ફલોરિડામાં ‘ગિરીજા' નામે ફિલ્મ પણ બનાવાઇ... શિષ્યા શ્રીમતિ મધુ ચંદ્રાએ ગુરૂની ગૌરવગાથા વર્ણવી : ગુરૂવર્ય - પદ્મવિભૂષણ અને ક્વીન ઓફ ઠુમરી ડો. ગિરીજા દેવીના સંગીતક ખજાના થકી અસંખ્ય કલાકારો કલા પાથરવામાં પરિપૂર્ણ થયા છે ત્યારે તેમના જ ફલોરિડા સ્થિત શિષ્યા દ્વારા ગુરૂની ગૌરવગાથા વર્ણવતી ફિલ્મ ‘ગિરીજા' બનાવી અનોખી ભેટ આપવામાં આવી છે. શિષ્યા શ્રીમતી મધુ ચંદ્રા જેઓ હાલમાં ફલોરિડામાં સ્થાયી છે. તેમણે ગુરુજીની ‘ગીરિજા' નામની ખૂબ સુંદર અને અદ્દભૂત ફિલ્મ બનાવી છે. જે દરેક સંગીતના છાત્રોએ, કલાકારોએ રસિકગણે જોવી આવશ્યક છે. તેમણે બનાવેલી બંદિશો, ગાયેલી બંદિશોનું નોટશન કરી ડોકયૂમેન્ટરી સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે દુનિયા સમક્ષ મુકવું અતિ આવશ્યક છે.
સંગીત જગત માટે મહાન વિભૂતી, પણ મારા જેવા તેમના શિષ્યો માટે વાત્સલ્યપૂર્ણ માઁ. જેમણે અમને સંગીત જગતમાં આગળ વધવાનો રસ્તો બતાડયો. કેવી રીતે સંગીત - રસિકગણ સમક્ષ ભારતીય સંગીતનો ખજાનો અર્પણ કરવાનો અને બધાના હૃદયમાં ભારતીય સંગીતની જગ્યા બનાવવાની તે ‘અપ્પાજી'એ (તેમને અપ્પાજીના હુલામણા નામથી સૌ બોલાવતા) અમને શીખવ્યું.
પદ્મવિભૂષણ ગિરીજાદેવી ‘Queen of thumri'ના ઉપનામથી પ્રસિધ્ધી પામેલા પણ હું જરૂર કહીશ કે ઠુમરીની સાથે સાથે તેઓ બડાખ્યાલ પણ એટલું જ સુંદર રીતે ગાતા હતા અને પ્રસ્તુતિ કરતા હતા.
૮૮ વર્ષનું સમૃધ્ધ સંગીતમય, ઉચ્ચકોટીનું આયુષ્ય ભોગવી ડો. ગિરીજાદેવી ઇશ્વરના ધામમાં પહોંચી ગયા.
તેમની જીવન ઝરમર અને તેમની સમૃધ્ધ વાતો વાગોળવા માટે આજે ‘અકિલા' જે પ્રસિધ્ધ સમાચાર પત્ર છે તેમનો હું આભાર માનું છું.
ગિરીજા દેવીનો જન્મ ૮મી મે, ૧૯૨૯માં વારાણસીના શ્રી રામદેવરાય ભૂમીહર જમીનદારને ત્યાં થયો હતો. ગિરીજાદેવી ૨ વર્ષના થયા ત્યારે તેમનો આખો પરિવાર બનારસ આવીને વસ્યો અને આ બનારસે જ તેમના જીવનમાં સંગીતનો રંગ લઇ આવ્યું. અને આ ગાયન તેમણે લોકોના હૃદયમાં સ્થાપિત કરવા માટે ખૂબ મહેનત, ખૂબ રિયાઝ, ખૂબ લગન, ખૂબ ધગશ, ખૂબ ગુરૂ શ્રધ્ધા, ખૂબ નિયમિતતા અપનાવી. આ બધુ તેમણે તેમના શિષ્યોને પણ આપીને ગયા.
