વૈદિક સાહિત્યમાં બે દેવતાઓ વીણાના ધારણ કરનારા છે. એક છે માતા સરસ્વતી, ને બીજા ગ્રહોના પ્રવાસી, હાલતા ચાલતા સંગીતકાર કે જે ભગવાન વિષ્ણુના પરમ ભકત હતા. તે દેવર્ષી નારદ. વીણા અને કરતાલ લઈ ‘નારાયણ નારાયણ' કરતા નારદ ત્રણેય લોક વચ્ચેના સમાચારોના વાહક, પ્રેક્ષક કે સર્જક (?) હતા. નારદજી માત્ર જનતા જ નહિં પરંતુ દેવતાઓ વચ્ચેના સ્વયંભુ સંદેશવાહક હતા. અરે સ્વયં ભગવાનને પ્રાથમિક માહિતી આપનારા મુખ્ય સાધન નારદજી હતા.
મીડીયાના પ્રભુત્વવાળા આજના જમાનામાં, જયાં માહિતીને યોગ્ય અયોગ્ય રીતે વહેંચવામાં આવે છે જયાં યલો જર્નાલીજન્મના આક્ષેપો છવાયેલા છે અને પક્ષીય ધોરણે રજૂઆતો થઈ રહ્યાની વ્યાપક ફરીયાદો થાય છે ત્યારે શ્રી નારદજીએ ધર્મને નજરે રાખી, સત્યને નીતિમત્તાને વધારવાના ભાગરૂપે રીપોર્ટીંગ કરી આપણને સત્યનિષ્ઠ, રાષ્ટ્રનિષ્ઠ સંવાદદાતા બની રહેવાનો રસ્તો ચિંધ્યો છે.
પૃથ્વી હોય, આકાશ હોય કે પાતાળ, દિશાના બંધન વગરના કાર્યક્ષેત્રના પ્રવાસી, શ્રી નારદજીનો જન્મ વૈશાખ વદ એકમના રોજ મનાવવામાં આવે છે. આવો આ બહુમુખી પ્રતિમા ધરાવનાર વિશે થોડુ જાણીએ.
એ વિશ્વના પ્રથમ પત્રકાર હતા એટલુ જ નહિં ‘સમગ્ર વિશ્વના પત્રકાર' હતા. આપણા વૈદિક સાહિત્યમાં રીપોર્ટીંગને તે પણ ઓરલ રીપોર્ટીંગ કરનારા પ્રથમ બે મહાનુભાવો જણાય છે તેમાં એક નારદજી હતા અને બીજા હતા સુત પુત્ર ‘સંજય' જેને દિવ્યદૃષ્ટિ મળી હતી (આજના ટીવી રીપોર્ટર જેવા) આમ તો નારદજી પણ દાસી પુત્ર કહેવાતા. આમ બંને સંવાદદાતાની વિશેષતા એક સરખી નથી??
