Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભોજલરામ સોસાયટીમાં માનસીક બીમારીથી ત્રાસી ભરવાડ વૃધ્ધાનો આપઘાત

રાજકોટ તા. ૧૩ : સંતકબીર રોડ પર ભોજલરામ સોસાયટીમાં માનસીક બીમારીથી કંટાળી ભરવાડ વૃધ્ધાએ કેરોસીન છાંટી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ભોજલરામ સોસાયટી શેરી નં. ૩માં રહેતા રતનબેન પેથાભાઇ ટોળીયા (ઉ.વ.૬૦) એ માનસીક બીમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ લાખણોત્રાએ વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે.કે.ગઢવીએ તપાસ આદરી છે.

અકસ્માતમાં પટેલ વૃધ્ધનું મોત

ખોખળદળ ગામમાં રહેતા બાવનજીભાઇ ઘુસાભાઇ ગજેરા (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાનું જીજે૩બીકે-૧૮૦૭ નંબરનું બાઇક લઇને લાપાસરી ગામ પાસે પોતાની વાડીએ ગયા હતા અને સાંજે પરત આવતા હતા ત્યારે વડાળી રોડ પર પ્રતાપભાઇ ભટ્ટીની વાડી પાસે બાઇક સ્લીપ થતાં તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એફ.આર.રાઠવા તથા રાઇટર વિપુલભાઇએ તપાસ આદરી હતી.

સાત હનુમાન પાસે હાર્ટએટેકથી યુવાનનું મોત

કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે ઢોળામાં રહેતા રાજુભાઇ કાનજીભાઇ ગાંગાણી (ઉ.વ.૪૦) સવારે નજીકમાં આવેલી પોતાની ચાની કેબીને કેબીન ખોલ્યા બાદ તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તપાસનીષ તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના રાયધનભાઇ ડાંગરે તપાસ આદરી હતી.

(3:50 pm IST)