ગુરૂ અને શિષ્યા વચ્ચે મારો અને અપ્પાજીનો નાતો અનોખો હતો. ગુજરાતમાંથી માત્રને માત્ર મારી પર તેમની નજર ઠરી. ૩ વર્ષની બરાબર ચકાસણી બાદ તેમણે મને શિષ્યા તરીકે અપનાવી. તેમણે મને સાચી, મહત્વપૂર્ણ અને ઘરાનેદાર ગાયકીની અદ્ભૂત સમજ આપી, ઠુમરી ગાયનને યોગ્ય ન્યાય કઇ રીતે આપવો, કયા સ્વર સમુહ દ્વારા ઠુમરીમાં રંગ ભરવો, ગળુ તૈયાર કરવા માટેનો રિયાઝ, ઠુમરી ગાવા માટે અવાજ, તેની ફીરત અને તેનો અનોખો રંગ તેમણે મારા કંઠમાં પણ ભર્યો.
ઠુમરી અને ખ્યાલ ગાયન બંને કઇ રીતે જુદા પાડવા તે અગત્યની શિક્ષા ગુરૂજી ગિરીજાદેવી ખૂબ સરસ રીતે આપતા. ઠુમરીમાં કયા બોલને આગળ વધારવો, કયા બોલ દ્વારા બઢત કરવી, કયો કયો સ્વર છોડી દેવી, કયા શબ્દ પર ફોકસ કરવું, કયો શબ્દ ઠુમરીનો મર્મ અભિવ્યકત કરે છે, કયો શબ્દ કયો સ્વર ઠુમરીને તાકાત આપે છે, કયો શબ્દ નજર અંદાજ કરવો, કયો વ્યંજન સુંદરતા વધારે છે, કયો ધ્વનિ સાચો રસ ઉત્પન્ન કરે છે તે શીખવતા... તેઓ કહેતા, ‘બંદિશ કો, ઠુમરી કો બડે હોલેસે સહેલાની પડતી હૈ બેટા! જબ તક સભી કા સુમેલ નહી હોતા તબ તક વો અપના અવગુઠન નહી હટાયેગી. બંદિશ અપને કો ખોલતી હૈ. શિંગાર તો હર ઠુમરી મેં હૈ, ઉસકો એક નયા મોડ દેકે શ્રોતા સમક્ષ પેશ કરના ચાહિએ. વહી સચ્ચી આરાધના હૈ, સાધના હૈ, કલા હૈ બેટા!' આમ અપ્પાજીએ ઠુમરીમાં પોતાનો અનોખો રંગ ભર્યો હતો. ભદ્ર સમાજમાં ઠુમરીને લાવવા માટે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા. તેઓ કહેતા હતા કે ‘શૃંગાર અબ ઘુંઘટ મેં રહેતા હૈ તો વો કભી અશાલીન નહી હોતા હૈ, અભદ્ર નહીં હોતા હૈ.' અને અપ્પાજીએ ઘણી ઠુમરીના શબ્દો બદલી અને કહેતા કે ‘બેટી યે શબ્દ હમ નહીં ગાયેગે ઔર આપ સબ શિષ્યો કોભી નહીં ગાના હૈ.' જેમકે મિત્રો, ‘દિવાના કીયે શ્યામ કયા જાદુ ડાલા' તમે ‘સારેગમ'માં ગીરીજાદેવી જજ હતા ત્યારે ઉસ્તાદ અકીર હુસેને તેમની સાથે તબલા ગવાડેલા તે સાંભળ્યું હશે. તેના મૂળ શબ્દો હતા દિવાના કીયો જાની કયા જાદુ ડાલા અને તેમણે ‘જાની' શબ્દો કાઢીને ‘શ્યામ' શબ્દ મૂકીને ઠુમરી જગતમાં ક્રાંતિ કરી, આમ બંદિશમાંથી અશ્લિલતા દુર કરી સંપૂર્ણ સુંદરતા, આધ્યાત્મિકતા અને સાથે સાથે ઐશ્વરીય શ્રૃંગાર રસ મુકી તેને અનોખો નિખાર આપ્યો.
