Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર અલ્પજીવી હોય શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી: વડાપ્રધાન મોદી

સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી. આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે

વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મોદીએ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. 85 કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુનર્જીવિત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું હતું. સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.

વડાપ્રધાને આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું. શિવ અવિનાશી, અવ્યક, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી તેમણે કહ્યું હતું કે આ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ખડું થયું. તોડવાનુ- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી. આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં સોમનાથ નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે. બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અભિવ્યક્ત કરે છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં સોમનાથ સહિતના સ્થળોએ પણ યાત્રિક લક્ષી સુવિધાઓ સગવડમાં વધારો થયો છે. દેશભરમાં થયેલા આવા વિકાસ લક્ષી કાર્યોને લીધે વર્ષ 2013માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પેટીટેવનેસ ઈન્ડેક્સમાં 65મા ક્રમે હતો જે વર્ષ 2019માં આગળ વધી 34માં ક્રમે સ્થાન મળ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં સોમનાથ મંદિર નૂતન કાર્યો થકી પ્રેરણા આપે છે. સોમનાથમાં પ્રદર્શની ગેલેરીથી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી નવયુવાનોને વિશેષ માહિતી મળશે તેમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમાન સોમનાથના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું છે. સોમનાથ તીર્થમાં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર નવીનીકરણ અને દાતા ભીખુ ધામેલીયાના પરિવારના સહયોગથી બનાવવામાં આવી રહેલા પાર્વતી માતાના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પોથી સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓ યાત્રિકોની સુવિધા વધશે.

કેન્દ્રિય ગૃહ મંત્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવાને લગતા અનેક કાર્યો થઇ રહ્યા છે તેની રૂપરેખા આપી હતી. અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આ પ્રસંગે સોમનાથ ખાતે લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ  મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળોના વિકાસ માટે શ્રેણીબદ્ધ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ધાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.

મુખ્યમંત્રીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપીને રાજ્ય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે લહેરી ,ટ્રસ્ટી જેડી પરમાર તેમજ પૂર્વ ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક ,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ, રાજ્યમંત્રી વાસણ આહિર, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

(12:00 am IST)