-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
કાલે ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા નાનકભાઈની પાંચમી પુણ્યતિથિ
(૧)સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેદ્યાણી(૨) પોતાના વ્હાલા પુત્ર નાનકના ૧૨માં જન્મદિને પ્રેમાળ પિતા ઝવેરચંદ મેદ્યાણીના આશીર્વાદ (૩) બાલ્યાવસ્થાનું સંભારણુ
રાજકોટ, તા. ૧૯ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન ના સ્થાપક પિનાકી મેઘાણીના પિતા નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીએ ૨૦ જુલાઈ ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. એમની પાંચમી પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ થશે. ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તે સમયે, સ્વ. નાનકભાઈ મેઘાણીના નિધન અંગે ઊંડા દુૅંખની લાગણી વ્યકત કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ત્રીજા સંતાન નાનકભાઈનો જન્મ ભાવનગરમાં ૨૯ ડિસેમ્બર ૧૯૩૧ ના દિવસે થયો હતો. જોડિયા-પુત્રો મસ્તાન-નાનક માંડ એકાદ વર્ષના હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું. શાળા-શિક્ષણ બોટાદ, કડી અને અમદાવાદમાંથી મેળવીને મુંબઈની વિલ્સન કોલેજમાંથી ભૌતિક-વિજ્ઞાન (physics) વિષય સાથે નાનકભાઈ સ્નાતક થયા. અભ્યાસમાં ખૂબ તેજસ્વી. ઝવેરચંદ મેઘાણી કહેતા બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે . આમાંથી પ્રેરણા લઈને નાનકભાઈ છેલ્લા પાંચ દાયકાઓથી વધુ પુસ્તક-વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. શરૂઆતના પાંચેક વર્ષ મોટાભાઈ મહેન્દ્રભાઈ મેઘાણી સાથે ભાવનગર સ્થિત લોકમિલાપમાં કાર્યરત રહ્યા. ત્યારબાદ ૧૯૬૧માં રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે સાહિત્ય મિલાપ ની તેમજ ૧૯૭૭માં અમદાવાદ ખાતે ગ્રંથાગાર ની સ્થાપના કરી. ઉત્ત્।મ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમના માટે આજિવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. તેઓ હમેશાં કહેતા : I am a book lover and not a book-seller .ગુજરાતી સાહિત્ય અને ભાષામાં સવિશેષ રસ અને સૂઝ ધરાવતા. અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પર પણ સારું પ્રભુત્ત્વ. નિજાનંદ માટે લખતા. ભાવનગરથી પ્રગટ થતા મિલાપ માસિકમાં મોટાભાઈ મહેન્દ્રભાઈ મેઘાણી સાથે સહાયક તરીકે કાર્ય કર્યું હતુ. મહેન્દ્રભાઈ સાથે કોન-ટિકિ , તળાવડીને આરે જેવા પુસ્તકોનો અંગ્રજીમાંથી ગુજરાતી અનુવાદ પણ કરેલો. અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું (offering but a drop from the ocean unbound that knowledge is) જેવું પ્રેરક સૂત્ર તેઓએ સંસ્કૃતમાં લખેલું. તેઓની જીવન ખૂબ જ સાદું હતું. આજીવન ખાદીના વસ્ત્રો જ પહેર્યા. સ્વચ્છતાનાં પણ ખૂબ જ આગ્રહી. પોતાનાં કપડાં અને વાસણ જાતે ધોવા તેમજ પોતાનાં બાથરૂમની સફાઈ કરવાનો નિત્યક્ર્મને તેઓએ અંતિમ દિવસે પણ જાળવ્યો હતો. Simple living and high thinking તેઓનું જીવન-સૂત્ર હતું.પુત્ર પિનાકીના સતત પથદર્શક રહ્યા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનને નિરૂપતી વેબ-સાઈટ www. jhaverchandmeghani.com માં પણ સ્વ. નાનકભાઈનો સિંહફાળો હતો. ૩૦ જાન્યુઆરી ૨૦૧૪ – ગાંધી નિર્વાણ દિને રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ૩૦૦૦ જેટલાં બાળકોએ ગાંધી બાપુને સ્વયંસ્ફૂર્ત પત્ર લખીને પોતાની લાગણીઓ વ્યકત કરી હતી. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ-રૂપે ચૂંટેલા પત્રોના સંકલિત અંશોની પુસ્તિકા બાપુ, તમે કયાં છો નું પ્રુફ પણ તેઓ ખૂબ ચીવટપણે નિધનના આગલે દિવસે જોઈ ગયા હતા.પોતાના દરેક સંતાનનાં જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને અચૂક ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે બાપુજી ની આ મહામૂલી ભેટનો આતુરતાપૂર્વક રાહ જોતા.પોતાના એક જન્મદિવસે, બંધુ-બેલડી નાનક-મસ્તાન બાપુજી ને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ? પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને બાપુજી તરીકે સહી કરી.
આલેખન
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)