અપ્પાજી કહેતા કે, મોનિકા, સંગીત ઔર ગાના એક નશા હૈ. જૈસે વ્યસ્તની વ્યસની કિસી ભી જગહ પે, કિસી ભી તરહ સમય ખોજ કે વ્યસન કર લેતા હૈ એસે હી સંગીત કા જીસ કો વ્યસન હો જાતા હૈ વો કિસી ભી તરહ અપના સમય નિકાલ કે ગા લેતા હૈ. રિયાઝ કર લેતા હૈ. ગિરીજાદેવીએ તેમની યુવા અવસ્થામાં સંગીતને સાધવા માટે અથાક મહેનત કરી છે. પતિની સેવા, ઘરનું કામકાજ, મહેમાનોની આગતા સ્વાગતા, વડીલોની સેવા, ગુરૂજનોની સેવા ! ઘુંઘટ તાણીને રસોઈ કરતા કરતા તેઓ ગાતા, અને જુદા જુદા સ્વર મિશ્રણ બનાવવામાં એવા મશગુલ થઈ જતા તાનો અને સરગમોના પલ્ટા ગણગણવામાં એવા ખોવાઈ જતા કે રોટલી બળી ગઈ તેની ખ્યાલ જ ન રહેતો. બળવાની વાસ આવે ત્યારે રોટલી તવી પરથી લઈ લેતા અને બળેલી રોટલી પોતે ખાઈ જતા ! ઘણીવાર હાથની આંગળીઓ પણ દાઝી જતી ! આમ હલતા - ચલતા, હરતા - ફરતા, વાતો કરતા કામ કરતા માત્રને માત્ર સંગીત તેના મન પર અંકિત થયેલું હતુ. તેઓ કહેતા આવું ચિંતન મનન ખૂબ જરૂર અને આવશ્યક છે પણ સાથે સાથે તેઓ એ વાત જરૂર કહેતા કે ‘બેટા સવારે ૫ વાગ્યે ઉઠીને રીયાઝ કરવો, સ્વરો સાધવા, એક એક સ્વર બરાબર ઠેરાવથી લંબાવી ગાવો તથા પલ્ટાનો રીયાઝ કરવો અતિ અતિ આવશ્યક છે.'
તેઓ શિષ્યોની પસંદગી કરવામાં ખૂબ સજાગ હતા. ગુજરાતમાંથી માત્ર એક મને તેમણે શિષ્યા તરીકે સ્વીકારી હતી તે માટે હું ગૌરવ અને કૃતજ્ઞતા અનુભવુ છું. તેઓ દરેક શિષ્યોની ખૂબીઓ અને ખામીઓ શોધી કાઢતા અને અસલ બનારસી બાજની અંદાજની ઠુમરી કેમ ગાવી ? તે શીખવાડવા હંમેશા તત્પર રહેતા.
તેઓ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે મારા ઘરે જ રહેતા ૨૦૧૫માં આરાધના સંગીત એકેડમીએ તેમને ‘કલા આરાધના એવોર્ડ'થી નવાજયા હતા. તેમણે ગાયેલ રાગ બિહાગ અને ઠુમરી આજે પણ શ્રોતાગણના માનસ પર બિરાજીત છે. તેમણે મને ખૂબ ખૂબ આશિર્વાદ આપ્યા હતા અને સાથે સાથે કહ્યુ કે ‘ગુજરાતમાં બનારસી ઠુમરીનો પ્રચાર અને પ્રસાર કરવાની જવાબદારી મોનિકા તારી છે' આ મારી જવાબદારી પૂર્ણ કરવા હું હંમેશા તત્પર રહીશ.'
તેમની અવાજની બુલંદી, તેમની સૂરીલી તાનો તેની સ્પીડ તેમજ ખ્યાલ બાદ ઠુમરી, મૈતી, હોરી ગાતા અને સભામાં સમા બંધાઈ જતો. તેઓ તાનનો સપાટો મારે અને લોકોના શ્વાસ થંભી જતા ઠુમરીમાં એવા સ્વર કોમ્બીનેશ મુકે કે લોકો વાહ વાહ પોકારી ઉઠતાં.
