Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કફ સિરપથી મોત મામલો: કેન્દ્ર દ્વારા 18 ફાર્મા કંપનીના લાયસન્સ રદ્દ

ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની ફાર્મા કંપનીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી દવાઓ બનાવનારાઓ પર કાર્યવાહી કરવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી છે. આ હેઠળ ઘણી ફાર્મા કંપનીઓમાં ઘટાડો નિશ્ચિત છે. પ્રથમ તબક્કામાં DCGI દ્વારા દેશની 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમ દ્વારા આ આશ્ચર્યજનક કાર્યવાહી કરવામાં આવી છે.

છેલ્લા પંદર દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય દવા પીવાથી કેટલાક દેશમાંથી મૃત્યુના અહેવાલ આવ્યા હતા અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને ગુજરાત સ્થિત ફાર્મા કંપની ઝાયડસ લાઇફસાયન્સે યુએસ માર્કેટમાંથી ગાઉટની સારવાર માટે ઉપયોગમાં લેવાતી જેનેરિક દવાની 55 હજારથી વધુ બોટલો પરત મંગાવી હતી.

18 દવાની કંપનીઓના લાયસન્સ રદ્દ કરવા સિવાય 3 ફાર્મા કંપનીની પ્રોડક્ટ પરમિશન પણ બંધ કરી દીધી છે. જ્યારે 26 ફર્મને કારણદર્શન નોટિસ ફટકારી છે. નિરિક્ષણ કરવા માટે કુલ 203 ફાર્મા કંપનીઓની ઓળખ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દેશના 20 રાજ્યોમાં ડીસીજીઆઈએ 15 દિવસથી કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી હતી અને આગળ પણ આ કામ ચાલુ રાખવામાં આવશે.

આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કાશ્મીર, કર્ણાટક, મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હી નજીક નોઈડામાં ફાર્માસ્યૂટિકલ કંપનીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોત થયા હતા. તેમના પર ભેળસેળયુક્ત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરવાનો આરોપ હતો.

(8:42 pm IST)