Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ખાનગી સોસાયટીઓમાં જનસુખાકારીના કામોમાં ૨૦% ગ્રાન્ટના નિર્ણયને આવકારતા પદાધિકારીઓ

ધારાસભ્ય અથવા કોર્પોરેટ ૨૦% ગ્રાન્ટ ફાળવી શકશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પર અભિનંદન વર્ષા

રાજકોટ તા. ૨ : ખાનગી સોસાયટીમાં જનસુખાકારીના કામો કરવા અંગે ધારાસભ્ય અથવા કોર્પોરેટરશ્રીઓની ગ્રાંટમાંથી ૨૦% રકમ ફાળવવાના મહત્વપૂર્ણ નિર્ણય કરવા બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરીને અભિનંદન પાઠવતા મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજયના મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં છે. આ યોજનામાં ખાનગી સોસાયટી, હાઉસીંગ બોર્ડની વસાહતો તેમજ ફલેટોમાં જનભાગીદારીના કામોમાં રહીશોને ૧૦% રકમ ભોગવવી પડતી હતી. આંતરિક રસ્તા, ડામરકામ કે પેવિંગ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈન, વોટર હાવર્િેસ્ટંગ, ભૂગર્ભ ગટરના કામો માટે રાજય સરકાર ૭૦% ગ્રાંટ આપે છે. જયારે ૨૦% ખર્ચ ખાનગી સોસાયટીઓએ ભોગવવાનું રહે છે. જયારે ૧૦% રકમ સ્થાનિક સંસ્થા-સોસાયટીઓ ભોગવે છે.

રાજય સરકારે શહેરમાં જનસુખાકારીના કામોને ધ્યાને લઈ લોકોને વધુને વધુ લાભ થાય તે હેતુસર ખાનગી સોસાયટીઓ, ફલેટો અને હાઉસીંગ બોર્ડની વસાહતોમાં રહીશોને લોકફાળાની ભરવાની થતી ૨૦% રકમ માટે ધારાસભ્ય, નગરપાલિકાના સભ્ય, મહાનગર પાલિકાના કોર્પોરેટરો તેમની ગ્રાંટ ફાળવી શકશે. ધારાસભ્યો, નગરપાલિકાના સભ્ય અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો અગાઉ માત્ર ૧૦% ગ્રાંટ ફાળવી શકતા તેને બદલે તેઓ હવે ૨૦% ગ્રાંટ ફાળવી શકશે, તે મુજબનો મહત્વપૂર્ણ નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અભિનંદન સાથે આ નિર્ણયને આવકારેલ છે.

(3:49 pm IST)