News of Wednesday, 20th January 2021
બેંગલુરુ, તા. ૨૦ : કર્ણાટકના બેંગલુરુથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસે ૫૦ વર્ષીય બિઝનેસમેનની પોતાના જ મોટા પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીનું કહેવું છે કે તેમના દીકરાનો સંપત્તિમાં હિસ્સો હોવાથી તે તેમને ખૂબ ટોર્ચર કરતો હતો. પોલીસને ૧૨ જાન્યુઆરીએ આ હત્યા અંગેની માહિતી મળી હતી. તપાસ બાદ બેંગ્લોર રૂરલ પોલીસે મલ્લેશ્વરમના બી.વી. કેશવ પ્રસાદ અને બે શંકાસ્પદ નવીન કુમાર અને કેશવની ધરપકડ કરી હતી. બંનેની ઉંમર ૧૯ વર્ષ છે અને ટિપ્પાસાન્દ્રાના રહેવાસી છે.
૧૨ જાન્યુઆરીના રોજ મલ્લેશ્વરમ પોલીસ સ્ટેશનમાં કેશવ પ્રસાદે તેમના પુત્ર કૌશલ પ્રસાદ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કૌશલ એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો. તે ૧૦ જાન્યુઆરીથી ગુમ છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં કેશવ પ્રસાદે જણાવ્યું હતું કે તેમનો પુત્ર મલ્લેશ્વરમ ૧૮ ક્રોસ પરથી એક કારમાં તેના દોસ્તો સાથે ગાયબ થયો હતો. આ પહેલા કૌશલે તેનો ફોન તેના નાના ભાઈને આપીને જતો રહ્યો હતો.
તે જ દિવસે, કેટલાક લોકોએ અવલાહલ્લી પોલીસને કહ્યું કે ઈલમઅલ્લપ્પા તળાવમાં ત્રણ બોરીમાંથી દુર્ગંધ આવી રહી છે. પોલીસે બોરીઓ ખોલી ત્યારે ત્રણેયમાં માનવ શરીરના ટુકડા મળી આવ્યા. શહેરભરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં સમાચાર ફેલાઈ ગયા હતા. ટૂંક સમયમાં કૌશલની લાશની ઓળખ થઈ. હત્યાના પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે જોવા મળ્યું કે, કૌશલ સફેદ મારુતિ ઝેનમાં બેઠો હતો. આ કારની તપાસમાં પોલીસ નવીન કુમાર અને કેશવ સુધી પહોંચી હતી. જાણવા મળ્યું કે તેમણે આ સેકન્ડ હેન્ડ કાર થોડા દિવસો પહેલા ૧ લાખ રૂપિયામાં ખરીદી હતી. કેટલાક વધુ ફૂટેજમાં જોવા મળ્યું કે, આ કાર ઈલમઅલ્લપ્પા તળાવ તરફ આગળ વધી રહી છે.
જ્યારે ઝડપાયેલા બંને શકમંદોની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ કબૂલાત કરી હતી કે, કૌશલના પિતાએ જ તેની હત્યા બદલ ૩ લાખ રૂપિયાની સોપારી આપી હતી, જેમાંથી એક લાખ એડવાન્સ આપવામાં આવ્યા હતા.
જ્યારે કેશવ પ્રસાદની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેમનો મોટો પુત્ર કૌશલ મલ્લેશ્વરમમાં આવેલા મકાનમાં હિસ્સા માટે ખૂબ જ હેરાન કરતો હતો. કેશવ પ્રસાદે કહ્યું, 'અમે તેણે સોફ્ટવેર એન્જિનિયર બનવામાં મદદ કરી પરંતુ તે પૈસા અને સંપત્તિ માટે અમને ખૂબ ત્રાસ આપતો હતો. તેણે તેની માતાને પણ માર માર્યો હતો. આખરે મેં તેને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો અને આ માટે મારા નાના પુત્રના બે મિત્રોની મદદ લીધી.
આ પછી નવીન અને કેશવ કૌશલને પોતાની સાથે લઈ ગયા. તેને દારૂમાં ઉંઘની ગોળીઓઆપવામાં આવી હતી. જ્યારે તે બેહોશ થઈ ગયો, ત્યારે તેઓએ તેના શરીરના ટુકડા કરીને બોરીમાં ભરીને તળાવમાં ફેંકી દીધા હતા.