Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પેગાસસ જાસૂસી મામલે લગાવાયેલા તમામ આરોપો કેન્દ્ર સરકારે નકાર્યા : બે પાનાની એફિડેવિટમાં વિશેષજ્ઞોની કમિટી મારફત તપાસ કરાવવાનો કોલ : પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ પત્રકારો ,રાજકીય આગેવાનો ,સરકારી અધિકારીઓ સહિતના લોકો માટે કર્યો હોવાના આરોપ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ન્યુદિલ્હી : પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ પત્રકારો ,રાજકીય આગેવાનો ,સરકારી અધિકારીઓ , સોશિઅલ એક્ટિવિસ્ટ , તથા ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકોની જાસૂસી માટે કરાયો હોવાના આરોપો સાથે  સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જુદી જુદી પિટિશનની સુનાવણી આજરોજ સોમવારે હાથ ધરાઈ હતી.

સુનાવણી અંતર્ગત પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે કમિટી દ્વારા કરવામાં આવશે તે અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ વિશે જાણકારી આપી છે. કમિટી બનાવવાના એલાનની સાથે-સાથે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસ સાથે જાસૂસીના આરોપોને પણ નકાર્યા છે.

સુપ્રીમ કોર્ટમાં બે પેજની એફિડેવિટ પણ રજૂ કરવામાં આવી છે. આ એફિડેવિટ  અનુસાર સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે.કેન્દ્રએ કહ્યુ છે કે તેમના તરફથી કોઈ જાસૂસી અથવા ગેરકાયદે નજર કરવામાં આવી નથી.

સોગંદનામામાં સરકારે વરિષ્ઠ પત્રકાર એન રામ અને અન્ય અરજીકર્તાઓના લગાવેલા તમામ આરોપોને નકાર્યા છે. તેમની અરજીમાં આરોપ હતો કે સૈનિક પ્રયોગના આ સોફ્ટવેરનો ઉપયોગ સરકારે પત્રકાર, રાજનેતાઓ, એક્ટિવિસ્ટ, નોકરશાહ અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા લોકોની જાસૂસી માટે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 10 ઓગસ્ટે પેગાસસ મુદ્દે સુનાવણી થઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની વિનંતી કરનાર કેટલાક અરજી કર્તાઓ દ્વારા સોશ્યલ મીડિયા પર સમાંતર કાર્યવાહી અને થઇ રહેલી ચર્ચા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે આવી કોઈ સોશિઅલ મીડિયામાં ચર્ચાઓ અસ્થાને ગણાય..તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)