તેમની સાથેના અનેક સંસ્મરણો છે તે વાગોળવા બેસીએ અને લખીએ તો આખો ગ્રંથ લખાઈ જાય ! આમ છતા થોડુ જરૂર કહીશ... તેમની ગાયનની પ્રસંશા કરતા લોકોને કહે છે કે ‘યે સબ મેરે ગુરૂજનો કી દેન હૈ' તેઓ હંમેશા કહેતા કે હું જ્યારે પણ ગાવા બેસુ છુ ત્યારે મા સરસ્વતી મને રસ્તો બતાવે. જાણે તે સાક્ષાત મારામાં પ્રવેશી હોય તેવો ભાસ થાય છે અને માટે આજે ૮૮ વર્ષની ઉંમરે તેઓ એટલું સુંદર અને સુદ્રઢ મજબૂત ગાયન સ્ટેજ પર ગાઈ શકતા હતાં.
પંડિત સરજુપ્રસાદ મિશ્રા તેમના પ્રથમ ગુરૂ હતા. તેમની પાસે તેઓ ખ્યાલ, ટપ્પા, ઠુમરી શીખ્યા અને ત્યાર બાદ પં. શ્રીચંદ્ર મિશ્રા પાસે તેમણે સાંગીતિક શિક્ષણ લેવાનું શરૂ કર્યુ. માત્ર નવ વર્ષની ઉંમરે તેમણે ‘યાદ રહે' ફિલ્મમા ગાયુ હતું.
ગિરીજાદેવીના લગ્ન એક બિઝનેસમેન સાથે થયા હતા. તેમના પતિ શ્રી મધુસુદન જૈન કવિતા અને સંગીતમાં ખૂબ રસ ધરાવતા હતા. ગિરીજાદેવીને સંગીત ચાલુ રાખવાની અનુમતિ તેમણે આપી હતી પણ માત્ર રેડિયો પર તમને લગ્ન બાદ એક પુત્રીને જન્મ આપ્યો, સુધા તેમનું નામ તેઓ એક નૃત્યાંગના છે. માતાના દરેક પ્રોગ્રામમાં સાથે રહેવાનું, તેમની દેખરેખ રાખવાની સંપૂર્ણ જવાબદારી તેમણે પોતાના શિર પર લઇ લીધી હતી.
ગિરીજા દેવીએ આઇટીસી સંગીત રીસર્ચ એકેડમી, કલકત્તામાં તથા બનારસ યુનિવર્સિટીમાં ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી અનેક શિષ્યો તૈયાર કર્યા છે. ૧૯૭પમાં અપ્પાજીના પતિના મૃત્યુ બાદ થોડા સમય માટે સંગીત છોડી દીધું પણ પરિવાર અને સ્નેહિજનોના આગ્રહ અને પોતાની અંદર રહેલા સંગીતના આત્માને તેમને સંગીતની ફરી શરૂઆત કરાવી અને તેમની અવિરત યાત્રા ચાલુ થઇ ગઇ.
‘ઠુમરીના રાણી' તરીકે નવાજીત ગિરીજાદેવી પાસે હજારો શિષ્યાઓએ શિક્ષણ મેળવ્યું છે. જેમાનાં સુનંદા શર્મા, માલિની વેદ, અવસ્થી, ડો. મોનિકા શાહ, શાલીની, મીનાલી એન. ગુપ્તા, પદ્મશ્રી ચક્રવર્તી, મધુ ચંદ્રા, રીટા દેવ, રોહિત મિશ્રા, રાહુલ મિશ્રા, મૌસમી સેન, દેવપ્રિયા, સુરંજના બોજ, અદિની ચક્રવર્તી, સુચેતા ગાંગુલી, મીનાલી સેનગુપ્તા મુખ્યત્વે ગણાવી શકાય.
