Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરાયું

દરેકને તેમના જન્મદિવસે ઓછામાં ઓછું એક અને વર્ષમાં 10 વૃક્ષો વાવી તેની કાળજી લેવાની અપીલ કરી હ

રાજકોટ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન રાજકોટ અને આજુબાજુના વિસ્તારોના કેરેજ અને વેગન ડેપોની પીટ લાઇનમાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષ કુમાર મિશ્રા દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય મુલાકાતીઓમાં 'ઓન્લી વન અર્થ'ના લોગો સાથે કેપ્સનું વિતરણ કરીને કરવામાં આવી હતી, જે આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.

 આ પ્રસંગે એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, સીનિયર ડિવિઝનલ ઈજનેર રાજકુમાર એસ, સીનિયર ડિવિઝનલ મિકેનિકલ ઈજનેર સંતોષકુમાર મિશ્રા, સહાયક મિકેનિકલ ઈજનેર  અતુલકુમાર વી.એસ અને દ્વીપ સાબાપરા દ્વારા પણ વૃક્ષારોપણ કર્યું હતું. તેમના સંદેશમાં, ડિવિઝનલ રેલવે મેનેજરે લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દરેકને તેમના જન્મદિવસે ઓછામાં ઓછું એક અને વર્ષમાં 10 વૃક્ષો વાવી તેની કાળજી લેવાની અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે રેલવે માત્ર આ દિવસે જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખશે.

  ડેપો ઈન્ચાર્જ  સંજીવ ઈંગલે, SSE (EnHM) દેવાંશુ રોય, ચીફ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અતુલ કોઠારી, SSE અનુભવ કુમાર અને ડેપોના અન્ય કર્મચારીઓએ કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. આ સાથે આજે રાજકોટમાં ઓફિસર્સ ક્લબ અને અન્ય સ્થળોએ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના સભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

(8:06 pm IST)