Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ભાજપના પાપનો ઘડો ટૂંક સમયમાં જ ભરાઈ જવાનો છે, અને તે જાતે જ તેને ફોડશે: ઓમ પ્રકાશે યોગી આદિત્યનાથ પર કર્યા શબ્‍દના આકરા પ્રહાર

જનતા મોંઘવારીથી પરેશાન : એલપીજીથી લઈને પેટ્રોલ અને સરસવ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે : અટલ બિહારી વાજપાઈ હતા, ત્યારે આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી હવે તો ખાલી જુમલાની પાર્ટી છે: ઓમ પ્રકાશ

નવી દિલ્હી : સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આકરા શબ્દોમાં ધમકી આપી છે. તેમણે કહ્યુ હતું કે, ભાજપના પાપનો ઘડો ટૂંક સમયમાં જ ભરાઈ જવાનો છે, અને તે જાતે જ તેને ફોડશે. રાજભરે તે સીએમ યોગીની સંપત્તિ કુર્ક કરવાની ધમકી પણ આપી છે. વારાણસીમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન તેમણે કહ્યુ હતું કે, જનતા મોંઘવારીથી પરેશાન છે. એલપીજીથી લઈને પેટ્રોલ અને સરસવ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. અટલ બિહારી વાજપાઈ હતા, ત્યારે આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી. હવે તો ખાલી જુમલાની પાર્ટી છે, ભારતીય જૂઠાણા પાર્ટી બની ગઈ છે.

સીએમ યોગીનો ઘેરાવ કરતા સુભાસપના પ્રમુખે કહ્યુ કે, યોગી આદિત્યનાથ ટ્વીટ કરીને 1 કરોડ 61 લાખ લોકોને રોજગાર આપવાની વાત કહી છે. ખબર નહીં મુખ્યમંત્રીએ આ નોકરી ક્યાં આપી છે. શું તેમના મંદિરમાં આપી છે, કે પછી દરિયાના પાણીને ટીપવાની નોકરી આપી છે. તેમણે કહ્યુ કે, દુનિયામાં બે લોકો ખોટા છે. એક દેશના પ્રધાનમંત્રી મોદી અને બીજા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજભરના જણાવ્યા અનુસાર યોગીના પાપનો ઘડો ટૂંક સમયમાં જ ફૂટવાનો છે. બે મહિનામાં તે ભરાઈ જશે, જેને હું બનારસમાં ફોડીશ.

ઓપી રાજભરે કહ્યુ કે, ભાજપના નેતાઓ શરમવગરના થઈ ગયા છે. તેમના વિરુદ્ધ જે પણ બોલે તેને ધમકાવે છે. હાલમાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને સંપતિ કુર્ક કરવાની વાત કહી છે. 2022માં તેમની સંપત્તિ હું કુર્ક કરીશ.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં રાજકીય ઉથલપાથલનો વંટોળ તીવ્ર બન્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને ઓમ પ્રકાશ રાજભારની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી વચ્ચે આગામી ચૂંટણી માટે ગઠબંધનની ઘોષણા કરવામાં આવી છે. ઓવૈસીએ રાજ્યની 100 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી છે, પરંતુ રાજભાર કહે છે કે બેઠક વહેંચણી અંગે હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી.

(12:40 pm IST)