News of Friday, 25th November 2022
ભાગલપુર, તા.૨૫ : બિહારના ભાગલપુરના ઈશાકચક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારની એક પરિણિતા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની માગણી સાથે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી રહી. આ દરમિયાન તેનો પતિ, માતા-પિતા અને સાસરીપક્ષના લોકો તેને સમજાવતા રહ્યાં. તમામ લોકો એને વિનંતી કરતા રહ્યાં. પરંતુ પરિણિતા કંઈ પણ સાંભળવા માટે તૈયાર નહોતી. પરિણિતા એવું કહેતી રહી કે, તે તેના ઈન્સ્ટાગ્રામવાળા પ્રેમી સાથે જ લગ્ન કરશે. પોલીસ સ્ટેશનમાં ઉભો રહેલો તેનો પતિ પણ માથુ ખંજવાળતો રહ્યો. પતિએ પત્નીને નવ મહિના પહેલાં જન્મેલા પોતાના બાળકનો પણ વિચાર કરવા માટે કહ્યું. ઘરે પરત આવવા માટે અનેક વિનંતીઓ કરી. તેમ છતા પણ પરિણિતા પોતાના પ્રેમીને છોડવા માટે તૈયાર થઈ નહીં. એ પછી ઝારખંડથી પરિણિતાના માતા-પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ ડ્રામા દરમિયાન કથિત પ્રેમી ગાયબ રહ્યો. પોલીસ સ્ટેશનમાં પ્રેમીના દાદા સપોર્ટ કરવા માટે પહોંચ્યા. પરિણિતાનો પ્રેમી બરારીની આઈટીઆઈ કૉલેજમાં અભ્યાસ કરે છે. આખી રાત તેણે પરિણિતા સાથે વાતચીત કરી હતી. બંનેમાં પ્રેમ થઈ ગયો. પરિણિતા ગઈ ૧૮ નવેમ્બરના રોજ પોતાના પતિને જણાવ્યા વગર બાળકને છોડીને જમુઈથી ભાગીને ભાગલુપ આવી હતી. પરિણિતાએ પ્રેમીને ફોન કર્યો. પ્રેમીના બદલે તેના ઘરના સભ્યએ ફોન ઉપાડ્યો. પછી પરિણિતા કહલગાંવ પોતાના સંબંધીના ઘરે પહોંચી. પછી ૨૩ નવેમ્બરના રોજ ભાગલપુર આવી અને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. પ્રેમીના દાદાએ અમારા સહયોગી એનબીટી ઓનલાઈનને જણાવ્યું કે, પરિણિતા તેના પૌત્રને પ્રેમ કરતી હોવાની વાત કરી રહી છે. આ મામલે સ્થાનિક વોર્ડના કોર્પોરેટરે પણ હસ્તક્ષેપ કર્યો હતો. દાદા કહે છે કે, આ લગ્ન કેવી રીતે શક્ય છે. આ મહિલાનું એક નાનુ બાળક પણ છે. પરિણિતાના માતા-પિતાએ પોતાના જમાઈને ક્લીનચીટ આપી છે અને દીકરીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામથી શરુ થયેલા આ પ્રેમમાં બંનેના પિરવાર પિસાઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. પરિણિતા પોતાની જીદ પર અડગ રહી. એ પછી પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો. પોલીસના સમજાવ્યા બાદ પરિણિતા ભલે રાજી થઈ ગઈ હોય, પણ તેનું કહેવું છે કે, તે પતિ સાથે જઈ તો રહીછે પરંતુ તેનું દિલ તેના પ્રેમી પાસે છે. હું મારા પતિથી દૂર રહીશ. હું મારા પતિ સાથે નહીં રહું.
બીજી તરફ, પરિણિતાના પ્રેમીને પોલીસે કડકાઈથી સમજાવ્યો, એ પણ માની ગયો છે. પણ સવાલ એ છે કે, સોશિયલ મીડિયાની અસર આવા નાના શહેરોના યુવકોના માથે જોવા મળી રહી છે. ભાગલપુરની આ ઘટના બતાવે છે કે માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો આવા કિસ્સા બની શકે છે.