Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પંજાબના મુખ્યમંત્રીના પુત્ર રનિન્દર સિંઘને ઇડીની નોટીસ: ફેમા કાયદાના ભંગનો આરોપ:પૂછપરછ માટે બોલાવ્યા

અનેક વિદેશી સંપત્તિ વિશે આવકવેરા વિભાગને લેખિતમાં ખોટી માહિતી આપી હોવાનો આરોપ

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ પંજાબના મુખ્યમંત્રીના પુત્ર રનિન્દર સિંઘને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. રનિન્દર સિંહ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંઘ (Captain Amrendra Singh)ના પુત્ર છે. મંગળવારે સવારે સાડા દસ વાગ્યે રનિન્દરને પૂછપરછ માટે જલંધર ઑફિસ બોલાવાયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર રનિન્દર સિંહની ફેમા કાયદા (FEMA)ના ભંગ કરવાના આરોપમાં પૂછપરછ કરવામાં આવશે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, રનિન્દર સિંહ પર એ આરોપ છે કે તેમણે પોતાની અનેક વિદેશી સંપત્તિ વિશે આવકવેરા વિભાગને લેખિતમાં ખોટી માહિતી આપી છે. ઘણી વિદેશી જંગમ અને સ્થાવર મિલકતો વિશેની મહત્વપૂર્ણ માહિતી આવકવેરા દ્વારા પૂછ્યા બાદ પણ આપવામાં આવી નહીં. આથી આ કેસમાં આવકવેરા દ્વારા નોંધાયેલા કેસના આધારે હવે ઇડીએ પણ કેસ દાખલ કરીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં રનિન્દર સિંહ દ્વારા જે કંઈ પણ કહેવાશે તે તેમના જ શબ્દોમાં લેખિતમાં લેવામાં આવશે અથવા નિવેદન બાદ તે વંચાવ્યા બાદ રનિન્દર સિંહ સહી કરશે. ઇડીએ આપેલા નિવેદનની વાત કરીએ તો કોર્ટમાં તે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહના પુત્ર રનિન્દર સિંહ પર આરોપ છે કે તેમણે આવકવેરા વિભાગને નાણાકીય વર્ષ 2005-06 અને 2006-07 દરમિયાન તેની તમામ સંપત્તિઓ સહિત આવક-ખર્ચનું જે વિવરણ આપ્યું હતુ, તેમાં તેમણે એવી અનેક જંગમ અને સ્થાવર મિલકતો વિશેની માહિતી છુપાવી હતી જે વિદેશમાં છે. આ કિસ્સામાં, રનિન્દર સિંહને છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા ઘણી નોટિસો મોકલવામાં આવી હતી.

(12:40 am IST)