Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સફરજનના ભાવ ગગડતાં ખેડૂતો અને સરકાર ચિંતામાં

હિમાચલ પ્રદેશમાં સરફજનનું મબલખ ઉત્પાદન થયું : થોડા સમય પહેલાં ૩૦૦૦માં વેચાતી પેટીના ભાવ ૧૫ દિવસમાં ઘટીને રૂપિયા ૧૫૦૦થી ૧૮૦૦ થઈ ગયા છે

સિમલા, તા.૨૬ : ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતા હિમાચલ પ્રદેશમાં વર્ષે સફરજનના થયેલા મબલખ ઉત્પાદન બાદ ભાવ ગગડી ગયા છે અને તેના કારણે વેપારીઓ નહીં પણ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હવે ખેડૂતોને મંડિઓ તેમજ માર્કેટમાં હાલ સફરજન ઓછા મોકલવા માટે અપીલ કરી છે. કારણકે છેલ્લા ૧૫ દિવસમાં સફરજનના ભાવ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા પ્રતિ પેટી ગગડી ચુકયા છે. દરેક પેટીમાં ૨૫ થી ૩૦ કિલો સફરજન હોય છે.

તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે ખેડૂતોને અપીલ કરી છે કે, માર્કેટમાં હમણા ઓછા સફરજન મોકલો. આગામી દિવસોમાં માર્કેટમાં સુધારો જોવા મળશે તેવી આશા છે અને બીજી તરફ જેમની પાસે સ્ટોરેજની ક્ષમતા છે તેમને પણ આગ્રહ કરવામાં આવશે કે તેઓ વ્યાજબી ભાવે સફરજન ખરીદે. જેથી ખેડૂતોને નુકસાન ના થાય.

ખાનગી કંપનીઓ પાસે સારો ભાવ મળશે તેવી ખેડૂતોની આશા પણ ઠગારી નિવડી છે. હાલમાં અદાણી કંપની દસ વર્ષ જૂના ૨૦૧૧ના ૬૫ રૂપિયે પ્રતિ કિલોના ભાવ પર ખરીદી શરૂ કરવા જઈ રહી છે.

વર્ષે રાજ્યમાં સાડા ચાર કરોડ પેટી સફરજનનુ ઉત્પાદનનુ અનુમાન છે. હજી કરોડ પેટીઓ માર્કેટમાં આવવાની બાકી છે. સારી ગુણવત્તા વાળા સફરજન પણ હાલમાં ૧૫૦૦ રૂપિયા અને વધારેમાં વધારે ૧૮૦૦ રૂપિયા પ્રતિ પેટીના ભાવે વેચાઈ રહ્યા છે. કેટલાક સમય પહેલા સફરજનની પેટી ૩૦૦૦ રૂપિયે વેચાતી હતી.

ખેડૂતોનુ કહેવુ છે કે, સરકારે ખાનગી કંપનીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી હોવા છતા ખાનગી કંપનીઓ અમારૂ શોષણ કરવા માંગે છે. ખેડૂતો સફરજનની ખરીદી માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની માંગણી કરીને આંદોલન કરવાના મૂડમાં પણ છે.

(7:29 pm IST)