જેમ શ્રી કૃષ્ણએ પોતાનું બૃહદ વિશ્વરૂપ અર્જુનને બતાવેલ તેમ કહેવાય છે કે નારદજીને વિષ્ણુ ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શાવેલુ. આમ તો તે બ્રહ્માના માનસપુત્ર હતા તથા માતા તરીકે સરસ્વતીમાતા ગણાય છે. સનત્કુમારો પછી બ્રહ્માજીએ નારદને સર્જેલા. તેમના જન્મની કથા ભાગવત પુરાણ તથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં અલગ અલગ રીતે વર્ણવેલ છે. જેનું સુંદર આલેખન, લબ્ધ પ્રતિષ્ઠિત ડો.ચંદ્રકાંત મહેતા (ગુજ. સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ સાહિત્યકાર' ઘોષિત ગુજ. યુનિ.ના ઉપકુલપતિ)ની નાનકડી પુસ્તિકા ‘દેવર્ષિ નારદ'માં કરેલ છે. ભાગવત પુરાણમાં શ્રી નારદ, ભગવાન વ્યાસને ‘પોતે વેદસ બ્રાહ્મણોની એક દાસીના પુત્ર' ગણાવે છે. જયાં આશ્રમમાં ઋષિઓની સેવા કરતા અને તેઓનું જૂઠુ એઠુ ખાતા રહેતા. જેના કારણે નારદથી પૂર્વે થયેલા પાપ કર્મોમાંથી મુકિત મળી હતી. અલબત અતિ નાની વયમાં તેના માતાજી સર્પદંશને થતા મૃત્યુ પામેલા. તેથી વિરકિત આવતા, આશ્રમ છોડી જંગલમાં ઘુમવા લાગ્યા કહેવાય છે કે એક દિવસ નાની વય અને ભૂખ તરસથી વ્યથિત થઈ, વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યુ. જેમાં ભગવાન વિષ્ણુએ તેને દર્શન આપેલા અને પૂર્ણ દર્શન મેળવવા, સાધુ લોકોની સેવા કરતા કરતા વિષ્ણુ ભકિતમાં લીન રહેવાનો આદેશ આપેલો. જેના કારણે પૃથ્વી ભ્રમણ કરતા રહી મૃત્યુ પામેલ અને નવા જન્મમાં વિષ્ણુના માનસપુત્ર રૂપે ઉત્પન્ન થયેલા.
તેના જન્મની એક અન્ય કથામાં ભકિતનું તત્વ કારણરૂપ બનેલુ. આ કથા પ્રમાણે સૃષ્ટિ રચનામાં સહાય થાય તે હેતુથી બ્રહ્માજીએ નારદને પોતાના કંઠમાંથી ઉત્પન્ન કરેલા. પરંતુ ઉલટુ થયુ. પોતાને સોંપાયેલ હતુ કામ સૃષ્ટિના સર્જન વિસ્તરણનું. પરંતુ નારદે અનુભવ્યુ કે સૃષ્ટિનું કાર્ય તો ભકિતની આડે આવે છે એટલે સૃષ્ટિ કાર્યને વિસારે પાડયુ અને ને નારદજી તો ભકિતમાં રત રહેવા લાગ્યા આ જોઈ પિતા બ્રહ્મા ગુસ્સે થઈ ગયા અને શાપ આપ્યો. જેને કારણે ગંધર્વ લોકમાં જન્મ થયો. કહેવાય છે ગંધર્વરાજની અપ્સરાઓના નૃત્ય જોઈ નારદ વિચલીત થઈ ગયા. તે જાણી બ્રહ્માજીએ ગાંધર્વલોકમાંથી કાઢી મૂકી મનુષ્ય યોનીમાં નાખી દીધા.
નારદ ભકિતના જીવંત રૂપ હતા ને તેથી ભકિતના વર્ય પર્યાયરૂપે નારદ ભકિત શબ્દ બન્યો છે. જન્મોની કથાઓ છોડી તો નારદ નારાયણ ભકિતના પર્યાય તરીકે અને તેના વિશ્વ પ્રવાસીપણાને જ લોકોએ આત્મસાત કર્યુ છે. એટલુ જ નહિં અનેક લોકોહિત, કિવદંતી, લોકવાયકાઓમાં નારદજી આસપાસ વણાય ગઈ છે. દેવ દેવ વચ્ચે, દેવ દાનવ વચ્ચે, રાજા રાજા વચ્ચે વિવાદ સર્જનારા નારદજી ડબલ ધોલકી બજાવનારા તરીકે પણ વગોવાયા છે. આમ જોવા જાવ તો નારદજી આવા કાર્યો દ્વારા, વિવાદો દ્વારા સત્યને ઉજાગર કરનારા હતા. સત્યને પ્રસ્થાપિત કરવાની આ તેની ‘કઠોર' રીત હતી. આમ છતા તેના આવા શુદ્ધ હેતુને કારણે કંઈકને લડાવનાર નારદજી બધાને પ્રિય રહ્યા હતા.
