Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અબતક દૈનિકના મેનેજીંગ તંત્રીએ આપ્યો પ્રેરક સંદેશ

કોરોનાને હાર આપીને આવતા વર્ષે આપણે સોૈ 'સુખ-સાતા'માં પદાર્પણ કરશું: સતિષભાઇ મહેતા

રાજકોટ તા. ૫ : શહેરના અબતક સાંધ્ય દૈનિકના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતાએ કોવીડ-૧૯ વાયરસના સંક્રમણથી ગભરાયા વગર તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતા કહયું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની જે સ્થિતિ છે, તેનાથી ડરવાની જરાય જરૂર નથી.

દુનિયામાં અત્યાર સુધીમાં અનેક મહામારી આવી છે અને જતી પણ રહી છે, તેમ કોરોના પણ જતો જ રહેશે. ૨૦૨૦ ના વર્ષમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસે આપણને ઘણુંબધું શિખવી દિધુ છે, તેના કારણે આપણી જીવનશૈલી પણ બદલાઈ ગઇ છે. પરંતુ ૨૦૨૧ ના વર્ષમાં આપણે સૌ 'સુખ - સાતા'માં પદાર્પણ કરશું જ.

કોરોના સંક્રમિત થયાં બાદ મજબૂત મનોબળ અને સારવાર તેમજ આયુર્વેદીક ઉપચાર થકી થોડા જ સમયમાં કોરોનાને મ્હાત આપી સ્વસ્થ બનેલા સતીષભાઈ જણાવે છે કે, મે કોરોનાને બહુ; નજીકથી જોયો છે, અનુભવ્યો છે. અને એટલે જ હું કહું છું કે કોરોનાથી આપણે કોઈ જ ડરવાની જરૂર નથી. પરંતુ આપણે બેદરકારી જરાય રાખવાની નથી. કોરોનાથી બચવા માટે આપણે સાવચેતીના પગલાં અવશ્ય લેવા જોઈએ. જો આપણે હકારાત્મકતા સાથે જીવીશું તો કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા પછી પણ બહું ઝડપથી આપણે તેમાંથી બહાર આવી શકીશું.

મને શ્રધ્ધા છે કે, આપણે અત્યાર સુધીમાં આપણી સામે આવેલી અનેક મહામારીનો સામનો કરીને તેમાંથી બહાર નિકળ્યા છીએ. તેવી જ રીતે બહું જલ્દી આપણે કોરોનાને પણ મ્હાત આપી તેમાંથી બહાર આવીશું. અને ૨૦૨૧ ના વર્ષમાં 'સુખ - સાતા'માં પદાર્પણ કરીશું. અને 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(2:15 pm IST)