Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

એક જ પરિવારના પાંચેય સભ્યોએ ફાંસી લગાવી મોતને વ્હાલુ કર્યું

આ તે કેવી કઠણાઇ ! પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો

પટણા તા. ૬ : બિહારના સમસ્તીપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ એકસાથે ફાંસી લગાવી લીધી. રવિવારે સવારે પાંચેયના મૃતદેહ ઘરમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. પરિવાર પર ઘણા લોકોનું દેવું પણ હતું, જેના કારણે શનિવારે મોડી રાત્રે તમામ સભ્યોએ ફાંસી લગાવી લીધી હતી.

મળતી માહિતી મુજબ, ઘટના વિદ્યાપતિનગરના મઢ ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોજ ઝા પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઓટો ચલાવીને તે પરિવારનું ધ્યાન રાખતો હતો. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી. હવે લોકો તેમના પર પૈસા પરત કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જેના કારણે તમામ સભ્યોએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોજ ઝાના પરિવારને શનિવારે રાત્રે બધાએ જોયો હતો, પરંતુ રવિવારે સવારે મોડું થવા છતાં પણ કોઈ ઘરની બહાર નહોતું આવ્યું. આના પર પડોશીઓને શંકા ગઈ, ત્યારબાદ તેઓ બધા ઘર તરફ ગયા. ત્યાં પાંચેયના મૃતદેહ ફાંસીથી લટકતા હતા, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મનોજ ઝાના પિતાએ પણ અગાઉ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેણે પણ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હતો. તેણે મોટી દીકરીના લગ્ન માટે લોન લીધી હતી, જે તે ચૂકવી શકયો ન હતો. તે જ સમયે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, પોલીસ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

(4:45 pm IST)