News of Wednesday, 28th October 2020
નવી દિલ્હી,તા.૨૮ : હરિયાણાના વલ્લભગઢમાં લવ જેહાદનો ભોગ બનેલી દીકરી નીકિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. મેવાત વિસ્તારમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને મચેલા હોબાળા વચ્ચે પરિવારજનોએ ભગ્ન હદયે દીકરીને અંતિમ વિદાય આપી. ગુસ્સે ભરાયેલા પરિજનો અને દેખાવકારોએ દિલ્હી-મથુરા નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. આ બાજુ મૃતક છોકરીના ભાઈ નવીન તોમરે જણાવ્યું કે હત્યાનો આરોપી તૌસીફ કોંગ્રેસ ધારાસભ્ય આફતાબ અહેમદનો ભત્રીજો છે. તે વગદાર લોકો છે. તેમને પૂરેપૂરો પોલિટિકલ સપોર્ટ છે. નીકિતાના ભાઈએ કહ્યું કે બે વર્ષ પહેલા પણ મારી બહેનને હેરાન કરવાની કોશિશ કરી હતી. પોલીસમાં ફરિયાદ તો થઈ પરંતુ આ લોકો વગદાર છે એટલે અમે ડરી ગયા અને પંચાયત સામે સમાધાન કરી લીધુ. નીકિતાના મામા આદલ રાવતે કહ્યું કે 'અમે જો ૨ વર્ષ પહેલા સમાધાન ન કરત તો તેનો જીવ બચી શક્યો હોત.
૨૦૧૮માં તૌસીફે અમારી પુત્રીનું અપહરણ કર્યું હતું. અમે એફઆઈઆર નોંધાવી અને તેને અરેસ્ટ કરાવ્યો. તૌસીફના પરિજનોએ અમારી માફી માંગી અને કહ્યું કે હવે આવું નહીં થાય. ત્યારબાદ અમે સમાધાન કરી લીધુ. તૌસીફના દાદા ખુર્શીદ અહેમદ એમએલએ અને મંત્રી રહી ચૂક્યા છે. તેમનો પુત્ર આફતાબ અહેમદ પણ કોંગ્રેસમાં એમએલએ છે, ૪૦-૫૦ વર્ષથી આ પરિવાર રાજકારણમાં છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સીધા સંબંધ છે.' તેમણે કહ્યું કે આજે આ અપ્રિય ઘટના ન ઘટી હોત તો કદાચ અમે આજે પણ સમાધાન કરી લેત કારણ કે તેઓ ખુબ પાવરફૂલ લોકો છે. અત્રે જણાવવાનું કે હાથરસ મામલે રાજકારણ રમનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મામલે ચૂપકીદી સાધી છે. હાથરસ કેસમાં તેમણે ખુબ ફોટા પડાવ્યા, વીડિયો બનાવ્યા પરંતુ નીકિતા કેસમાં હજુ સુધી તેમનું કોઈ નિવેદન આવ્યું નથી. મૃતક વિદ્યાર્થીની નીકિતાના પિતાનો દાવો છે કે આરોપીની માતા છેલ્લા બે વર્ષથી પુત્રી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી હતી અને તે અનેકવાર તેની પુત્રીને ફોન કરીને તેનો ધર્મ પરિવર્તન કરવા માટે કહેતી હતી જેના કારણે મારી પુત્રી ખુબ પરેશાન હતી. આ બધા વચ્ચે બલ્લભગઢના નીકિતા હત્યાકાંડમાં બંને આરોપીઓ તૌસીફ અને રેહાનને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. કોર્ટે આ કેસમાં આગળની તપાસ માટે માંગવામાં આવેલા પોલીસ રિમાન્ડને મંજૂરી આપી દીધી.