Gujarati News

Gujarati News

News of Sunday, 11th September 2022

મોરારીબાપુના શ્રીમુખેથી ઇસ્ટ આફ્રિકામાં "રામ રક્ષા"903મી કથાનો પ્રારંભ

મોરારીબાપુએ કહ્યું કે અહીં સીતાજીની ખોજમાં નીકળેલાં ભગવાન શ્રીરામ જટાયુ, શબરી વગેરેનો ઉદ્ધાર કરીને આખરે પંપા સરોવર પહોંચે છે. ત્યારે ત્યાં નારદજીનો ભેટો થાય છે

 (તખુભાઈ સાંડસુર દ્વારા  ) તલગાજરડા :ઇસ્ટ આફ્રિકામાં આવેલા ટાંઝાનિયા દેશનો ટાપુ ઝાંઝીબાર ખાતે પૂ. મોરારીબાપુના શ્રી મુખેથી રામચરિત માનસ" માનસ રામ રક્ષા "ના નામાભિધાનથી 903મી કથા તારીખ 10 -9 -22 ના રોજ શનિવારે ભારતીય સમય સાંજના છ કલાકે પ્રારંભ થયો.

 અત્રે યાદ રહે કે ઝાંઝીબાર બંદર એક સમયે ધમધમતું સમુદ્રી બંદર હતું.આ બંદર પર ગાંધીજી વિલાયતના પ્રવાસ માટે સમુદ્રી મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં ઉતર્યા હોવાનો ઉલ્લેખ તેઓ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં કર્યો છે.બંદર ખૂબ રમણીય ચોતરફ દરિયા કિનારાથી ધેરાયેલો એક ટાપુ છે.

     પૂ.મોરારીબાપુએ પ્રથમ દિવસે પોતાની વાણીને મુખર કરતાં કહ્યું કે હું ઇસ્ટ આફ્રિકા ઘણીવાર આવ્યો છું. કદાચ પહેલી રામકથા વિદેશમાં લઈને પણ ઇસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નેરોબી આવ્યો હતો. કથાના યજમાન નિમિત્ત માત્ર પરિવાર નિલેશભાઈ જસાણી અને રામસ્થ રમાબેને કથા સિવાય કશું માગ્યું નથી. 

અરણ્યકાંડનો ઉલ્લેખ કરતાં મોરારીબાપુએ કહ્યું કે અહીં સીતાજીની ખોજમાં નીકળેલાં ભગવાન શ્રીરામ જટાયુ, શબરી વગેરેનો ઉદ્ધાર કરીને આખરે પંપા સરોવર પહોંચે છે. ત્યારે ત્યાં નારદજીનો ભેટો થાય છે અને નારદજી એવો સવાલ કરે છે કે તમે મારા લગ્ન એ વિશ્વ મોહિની સાથે થતાં અટકાવ્યા કેમ અને તેના પ્રત્યુતરમાં ભગવાન શ્રીરામ "રામ રક્ષા સ્ત્રોત" સંભળાવે છે. આજની કથામાં મહાત્મ્યની પણ વિશેષ ચર્ચા થઈ.

પ્રથમ દિવસની કથામાં ઉપસ્થિત ભારતમાં હાઈ કમિશનર શ્રી વિનયભાઈ પ્રધાને પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે નજીકમાં આવેલું દારે સલામ કે જ્યાં 35000 જેટલા ભારતીય વસે છે અને હું બાપુને વિનંતી કરું છું કે આપ એક દિવસ માટે દારે સલામ પણ પધારો. તેઓએ પોતાના જીવનમાં રામચરિત માનસ કેવી રીતે વણાયું છે તે વાત પણ પ્રસ્તુત કરી હતી. કથા યજમાનશ્રી ટીનાભાઈના પરિવાર દ્વારા સૌ સ્વાગત અને કથાનું આયોજન પ્રસ્તુત થયું હતું.

  આ કથામાં ગુજરાતના સાહિત્ય જગત અને ધર્મ જગત સાથે જોડાયેલાં સૌ પણ કથા શ્રવણનો લાભ મેળવી રહ્યાં છે.ભારતથી ટાન્ઝાનિયાનો સમય બે કલાક પાછળ હોય છે.દારેસલામ તેનું પાટનગર છે અને તે ઝાઝિબારથી 100 કિમી દુર છે.

(4:45 pm IST)