તેઓ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજીત છે જેમાંના પદ્મશ્રી-૧૯૭ર, પદ્મ ભૂષણ-૧૯૮૭, પરમવિભૂષણ-ર૦૧૬ (ભારત સરકાર દ્વારા) સંગીત નાટક અકાદમી એવોર્ડ-૧૯૭૭, મહાસંગીત સન્માન એવોર્ડ-ર૦૧ર, કલા આરાધના એવોર્ડ-ર૦૧પ (આરાધના સંગીત એકેડમી દ્વારા) સંગીત નાટક એકેડમી ફેલોશી-ર૦૧૦ તાનારીરી એવોર્ડ (ગુજરાત ગર્વમેન્ટ દ્વારા) વગેરે વગેરે...
ગુરુજી અને મારા જેવા અનેક શિષ્યો સાથે તેમના અખૂટ પ્રેમનો નાતો હતો. તેમના મધૂર, સંગીતમય શિષ્યબધ્ધ જીવનને અમે ખૂબ નજીકથી નિહાળ્યું છે. માણ્યું છે. તેમનામાં બાળ સહજ સરળતા હતી. મા સહજ વાત્સલ્યતા હતી. ગૃહીણીની ગંભીરતા હતી, લેખિકા સહજ કાવ્યની રચનાત્મકતા અને કલાકારનો કસબ હતો. હું દરેકના નાના મોટા પ્રસંગ અહીં જરૂર વર્ણવીશ.
બાળ સહજ સરળતા... તમને ઢીંગલા ઢીંગલીઓનો ખુબ શોખ! કબાટ ભરીને ઢીંગલીઓ અને તેને સજાવવાની પણ ખરી! સજાવતા સજાવતા ગીતો પણ તેને અનુરૂપ ગાતા તેમના ઢીંગલા-ઢીંગલીના લગ્ન પણ કરાવે અને તેના ગીતો પણ ગાય. આ બધી ઢીંગલીઓ તેમના ડ્રોઇંગ રૂમના કબાટના શો-કેસમાં સુસજજ રહેતી. હું પણ અમેરિકા વધુ કે ગ્રીસ જવું કે સ્વીટઝર લેન્ડ જવું કે રશિયા જવું જરૂર તેમની માટે ઢીંગલી શોધું ખરીદ્યું અને વિચારું કે અપ્પાજીને કઇ ઢીંગલી ગમશે? અને મારી આપેલી ઢીંગલી તેમના શોકેસમાં શોભશે? પછી કહે ‘‘બેટી, તુમ્હારી સબ ગુડીયો હમારી ગુડીયોકે સાથ આનંદ કર રહી હૈ!'' આવી વિભૂતિમાં આટલી સરળતા! કદાચ જવલ્લેજ જોવા મળે.
મા સહજ વત્સલ્યતા... હું ખૂબ નસીબદાર છું કે મને સંગીતા ગુરુ સાથે સાથે એક વાત્સલ્ય પૂર્ણ માં પણ પ્રાપ્ત થઇ હતી. વર્ષમાં ૩ થી ૪ વાર કલકત્તા બોલાવે અઠવાડિયુંથી ૧૦ દિવસ તેમના સાનિધ્યમાં રહેવાનું. જેમ મા દિકરીની દરેક વસ્તુનું ધ્યાન રાખે તેમ અમારૂં રાખે. હું આઇટીસી સંગીત રીસર્ચ એકેડમીના ગેસ્ટ હાઉસમાં રહું. સવારનો રિયાઝ કેમ કરવો તે માટે સવારે બોલાવે વચ્ચે નાના મોટા પ્રશ્નો પણ પુછે બેટા દુધ બરોબર પીતી હોના ? ફલ લેકે ખાતી હોના ? આઇટીસી મે તુમ્હારે લિયે જૈન ખાના બરાબર બનાતે હેના ? આવા અનેક પ્રશ્નો પુછે ? જાણે મારી મા નહોય ! કપડા કેવા પહેરવા, સ્ટેજ ઉપર કાર્યક્રમ આપવાનો હોય તો કેવા તૈયાર થવું ? કલાકાર સાથે વાતચીત કેમ કરવી ? વિદ્યાર્થી સાથે વાતચીત કેવી રીતે કરવી ? ગુરૂઓનો આદર કેમ કરવો ? તેમના ફેમીલીની સારસંભાળ કેમ રાખવી ? તે બધુ અમે અપ્પાજી પાસેથી શીખ્યા આજ સુધી તેમના ગુરૂજીના કુટુમ્બીજનો ને ગુરૂ દક્ષિણાનુ કવર મોકલેતા હતા તેમના ગુરૂનો પરિવારની સંભાળ રાખતા હતા તેમના ગુરૂના વંશજને શિક્ષણ આપતા હતા. અને તેમને ગાયક બનાવવા માટે તત્પર રહેતા હતાં તેમણે આટલા યોગદાને મારી સંગીતિક યાત્રાને સમજણ પૂર્વક જ્ઞાનનું દાન આપવામાં ખુબ મોટો ફાળો આપ્યો છે.
