Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સંચાલન સાથે કોરોના દર્દીઓની સારવારઃ પાછી પાની કરી રહ્યો છે વાયરસ

વિભાગીય નાયક નિયામક આરોગ્ય કચેરીના પરિશ્રમ અને પરિણામલક્ષમી કામગીરીઃ પોરબંદર-દ્વારકા-મોરબીમાં જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં ૧૦૦ થી ૧૫૦ બેડની સુવિધાઃ જીલ્લાની ૩૪ હોસ્પિટલોમાં ૧૮૨૫ બેડઃ ૬૦ વેન્ટીલેટર પણ ફાળવાયાઃ ડો. રૂપાલીબેન મહેતા

રાજકોટ તા. ૬ : કોઈ પણ લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના પાયામાં નક્કર આયોજન અને લક્ષ્ય પ્રત્યે સમર્પણની ભાવનાનું વિશેષ મહત્વ રહેલું છે. જેના થકી કોઈ પણ પડકારો અને મુશ્કેલીઓને મક્કમ ગતિ સાથે પાર પાડી શકાય છે. હાલ ગુજરાત સરકાર અને તબીબી જગત કોરોના સામે બાહોશી સાથે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય કચેરી પણ નિષ્ઠાવાન અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. જેના કારણે આજે રાજકોટ જિલ્લામાં કોરોનાને કારણે થતાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે તેમજ વયોવૃધ્ધ વ્યકિતઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી રાજકોટને બહાર લાવવા માટે ૩૫ લોકોના સ્ટાફ સાથે કાબિલે-દાદ કામગીરી કરનાર વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટ ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન હેઠળ ૬ જિલ્લા (રાજકોટ-જામનગર-પોરબંદર-ભુજ-કચ્છ-મોરબી-દેવભુમિ દ્વારકા) અને રાજકોટ-જામનગર એમ બે કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જનઆરોગ્ય માટે સંપૂર્ણ પ્રતિબધ્ધતા અને સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, અગ્ર સચિવ આરોગ્ય અને આરોગ્ય કમિશ્નર સહિતના વડાઓ સાથે સંકલન સાધીને વિભાગીય નાયબ નિયામકશ્રી આરોગ્ય કચેરી દ્વારા કુલ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થા અને તબીબી સેવાઓનું મોનીટરીંગ અને મેન્ટરીંગ કરવામાં આવી રહ્યું છે.

રોગને મ્હાત આપવા માટે સારવારની સઘન વ્યવસ્થા કેન્દ્ર સ્થાન પર હોય છે. તેથી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે સમય સુચકતા અને સઘન વ્યવસ્થા સાથે કરેલી કામગીરી અંગે વિગતો આપતા આરોગ્યના વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટરશ્રીની સુચના અન્વયે રાજકોટમાં બે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં સમરસ હોસ્ટેલ ખાતે કુલ ૫૨૦ બેડ પૈકી ૩૪૦ બેડ ઓકિસજન સપ્લાય સાથે અને કેન્સર હોસ્પિટલના ૧૯૨ બેડ પૈકી ૧૭૭ ઓકિસજન યુકત બેડની

 વ્યવસ્થા સાથે ફરજ પર નિયુકત તબીબી અધિકારી, આયુષ એમ.ઓ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ જ પધ્ધતિ અને આયોજન સાથે તાલુકા કક્ષાએ જ દર્દીને સારવાર મળી રહે તેવા હેતુસર સરકારી હોસ્પિટલમાં તમામ ઓકિસજન બેડ સાથે જસદણમાં ૨૪, ગોંડલમાં ૫૫ અને ધોરાજીમાં ૩૫ બેડ સાથે કોવીડ કેર સેન્ટરો કાર્યરત કરાયા છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે, તે માટે રાજકોટ જિલ્લા ગ્રામ્ય તથા કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૩૪ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલને ૧૮૨૫ બેડ સાથે કોવીડ-૧૯ સારવાર અર્થે નિયુકત કરવામાં આવી છે. જેમાં આશરે ૬૦ જેટલા વેન્ટીલેટર લોન ઉપર કોવીડ-૧૯ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે પોરબંદર, દ્વારકા અને મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. સહિતની ૧૦૦ થી ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એક સમયનું કોરોના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વરને કોરોનામુકત કરવા રાજકોટ સિવિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ત્યાંના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સોનોગ્રાફી મશીનની વ્યવસ્થા સહિતની સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી હતી. જેના કારણે જંગલેશ્વર વિસ્તારના દર્દીઓને ખુબ રાહત મળી હતી.

(1:52 pm IST)