Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ખત્રીવાડના જૈન પ્રૌઢ પિયુષભાઇએ કેસરી પુલ પાસે ટુવ્હીલર પરથી બસ આગળ પડતું મુકયું

વહેલી સવારે ઘરેથી નીકળી ગયા'તાઃ ગંભીર ઇજા સાથે બચાવઃ કેન્સરથી કંટાળીને પગલું ભર્યાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૧૩: સોની બજાર ખત્રીવાડ કબીર શેરીમાં જામનગરના જુના ઉતારા પાસેર હમેતાં પિયુષભાઇ હરકિશનભાઇ દોમડીયા (ઉ.૫૫) નામના જૈન વણિક પ્રૌઢે સવારે કેસરી પુલ નજીક આઇ.પી. મિશન સ્કૂલ પાસે પોતાના ચાલુ ટુવ્હીલર પરથી ખાનગી બસની આગળ પડતું મુકી દેતાં શરીરે અને ડાબા પગમાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમના પરિવારજનોના કહેવા મુજબ કેન્સરની બિમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યુ છે.

જાણવા મળ્યા મુજબ એક પ્રૌઢે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે કેસરી પુલ નજીક અમદાવાદ તરફથી આવી રહેલી ખાનગી બસની આગળ પોતાના એકસેસ પરથી ચાલુ ડ્રાઇવીંગે જ કૂદકો મારી દેતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી ગઇ હતી અને પ્રૌઢને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. તેમની પાસેથી મળેલી ચિઠ્ઠીના ફોન નંબર પરથી તેમના ભાઇ નિખીલભાઇ દોમડીયાને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને ઇજાગ્રસ્ત વ્યકિત પોતાના ભાઇ પિયુષભાઇ દોમડીયા હોવાનું કહ્યું હતું.

પિયુષભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને સોની બજારમાં જે.એન. સિલ્વર નામની દૂકાનમાં કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિયુષભાઇ વહેલી સવારે ઘરે જાણ કર્યા વગર એકસેસ લઇને નીકળી ગયા હતાં અને બસ સામે પડતું મુકી દીધુ હતું. તેમણે ચિઠ્ઠીમાં પોતાની જાતે કેન્સરની બિમારીથી કંટાળીને આ પગલું ભરતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ મકવાણાએ જાણ કરતાં એ-ડિવીઝનના એએસઆઇ ધર્મેશભાઇ અને હેડકોન્સ. પરષોત્તમભાઇએ કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. પિયુષભાઇ બેભાન હોઇ ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે.

(3:51 pm IST)