ગૃહિણીની ગંભીરતા...તો સંગીત જગત માટે મહાન કલાકાર હતા પણ તેમણે ગૃહિણીની જવાબદારી અવ્વલ્લ નંબરની બજાવી છે. પતિ જમીનદાર ખુબ સંગીત પ્રેમી છતા મહેમાનોની અવર જવર તેમની આગતા સ્વાગતા કરવાનુ તેઓ કયારેય ચુકયા નહતા તે જમાનામાં ઘુંઘટ તાણીને રોટલી કરતા મનમાં સારેગમ બોલતા જાય, રાગના સુંદર સ્વર સમુહ રચતા જાય અને રોટલી બળી જાય તેનો ખ્યાલ ન રહે ! હવે બળેલી રોટલીનું શું કરવુ ? તેઓ પોતે ખાઇ ગયા ઘણીવાર તવી પર આંગળી ચોટી જાય ! દાઝી પણ ગયા ત્યારબાદ દિકરી તેના દિકરા અને સમસ્ત કુટુંમ્બને પણ તેમણે વ્હાલથી વધાવી લીધા તેમના દરેક કાર્યમાં તેઓ તન, મન, અને ધનથી સહાય બન્યા હતા રસોઇ બનાવવાનાં ખુબ શોખીન ! મીઠાઇ તો એવી બનાવે કે તમે આંગળા ચાટતા રહી જાવો! દિલ્હીમાં શ્રી વિક્રમભાઇ કપુરએ તેમના નામનો ગિરીજા એવોર્ડ ની શરૂઆત કરી હતી તેમને બટાકાના રોલ ખુબ ભાવે એકદિવસ હું કલાસમાં ગઇ અને અપ્પાજી રસોડામાં ! મને જોઇને કહે આવો બેટી ! મે કહ્યું અપ્પાજી આપ કયા કર રહે હૈ? ત્યારે તમણે મને કહ્યું કપુર સાહેબને મારા હાથના બનાવેલા બટાકાના રોલ બહુ ભાવે છે. આટલા સંપન્ન ધનના કુબેર માણસને હુ શું આપી શકવાની હતી? તેમને મારા હાથના બનાવેલા રોલ આપુ તે તેમનો મોટો આનંદ છે ! આવી અનેક બાબતો મારા માનસ પર અંકિત થયેલી છે !
લેખિકા સહજતા કાવ્યની રચનાત્મકતા અપ્પાજીએ પોતે સુંદર રચનાઓ રચિ છે. જે શબ્દ તેમને બંદિશમાં ન ગમતો હોય, જેમાથી અશ્લીલતા ઉત્પન્ન થતી હોય તે તેઓ નીડરતાથી કાઢી અને ઇશ્વર સાથે તાદાત્મ્ય સાધનો શબ્દ મુકી દેતા અને ખૂબ સુંદર સ્વરૂપે શ્રોતાગણ સમક્ષ રજુ કરતા.
