Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જયેશભાઇ ભટ્ટ જમ્યા બાદ વોકીંગ કરવા નીકળ્યા, ટ્રેન આવતાં ઓચિંતુ ઝંપલાવી જીવ આપી દીધો

ગોંડલ રોડ પર બૂલેટના શો રૂમમાં નોકરી કરતા'તાઃ શો રૂમની પાછળના ભાગે જ બનાવ : વાણીયાવાડીમાં રહેતાં ૫૪ વર્ષિય બ્રાહ્મણ પ્રૌઢના આપઘાતનું કારણ અકળઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯ : ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ પાસે બુલેટના શો-રૂમની પાછળ જમ્યા બાદ વોકીંગ કરતા પ્રૌઢે ટ્રેન આવતા ઓચિંતા ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ વાણીયાવાડી શેરી નં. ૨માં રહેતા અને ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે આવેલા બુલેટના શો-રૂમમાં નોકરી કરતા જયેશભાઇ સુરેશભાઇ ભટ્ટ (ઉ.૫૪) ગઇકાલે શો-રૂમમાં નોકરી પર હતા. બપોરે શો-રૂમના કર્મચારીઓ સાથે જમ્યા બાદ શો-રૂમની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં થોડીવાર વોકીંગ કરવા માટે નિકળ્યા હતા. વોકીંગ કરતા હતા ત્યાં ટ્રેન આવતા પ્રૌઢે અચાનક ટ્રેન નીચે ઝંપલાવી દેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બનતા શો-રૂમના કર્મચારીઓ તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડયા તથા રાઇટર મનુભાઇ સ્થળ પર પહોંચી ગયા હતા. મૃતક જયેશભાઇ બુલેટના શો-રૂમમાં નોકરી કરતા હતા. તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:50 am IST)