Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે RSSની મહત્વની બેઠક : ભાજપના વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર

આ બેઠક બે દિવસ સુધી ચાલશે : વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અનેક નીતિગત મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે

નવી દિલ્હી તા. ૧૯ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત ૫ રાજયોની વિધાનસભાની ચૂંટણી પહેલા જ એક મહત્વની બેઠક બોલાવી છે. આ સંકલન બેઠકમાં આરએસએસએ (RSS ) ભાજપ સહિત તેના તમામ સંલગ્ન સંગઠનોના વડાઓને બોલાવ્યા છે.

આજે મંગળવારથી શરૂ થઈ રહેલી આ બેઠક બે દિવસ સુધી ચાલવાની છે, જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અનેક નીતિગત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ઉપરાંત ભાજપના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ભાજપ ઉપરાંત આરએસએસ સાથે જોડાયેલી અન્ય ઘણી સંસ્થાઓ પણ ભાગ લેશે, જે શિક્ષણ, સંસ્કૃતિ અને આર્થિક ક્ષેત્રે સક્રિય છે.

સામાન્ય રીતે આવી બેઠક આરએસએસ અને ભાજપના પ્રતિનિધિઓ વચ્ચે અવારનવાર યોજાય છે. આવી બેઠકમાં સરકાર સાથે સંકલન અને નીતિઓ પરના પ્રતિસાદ પર ચર્ચા કરવામાં આવે છે. ગયા મહિનાની શરૂઆતમાં પણ, આરએસએસએ (RSS) ૪ દિવસ સુધીની બેઠકનુ આયોજન કર્યું હતું,

જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં આરએસએસ કેડરને ચૂંટણી માટે તૈયાર રહેવા અને ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો કરવાનું કહેવામાં આવ્યું હતું. મંગળવારથી શરૂ થનારી આરએસએસની મહત્વપૂર્ણ બેઠકનો સમય ખૂબ મહત્વનો છે. દેશના ઘણા ભાગોમાં ખેડૂત આંદોલનને લગતી હિંસક ઘટનાઓ બની છે. આ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાનું છે. આવા સંજોગોમાં ખેડૂત આંદોલનની અસર પણ વિચારાશે અને તેના નિરાકણ સદર્ભે વાતચીત થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીઓના સમયે, આરએસએસ વતી, સરકારને ખેડૂતો સાથે હકારાત્મક અને યોગ્ય વ્યવહાર કરવાની સલાહ પણ આપી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે જ મેઘાલયના રાજયપાલ સત્ય પાલ મલિકે કહ્યું હતું કે જો સરકાર MSP ગેરંટી કાયદો લાવે છે, તો તેઓ ખેડૂતોને મનાવશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો આનાથી ઓછું સ્વીકારશે નહીં અને તે તેમના માટે જરૂરી છે. નોંધપાત્ર બાબત એ છે કે, લખીમપુરમાં હિંસા બાદ યુપી અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આંદોલનને લઈને પહેલાથી જ બેકફૂટ પર છે. એટલું જ નહીં, આ આંદોલનને કારણે પાર્ટીને યુપીમાં નુકસાનનો ડર છે. આવી સ્થિતિમાં આરએસએસ તરફથી ખેડૂતોના આંદોલનનો સામનો કરવા માટે યોગ્ય પ્રતિસાદ આપવાની સલાહ આપવામાં આવી શકે છે.

(10:19 am IST)