Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સંગીતકાર બપ્પી લહેરીએ અવાજ ગુમાવ્યાની અફવા

સંગીતકાર-ગાયકને એપ્રિલમાં કોરોના થયો હતો : સંગીતકારે પોતાના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા ખોટા સમાચારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ, તા.૨૦ : તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા હતા કે જાણીતા સિંગર અને મ્યૂઝિશિયન બપ્પી લહેરીએ અવાજ ગુમાવી દીધો છે. જોકે, વાતો ખોટી સાબિત થઈ છે. બપ્પી લહેરીએ સોશિયલ મીડિયા પર મુદ્દે સ્પષ્ટતા કરી છે.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બપ્પી લહેરીએ પોતાના અવાજ અંગેની અફવાઓને ફગાવી દેતાં લખ્યું, અમુક મીડિયા આઉટલેટ મારા અને મારા સ્વાસ્થ્ય વિશે જે ખોટું રિપોર્ટિંગ કરી રહ્યા છે તે જોઈને દુઃખ થાય છે. મારા ફેન્સ અને શુભચિંતકોના આશીર્વાદથી મારી તબિયત એકદમ સારી છે. બપ્પીદા.

જણાવી દઈએ કે, વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના થતાં બપ્પીદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડા દિવસમાં તેઓ ડિસ્ચાર્જ થઈ ગયા હતા. તેમ છતાં મીડિયામાં એવા અહેવાલો હતા કે કોરોના મટ્યા પછી તેમની તબિયત નાદુરસ્ત રહે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બપ્પી લહેરી જાતે હરી-ફરી નથી શકતાં અને વ્હીલચેરમાં છે. સરળતાથી ઉપર-નીચે જઈ શકે તે માટે તેમના જૂહુ સ્થિત બંગલે લિફ્ટ નંખાવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવાયું હતું કે, જે લોકો સિંગરની ખબર કાઢવા ગયા હતા તેમણે કહ્યું કે, તેમને ખૂબ અશક્તિ આવી ગઈ છે અને તેઓ બોલી નથી શકતા.

બપ્પા લહેરી એપ્રિલ મહિનામાં લોસ એન્જેલસથી મુંબઈ આવ્યો હતા કારણકે તેમના પિતા બીમાર હતા. ત્યારથી બપ્પા મુંબઈમાં છે. બપ્પી લહેરીને કોરોના થતાં તેઓ ફેફસાની સારવાર લઈ રહ્યા હતા. બપ્પાના કહેવા અનુસાર, સિનિયર કમ્પોઝર રિકવર થઈ રહ્યા હોવાથી ડૉક્ટરોએ તેમને બોલવાની ના પાડી હતી. જેના કારણે ખબર જોવા આવનારા લોકોને લાગ્યું હશે કે તેમણે અવાજ ગુમાવી દીધો છે. બપ્પાએ જણાવ્યું કે, તેના પિતા બપ્પી લહેરી એકદમ સ્વસ્થ છે અને તે દુર્ગા પૂજાનું ગીત બંગાળી એક્ટ્રેસ રિતુપર્ણા સેનગુપ્તા સાથે રેકોર્ડ કરવાના છે.

(7:38 pm IST)