Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

૧ જુલાઇના અષાઢીબીજ : રાજકોટમાં ભગવાન જગન્‍નાથજીની શોભાયાત્રા નિકળશે

૧૯ જૂને કળશયાત્રામાં ૧૦૮ દીકરીઓ જોડાશે, ૨૯ મીએ જનજાગૃતિ અર્થે બાઇક યાત્રા, ૩૦મીએ ભગવાન જગન્‍નાથજીને અભિષેક, નેત્રવિધિ-મામેરા દર્શન

રાજકોટ : કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્‍યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે આગામી તા. ૧ જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ અંગેની તેયારી માટેની મીટીંગ મહંત મનમોહનદાસજીના અધ્‍યક્ષ સ્‍થાને મંદિર પરીસરમાં યોજવામાં આવી હતી. આ મીટીંગમાં ખાસ કરીને રથયાત્રામાં જોડાનાર મુખ્‍ય ત્રણ રથના કલેવર શૃંગાર, નિમંત્રણ પત્રીકા, એરીયા વાઇઝ પત્રીકા વતીરણ, બેનર, હોડીંગ, રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર સ્‍વાગત, મંદિર સુશોભન, શહેરના વિવિધ ધાર્મીક, સામાજીક મંડળો તથા સંસ્‍થાના પ્રતિનીધીઓનો સંપર્ક, આમંત્રીત મહેમાનોની યાદી વગેરે બાબતો ઉપર વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે રાજકોટમાં સૌપ્રથમવાર રથયાત્રા પૂર્વે તા. ૧૯ જુનના રવિવારના રોજ કળશ યાત્રા કાઢવામાં આવશે. જેમાં ૧૦૮ દિકરીઓ જોડાશે. તેમજ તા. ર૯ના રોજ રથયાત્રાની જનજાગૃતિ અર્થ રથયાત્રાના રૂટ ઉપર વિશાળ બાઇક યાત્રા કાઢવામાં આવશે. જેમાં વિવિધ મંડળો અને યુવા કાર્યકરો બહોળી સંખ્‍યામાં જોડાશે. તા. ૩૦ જુનના રોજ સાંજે ૪ વાગ્‍યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે ૮ વાગ્‍યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. આગામી તા. ૧૧-૬-ર૦રરને શનિવારના રોજ રથયાત્રાને ભવ્‍ય બનાવવા માટે શહેરના વિવિધ મંડળો, સંસ્‍થાઓ અને સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્‍યો છે.
રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજ તા. ૧ જુલાઇના રોજ સવારે ૭ વાગે થશે. રથયાત્રામાં સૌથી આગળ ડી.જે., ઢોલ, શરણાઇ રહેશે. ત્‍યારબાદ અખાડાના સાધુ દ્વારા અંગ કસરતના દાવ, ત્‍યારબાદ મુખ્‍ય ત્રણ રથ ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બેન શુભદ્રા ના આકર્ષક રથ ત્‍યારબાદ વિવિધ રાસ મંડળીઓ અને વિવિધ ધાર્મીક ફલોટ જોડાશે. યાત્રા પ્રારંભ નીજ મંદિર, મોકાજી સર્કલ, વૃદાંવન સોસાયટી, પુષ્‍કરધામ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુર્નીવસીટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગ્‍લોઝ, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, કુલછાબ ચોક, સદર બજાર, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રીકોણ બાગ, સાંગણવા ચોક, ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, દેવપરા, યાદવ નગર, સહકાર નગર મેઇન રોડ, નારાયણ નગર, પી.ડી.એમ. કોલેજ, સ્‍વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ચંદ્રેશ નગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામૌવા મેઇન રોડ, શાષાી નગર, અલય પાર્ક, નાના મૌવા ગામ થઇને નીજ મંદિર પરત ફરશે. ત્‍યાં રાત્રે ૮:૩૦ વાગ્‍યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.આ ભવ્‍ય યાત્રામાં આ વખતના મામેરા પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન મનહરભાઇ બાબરીયા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. દર વર્ષે મામેરાના યજમાનનો લાભ અલગ અલગ પરિવારોને આપવામાં આવે છે. તેમ જગન્નાથ મંદિરના મહંત ત્‍યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્‍યું છે. વધુ માહીતી માટે મો. ૯૬૦૧૪ ૪૧૦૦૮, ૮૮૩૯૮ ૪૩૮૫૮ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.
 

 

(4:10 pm IST)