાર્ટમેન્‍ટમાં કોલેજીયન છાત્ર હિરેન લશ્‍કરીનો આપઘાત

માતા બહારથી આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હતોઃ પાછળના ભાગે જઇ તપાસ કરતાં લટકતો મળ્‍યોઃ ધ્રોલની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણતો હતોઃ કારણ બહાર ન આવતાં તપાસ યથાવત

રાજકોટ તા.૧૬: જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાછળ શંખેશ્વર એપાર્ટમેન્‍ટ એ-વીંગ બ્‍લોક નં. ૪૦૪માં રહેતાં હિરેનભાઇ જયેશભાઇ લશ્‍કરી (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને પ્રતિપાલસિંહે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હિરેન બે ભાઇમાં મોટો હતો અને  ધ્રોલ ખાતેની કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો. સગા નલીનભાઇ શાહે જણાવ્‍યું હતું કે હિરેનના માતાએ મારી સાથે બીજા લગ્ન કર્યા છે. તેણી તથા હિરેન, તેનો ભાઇ મારી સાથે જ રહે છે. હિરેન જો કે તેના પિતા જયેશભાઇનું નામ જ લખાવતો હતો.

હિરેન ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્‍યે બહારથી ઘરે આવ્‍યા બાદ તેના મમ્‍મી બહાર ગયા હતાં. સાંજે તેણી પરત ઘરે આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં પાછળના ભાગે જઇ તપાસ કરતાં તે લટકતો જોવા મળ્‍યો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:00 pm IST)