Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નામ સાથે બે મેડિકલ સંસ્થાના નામ જોડાયા

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને યોગીની અનોખી શ્રધ્ધાંજલિ : અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલનને નિર્ણાયક વળાંક સુધી લઈ જવામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું યોગદાન જગજાહેર

લખનૌ, તા.૨૬ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજકીય મેડિકલ કોલેજ, બુલંદશહર અને સુપર સ્પેશિયાલિટી કેન્સર સંસ્થા, ચક ગંજરિયા, લખનૌનું નામકરણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નામ પરથી કરવાનો નિર્ણય લીધો છેઉલ્લેખનીય છે કે, ગત ૨૧ ઓગષ્ટના રોજ પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા અને લાંબા સમયથી પીજીઆઈ લખનૌમાં દાખલ હતા. ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહના અંતિમ દિવસોથી લઈને અંતિમ સફર સુધી સરકાર અને સંગઠનના પ્રમુખ લોકો પડછાયાની માફક સાથે રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહના નેતૃત્વમાં સરકાર અને સંગઠને તેમની દેખભાળ રાખી હતી અને તેમના સન્માનમાં કોઈ કસર બાકી નહોતી રાખી.

પ્રદેશ નહીં, દેશના રાજકારણમાં કલ્યાણ સિંહના કદનો અંદાજો આના પરથી લગાવી શકાય છે કે, તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે વડાપ્રધાન મોદી સમયાંતરે તેમના પરિવારજનો સાથે ફોનમાં વાત કરીને તેમના સ્વાસ્થ્યના સમાચાર મેળવતા રહેતા હતા. ઉપરાંત તેમના અવસાનના સમાચાર મળતા આગલા દિવસના તમામ કાર્યક્રમો છોડીને તેઓ શ્રદ્ધાંજલિ આપવા લખનૌ પહોંચી ગયા હતા.

પ્રદેશમાં ભાજપને ઉંચાઈએ પહોંચાડવામાં કલ્યાણ સિંહની ભૂમિકાથી કોઈ અજાણ્યું નથી. અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલનને નિર્ણાયક વળાંક સુધી લઈ જવામાં તેમનું યોગદાન જગજાહેર છે. રાજ્યપાલ પદેથી હટ્યા બાદ તેમણે ફરી ભાજપની સદસ્યતા ગ્રહણ કરી તો મુખ્યમંત્રીથી લઈને સંગઠનના ટોચના નેતાઓએ પણ એક માર્ગદર્શક તરીકે તેમને સન્માન આપ્યું. હવે તેમના અવસાન બાદ બુલંદશહરની રાજકીય મેડિકલ કોલેજ અને લખનૌની કેન્સર સંસ્થાનું નામ તેમના નામે કરી દેવામાં આવ્યું.

(7:28 pm IST)