નારદ પુરાણ અનુસાર નારદજી અને સનત્કુમારો વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન થયેલુ. હકીકતે તો નારદે ભગવાન વિષ્ણુની લીલા પર સનત્કુમારોને પૂછેલ પ્રશ્નો અને તેના જવાબોનો સાર છે નારદ મહાપુરાણ. જેની રચના મુનિ શ્રી બાદરાયણ (વેદ વ્યાસ)એ કરેલી. જેમાં ૨૨૦૦૦થી વધારે શ્લોકસ દ્વારા નારદજીએ આપણા જીવનના આચાર વિચાર તેમજ ૧૬ સંસ્કાર થી લઈ સૃષ્ટિની ઉત્પતિ વગેરે બાબતોની ચર્ચા કરી છે.
મહારાષ્ટ્રના પંઢરપુરના પ્રખ્યાત વિઠલા વિઠોબા (યાને ભગવાન વિષ્ણુનુ એક રૂપ) સાથે પણ નાદરનું નામ જોડાયેલુ છે. (વીકીપીડીયામાં જણાવ્યા પ્રમાણે) જૈન ધર્મમાં પણ જૈન કોસ્મોલોજીકલ સાયકલમાં ૯ નારદ ભગવાનના વર્ણન છે.
મહાભારતમાં નારદજીને વેદ ઉપનીષદના સ્કોલર તરીકે દર્શાવાયા છે. કેટલાક કલ્પવીતી ગયા હોવા છતા તે દરેક કલ્પની વિગતો નારદ પાસે અકબંધ રહી હતી તેની આ અદ્દભૂત સ્મૃતિને કારણે જ વધુ સ્મૃતિવાળા વ્યકિતને નારદ સ્મૃતિવાળા વ્યકિત તરીકેનું બિરૂદ મળે છે. તેના જ્ઞાન, ભકિત, યાદશકિત અને સમાજ સેવાને કારણે નારદ જ એક એવા વ્યકિત છે જે દેવર્ષિ કહેવાય છે. મહર્ષિ કહેવાય છે તેમજ રાજર્ષી તરીકે પણ ઉલ્લેખાયા છે. કારણ કે નારદજી મુનિ શ્રી વેદવ્યાસ, શુકદેવજી તથા વાલ્મીકીજીના પણ ગુરૂ ગણાય છે. એક ઉલ્લેખ પ્રમાણે દક્ષ પ્રજાપતિના ૧૦૦૦૦ પુત્રોને નારદજીએ પ્રશિક્ષિત કરેલા.
જેટલા સંગીતયજ્ઞ (?) નારદજી ગણાય છે. તેટલા જ ન્યાય શાષાી પણ ગણાયા છે. તેણે ઘણા ભકતોને ન્યાય અપાવવામાં કે ભકતોની ભકિત વિષ્ણુ ભગવાનને પહોંચાડવાનું કાર્ય કરેલુ છે. જેમ કે ભકત ધ્રુવ, અંબરીશ, રાજા અને ભકત પ્રહલાદ. માત્ર ન્યાય જ નહિં પણ નારદજી યુદ્ધ વિદ્યાના માહિર પણ ગણાય છે. ધર્મ હોય કે રાજનીતિ, આનંદ હોય કે મોક્ષ જેવા ગંભીર હોય કે સાહજીક વિષય, દરેક પર ઉપદેશ, જ્ઞાન આપવાની ક્ષમતા નારદમાં હતી. સાંખ્ય દર્શન, યોગ દર્શન જેવા આધ્યાત્મિક વિષયો પર ઋષિઓના પ્રશ્નોનું સમાધાન એ આપતા. કહેવાય છે કે બહુ જ્ઞાની બૃહસ્પતિ ઋષિને પણ નારદજીએ સંતુષ્ટ કરેલા. જયારે એક વાત પ્રમાણે બૃહસ્પતિજીને નારદજીએ ગુરૂ માનેલા.