કલાકારનો કસબ..ગિરિજાદેવી એ એક માત્ર ગાયક જ હતા પણ એક ઇન્સ્ટીટયુટ, સંસ્થા હતા. સંગીતનો પોતાનો રિયાઝ પોતાની ગાયકી કેમ મજબુત કરવી પોતાના ગાયનને કેમ દુનિયામાં ઉચ્ચ કોટિના સ્તરે લઇ જવું. તેની માટે તેઓ હર હંમેશ એક કલાકારની ભાતી ચિંતન મનન સતત સતત કરતાં. તેનાથી વિશેષ અનેક સમારોહમાં કાર્યક્રમો કરતાં અનેક ખ્યાતનામ ઇન્સ્ટીટયુટમાં આવતા શિષ્યોને શિસ્તબધ્ધ તાલીમ આપતાં. આ બધું એક માત્ર કલાકાર ન કરી શકે. તેમનામાં ઇશ્વરે એક દેવી શકિતનું પ્રરૂપણ કર્યું હતું. અને તે શકિતને સાચવી રાખવા તેઓ અથાક રીયાઝ, અથાક મહેનત અથાક પ્રયત્નો કરતાં હતાં. ૮૮ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવું ગાયન ગાઇને સ્ટેજ પરથી ઉતરે એટલે લોકોના ટોળે ટોળા તેમને ઘેરી વળતાં! અને પછી ફોટો પડાવવાનું ને સેલ્ફી લેવાનું અને ઓટોગ્રાફની કામગીરી! તેઓ થાકે નહીં ત્યાં સુધી પ્રેમથી બજાવતા!
તેઓ ૧ર ડોકટરેટની ડિગ્રીથી નવાજીત હતાં. જે એશિયામાં હાઇએસ્ટ વધુમાં વધુ ડોકટરેટની માનદ્દ ડિગ્રી મેળવનાર કલાકાર હતાં. આવા મહાન ગુરુની શિષ્યા બનવાનું મને ગૌરવ છે. તેમને હું નત મસ્તક વંદન કરૂં છું.
હા પણ અહીંથી અમારી શિષ્યાની જવાબદારી પૂરી નથી થતી. હવે તેમના પછી અમારી જવાબદારી ખૂબ વધી છે. વિશ્વમાં તેમણે સ્થાપિત કરેલ સંગીત અને તેની સુવાસને સાચવી રાખવાની અને સાથે સાથે વધુને વધુ આગળ વધારવાની સંપૂર્ણ જવાબદારી અમારી થઇ ગઇ છે. અમારી સાથે સૌ સંગીત જગતના રસિકગણની પણ આ જવાબદારી થઇ છે.
ડો. ગિરીજાદેવીની ગાયકી, કેમ આગળ વધારવી? તેમનાં સંગીતિક ખજાનાને વિશ્વ પટલ પર મૂકવા માટે સંગીતના કાર્યક્રમોમાં સંગીતની વર્કશોપમાં તેમની જીવન ઝરમરને વણીને તેમનું કલાસિકલ તથા સેમી કલાસિક ગાયન અને ગાયકી આગળ લાવવી જોઇએ.
તેમની શિષ્ય શ્રીમતી મધુ ચંદ્રા જેઓ હાલમાં ફલોરિડામાં સ્થાયી છે. તેમણે ગુરુજીની ‘ગીરિજા' નામની ખૂબ સુંદર અને અદ્દભૂત ફિલ્મ બનાવી છે. જે દરેક સંગીતના છાત્રોએ, કલાકારોએ રસિકગણે જોવી આવશ્યક છે. તેમણે બનાવેલી બંદિશો, ગાયેલી બંદિશોનું નોટશન કરી ડોકયૂમેન્ટરી સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે દુનિયા સમક્ષ મુકવું અતિ આવશ્યક છે.
આ વિભૂતિ થવી અશકય છે. ઇશ્વરે ખૂબ ફુરસદના સમયે મારા ગુરુજી પરમવિભૂષણ ગિરીજાદેવી અપ્પાજીને ઘડયા હતાં. તેમનું ઋણ ઉતારવા માટે હું જરૂર તન મન અને ધન થી પ્રયત્નો કરીશ તેમની ગાયકી અમર છે. અમર જ રહેશે. તેમનું ગાયક અનેકના હૃદયમાં અને કંઠમાં બિરાજીત થાય તે માટેનો મારો જરૂર પ્રયત્ન રહેશે. પ્રભુ તેની માટે મને શકિત આપે તેવી પ્રાર્થના મોનિકાના પ્રણામ.
