Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

તપની અનુમોદના, તપની અંતરાયનો ક્ષય કરાવે : પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત પૂ.શ્રી પરમ નમસ્વીજી અને નવદીક્ષિત પૂ. શ્રી પરમ નેમિશ્વરજી મ.સ.ના માસક્ષમણ તપના કાલે પારણા

રાજકોટ તા. ૯ : સત્યની દ્રષ્ટિ આપીને અનેક આત્માઓને પ્રભુ પંથ પર પ્રયાણ કરાવી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી બે વર્ષ પહેલાં કોલકાતામાં દીક્ષિત થયેલાં ૨૧ વર્ષીય પૂજય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજી તેમજ પાંચ મહિના અગાઉ ગિરનાર ભૂમિ પર દીક્ષિત થએલાં નવદીક્ષિત ૩૩ વર્ષીય પૂજય શ્રી પરમ નેમિશ્વરાજી મહાસતીજની ૩૦ ઉપવાસની ઉગ્ર તપશ્યર્યાના પારણાનો અવસર આવતીકાલે આયોજિત કરવામાં આવ્યો છે.

પ્રાકૃતિક સૌંદર્ય યુકત પરમધામ ઉદ્યાનના દિવ્ય સ્પંદનોમાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૯ સંત-સતીજીઓ ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજી રહ્યા છે ત્યારે આત્માને તપધર્મ થી ભાવિત કરતાં બે સાધ્વીરત્નાઓ એ માસક્ષમણ તપની ઉગ્ર આરાધના આજના ૩૦માં ઉપવાસ સાથે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી છે ત્યારે લાઈવના માધ્યમે એમના દર્શન કરીને દેશ-વિદેશના હજારો ભાવિકો વંદિત- અભિનંદત બની રહ્યાં છે.

જૈન પરંપરામાં તપધર્મનું અનેરૃં મહત્વ દર્શાવવામાં આવ્યું છે, માસક્ષમણની આરાધનામાં દરેક પ્રકારના આહારના ત્યાગ સાથે માત્રને માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉકાળેલુ પાણી ગ્રહણ કરીને ૩૦-૩૧ દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થએલાં પૂજય સાધ્વીરત્નાઓમાંથી દર વર્ષે કોઈને કોઈ મહાસતીજી પંચમ કાળમાં માસક્ષમણ તપની આરાધના સાથે તપધર્મની સર્વત્ર જયકાર વર્તાવી રહ્યાં છે.

૩૦-૩૦ દિવસ સુધી ઉપવાસની ઉગ્ર આરાધના કરનારા બંને પૂજય મહાસતીજીઓની ઉગ્ર તપની ભાવનાની અનુમોદના માટે આવતીકાલ તા.૧૦ મંગળવાર સવારે ૮ થી ૯ કલાકે ઓનલાઇન સાંજીના આયોજન બાદ પારણાનો અવસર યોજાશે.આ અવસરે લાઈવના માધ્યમથી દેશ-વિદેશના હજારો ભાવિકો અનુમોદનાના ભાવ સાથે જોડાવા આતુર બની રહ્યાં છે.

(5:01 pm IST)