Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વર્ધમાનનગર સંઘમાં મુમુક્ષુ નિસર્ગકુમારની મહેંદી રસમ યોજાઇ

શનિવારે સ્‍થા. જૈન બોર્ડીગ ખાતે પ્રવજયા મહોત્‍સવ : આ. દેવ પૂ. હર્ષશીલ સૂરી. મ.સા. દ્વારા કરવા કર્મોનું હરણ, લઇ લે તું રજોહરણ ઉપર પ્રવચન ફરમાવ્‍યુ

રાજકોટ તા. ૩ :.. સૌરાષ્‍ટ્રની પાટનગર સમા રંગીલા રાજકોટમાં શ્રી વર્ધમાનનગર જૈન દેરાસરની સ્‍થાપના વિ. સં. ર૦૩પ નાં મહાસુદ ૬ નાં રોજ મુળ નાયકશ્રી સંભવનાથ દાદાનાં સાનિધ્‍યમાં, પેલેસ રોડ પર કરવામાં આવી. આ ધર્મ ધરા પર આજથી બરાબર ૪ર વર્ષ પહેલાં વિ. સ. ર૦૩૬ માં પૂજય નયદર્શન વિજયજી મ.સા.ની દીક્ષા થયેલ. તેઓ પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.સા. નાં શિષ્‍ય બનેલ.

વર્ધમાનનગરની આ ધન્‍ય ધરા પર ફરીથી એક વાર ઈતિહાસ નું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. ૪૨ વર્ષ ના લાંબા સમય બાદ ફરીથી ૧૮ વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઈ શાહ તા ૭ને શનિવારનાં રોજ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે તા. ૨૯/૪ થી ૭/૫ સુધી નવાન્‍હિક મહોત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે કરવામાં આવી રહેલ છે.

આજે તા. ૩નાં રોજ સવારે ૬:૩૦ કલાકે કરવા‘કર્મોનું હરણ, લઈ લે તું રજોહરણ' પર દિલધડક પ્રવચન આચાર્યદેવ શ્રીમદ વિજય હર્ષશીલ સૂરી. મ.સા. દ્વારા આપવામાં આવ્‍યું. જેમાં રજોહરણની મહત્તા સમજાવવામાં આવી. ત્‍યારબાદ સવારે ૯ કલાકે શ્રી વર્ધમાનનગર જૈન ઉપાશ્રય ખાતે વિલાસબેન નવીનચંદ્ર મહેતા(જામનગર), દક્ષાબેન કૈલાશકુમાર શાહ (લંડન), ભાવનાબેન ભરતકુમાર મહેતા (જામનગર) ના જીવનમાં અનેક સુકૃત્‍યોની અનુમોદનાર્થે ‘પુત્ર તમારો, સ્‍વામી અમારો ...' ભવ્‍યાતિભવ્‍ય સ્‍નાત્ર મહોત્‍સવ ઉજવવામાં આવ્‍યો જેમાં આ પ્રસંગે ખાસ અમદાવાદના સંગીતકાર સની શાહ દ્વારા સંગીતઆપવામાં આવ્‍યું. બપોરે ૨:૩૦ કલાકે મહેંદી પ્રભુના નામની - મહેદી રસમનો કાર્યકમ ખૂબ જ ઉલ્લસ પૂર્વક કરવામાં આવ્‍યો. જેમાં રાજકોટનાં મહેંદી કલાકાર ચંદ્રિકાબેન બ્રિજેશભાઈ હાંસલીયા અને રિધ્‍ધિબેન રોહિતભાઈ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મહેદી મૂકવામાં આવી હતી.

ઉપરોકત સમગ્ર તમામ ધાર્મિક કાર્યો નૈસર્ગીક નિવેદપથ નિર્વાહક, શાસન પ્રભાવક પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય હર્ષશીલ સૂરીશ્વરજી મહારાજા, પૂ. ગણીવર્ય શ્રી હેમતિલક વિજયજી મ.સા. તથા પર્યાય સ્‍થવીર પૂજય કુમુદચંદ્ર વિજયજી મ.સા. તથા પૂ. તપાગચ્‍છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાય વર્તી વાત્‍સલ્‍ય નિધી પૂ. સાધ્‍વીજીશ્રી નિર્મમાશ્રીજી મ.સા. ના શિષ્‍યા વિદૂષી પૂ. સા. શ્રી ઈન્‍દુરેખાશ્રીજી મ.સા.ના શિષ્‍યા પૂ. સા. શ્રી નિરાગરેખાશ્રીજી મ.સા. , પૂ.સા. શ્રી દિવ્‍યગીરાશ્રીજી મ.સા. , પૂ. સા. શ્રી મોક્ષનંદિતાશ્રીજી મ.સા. આદી ગુરુભગવંતોની નિશ્રામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યા છે.

તા. ૭ ને શનિવારે મુમુક્ષુ નિસર્ગકુમારની પ્રવજયા મહોત્‍સવ શ્રી સંભવનાથ સ્‍વામી જીન પ્રાસાદ, શ્રી વર્ધમાનનગર જૈન સંઘ પેલેસ રોડ, ખાતે ચાલી રહેલ છે. જયારે નિર્વેદપથ સ્‍વીકાર વિજય રામચંદ્રસૂરી નિર્વેદપથ ઉદ્યાન, ત્રિભૂવન ભૂવન, સ્‍થાનકવાસી બોર્ડીંગ, માલવીયા પેટ્રોલ પંપ સામે, ડો. યાજ્ઞિક રોડ, ખાતે કરશે. શેઠ ઝાંઝણશા ભોજન ખંડ, મોઢ વણીક વિદ્યાર્થી ભવન, સ્‍થાનકવાસી બોર્ડીંગની સામે, રજપૂતપરા ખાતે સાધર્મિક ભકિતનું આયોજન કરાયેલ છે. ઉપરોકત તમામ દિવસે સર્વે ધર્માનુરાગી લોકોને પધારવા દયાબેન કાંતિલાલ પ્રેમચંદ શાહ પરિવારનું ભાવ ભર્યુ આમંત્રણ છે.

(4:06 pm IST)