Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પંજાબના CM ભગવંત માનના ઘરે ઘોડિયું બંધાયું : પત્‍નિ ગુરપ્રીત કૌરે બાળકીને આપ્‍યો જન્‍મ

ભગવંત માન ૫૦ વર્ષની ઉંમરમાં ત્રીજી વખત પિતા બન્‍યા

ચંદીગઢ, તા.૨૮ : પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનના ઘરે ખુશીઓ આવી છે. તેમની પત્‍ની ડો. ગુરપ્રીત કૌરે પુત્રીને જન્‍મ આપ્‍યો છે. ગત રાત્રે જ સીએમ માનની પત્‍ની ડો. ગુરપ્રીત કૌરને મોહાલીના ફોર્ટિસ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેની જાણકારી પોતે સીએમ ભગવંત માને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ નાખીને આપી. તેમણે લખ્‍યુ છે, ભગવાને પુત્રીની ભેટ આપી છે. માતાપ્રબાળકી સ્‍વસ્‍થ છે. મુખ્‍યમંત્રી ભગવંત માન ૫૦ વર્ષની ઉંમરમાં ત્રીજી વખત પિતા બન્‍યા છે. તેમની પહેલી પત્‍નીથી તેમને ૨ બાળકો છે.

૨૬ જાન્‍યુઆરીએ ગણતંત્ર દિવસના સમારોહને સંબોધિત કરતા સીએમ ભગવંત માને જાણકારી આપતા કહ્યુ હતુ કે મારી પત્‍ની ડો. ગુરપ્રીત કૌર ૭ મહિનાની ગર્ભવતી છે. માર્ચમાં અમારા ઘરે ખુશીઓ આવશે. અમે એ જાણવાનો કયારેય પ્રયત્‍ન કર્યો નથી કે પુત્રી આવશે કે પુત્ર. મારી બસ એ જ ઈચ્‍છા છે કે પુત્ર કે પુત્રી જે પણ આવે, બસ તંદુરસ્‍ત આવે.

૭ જુલાઈએ ૨૦૨૨એ સીએમ ભગવંત માન પોતાનાથી ૧૬ વર્ષ નાની લગભગ ૩૨ વર્ષની ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. સીએમ માનના આ બીજા લગ્ન હતા. ડો. ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે અને એમબીબીએસ ડોક્‍ટર છે.

સીએમ ભગવંતના પહેલા લગ્ન ઈન્‍દરપ્રીત કૌર સાથે થયા હતા પરંતુ વર્ષ ૨૦૧૫માં બંનેએ આંતરિક સંમતિથી ડિવોર્સ લઈને અલગ થવાનો નિર્ણય કર્યો. ડિવોર્સ બાદ ઈન્‍દરપ્રીત બંને બાળકોને લઈને અમેરિકા જતી રહી.

(3:01 pm IST)