યુદ્ધની વિદ્યા હોય લડાઈ હોય કે સંધી કે સમાધાન હોય, નારદજીનું ઉંડુ દર્શન દરેકને દિશા આપતુ. તેણે પ્રશ્નનો ઉકેલ મેળવાતો.
કેટલાય બનાવો તો ઈશ્વરને અવતાર ધારણ કરવાના = બેક ગ્રાઉન્ડ તૈયાર કરનારા માધ્યમ તરીકે નારદજી હતા. જેમ કે કારાગાર સ્થિત વાસુદેવ - દેવકીના જન્મતા દરેક બાળકને તુર્ત મારી નાખવાની કંસને સલાહ આપવા પાછળ નારદજીની આઠમા બાળક તરીકે કૃષ્ણ તુર્ત જન્મ લે તેવી હતી !
કહેવાય છે ખુદ શંકર ભગવાનને પણ નારદજીએ મદદ કરેલુ. થયુ એવુ કે ભશ્માસુર રાક્ષસને ભસ્માસુર કોઈને પણ માથે હાથ મૂકે તો તે બળી જશે તેવુ વરદાન મહાદેવજીએ આપ્યુ. જેથી ભસ્માસુર શંકર ભગવાનને માથે હાથ મૂકવા દોડયો. આવે સમયે શ્રી નારદજી પ્રગટ થઈને ભસ્માસુરને નૃત્ય કરાવવા લાગ્યા જેને કારણે ભસ્માસુરનો પોતાનો હાથ જ પોતાના માથે ગયો અને તે બળી ગયો. આમ શંકર ભગવાનને પણ મદદ કરેલી. તે જ રીતે સમુદ્ર મંથન કરતા નીકળેલા અમૃત કુંભને રાક્ષસ પાસેથી પાછો મેળવવા ભગવાન વિષ્ણુનેસ્ત્રી બની અસૂરોને રમાડી, અમૃત કુંભ મેળવવાની સલાહ નારદજીએ જ આપેલી. બાલી જેવા બળવાનને પણ ‘રાવણને પૂછમાં ઉલ્જાવી' રાખવાની સલાહ નારદજીએ આપેલી.
સમાજમાં ફેલાયેલી અયોગ્ય આચાર પદ્ધતિથી નારાજ થયેલા નારદજી વિષ્ણુ ભગવાનને સમાજ કેમ સુધરે, સત્ય નિષ્ઠા કેમ વધે તેનો ઉપાય પૂછે છે. જેના પરિણામે ભગવાન સત્યનારાયણ કથાનો જન્મ થયેલો. જે કથાના વ્રતનો વૃતાંત વિષ્ણુ ભગવાન પોતે વર્ણવે છે.
લગ્ન કરાવતા ગોર મહારાજજી પણ નારદજી હતા. જેમ કે ભૃગું કન્યા લક્ષ્મીજીના વિવાહ શ્રી વિષ્ણુ ભગવાન સાથે કરાવ્યા. તો ઈન્દ્રને સમજાવી ઉર્વશીના લગ્ન પુરૂરવા સાથે કરાવ્યા. વેદ વ્યાસની વ્યથા જોઈ ને મહાભારત રચવાની પ્રેરણા આપનાર નારદજી હતા. તો વાલ્મીકીને પણ રામાયણ લખવા તેણે પ્રેરણા આપેલી.
સાચુ પુછો સમાજ રચનાના એકેએક અંકોડાની ચિંતા આપણા પત્રકાર નારદજીએ કરી છે. શ્રી નારદજી આજે પણ હશે. કારણ કે કહેવાય છે કે તેઓને ચિરંજીવીપણાના આર્શીવાદ મળેલા છે. આજના પત્રકારોને માટે આ વાત દીવા સમાન રહે તેથી આ વિગતો જણાવી છે.(૩૭.૬)
શ્રી ત્રિલોક ઠાકર
પૂર્વ તંત્રી સંકલન શ્રેણી, રાજકોટ
મો.૯૮૨૪૩ ૪૨૦૪૨