ડોકટરેટમાં પણ વગાડયો ડંકો... એક-બે નહિ, પણ ૧૨-૧૨ ડીગ્રીઓ મેળવવાનું સૌભાગ્ય મળ્યું
હવે ડો. ગિરીજાદેવીના સંગીતિક ખજાનાને દુનિયા સમક્ષ ખોલવાની જવાબદારી શિષ્યોના શિરેઃ મોનિકાબેન
રાજકોટ : ભારત સહિત એશિયામાં અસંખ્ય મહાવિભૂતિઓએ કોઇને કોઇ મહાશોધ પૂર્ણ કરી ડોકટરેટની પદવીઓ પ્રાપ્ત કરી છે... પરંતુ ઠુમરીના રાણી ગણાતા પદ્મ વિભૂષિત ડો. ગિરીજાદેવીએ તો એક નહિ પણ ૧૨-૧૨ ડોકટરેટની ડીગ્રીઓ સાથે નવાજીત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી એશિયામાં હાઇએસ્ટ ડોકટરેટની માનદ ડીગ્રીઓ મેળવી હતી.
તેઓ ૧ર ડોકટરેટની ડિગ્રીથી નવાજીત હતાં. જે એશિયામાં હાઇએસ્ટ વધુમાં વધુ ડોકટરેટની માનદ્દ ડિગ્રી મેળવનાર કલાકાર હતાં.
આવા મહાન ગુરુની શિષ્યા બનવાનું મને ગૌરવ છે. તેમને હું નત મસ્તક વંદન કરૂં છું.
હા પણ અહીંથી અમારી શિષ્યાની જવાબદારી પૂરી નથી થતી. હવે તેમના પછી અમારી જવાબદારી ખૂબ વધી છે. વિશ્વમાં તેમણે સ્થાપિત કરેલ સંગીત અને તેની સુવાસને સાચવી રાખવાની અને સાથે સાથે વધુને વધુ આગળ વધારવાની સંપૂર્ણ જવાબદારી અમારી થઇ ગઇ છે. અમારી સાથે સૌ સંગીત જગતના રસિકગણની પણ આ જવાબદારી થઇ છે.
ડો. ગિરીજાદેવીની ગાયકી, કેમ આગળ વધારવી? તેમનાં સંગીતિક ખજાનાને વિશ્વ પટલ પર મૂકવા માટે સંગીતના કાર્યક્રમોમાં સંગીતની વર્કશોપમાં તેમની જીવન ઝરમરને વણીને તેમનું કલાસિકલ તથા સેમી કલાસિક ગાયન અને ગાયકી આગળ લાવવી જોઇએ.
સંગીતયાત્રામાં સૂમધૂર સૂરના પ્રસાદ સાથે માતાની જેમ જ મીઠાશભરી મમતા પણ વરસાવતા રહ્યા...
ડો. મોનિકાબેન શાહનું માનવુ... ભગવાન તૂલ્ય ગુરૂ ગિરીજાદેવીના વખાણ કરૂ એટલા ઓછા : વિતેલી યાદો જીવંત કરીઃ કલકત્તા રોકાવાનું થાય ત્યારે નાનામાં નાની વાતોનું ધ્યાન રાખતા હોવાની પણ ખુશી
રાજકોટ : અમદાવાદ સ્થિત આરાધના સંગીત એકેડેમીના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મોનિકાબેન શાહે ભગવાન તૂલ્ય સંગીત ગુરૂ ગિરીજાદેવીના બે મોઢે વખાણ કરી કહ્યું હતું કે, સંગીતયાત્રામાં સુમધુર સૂર રૂપ પ્રસાદની સાથે સાથે જ મા જેવી જ મીઠાશભરી મમતા પણ વરસાવી હોવાથી ગુરૂવર્યના વખાણ કરૂ એટલા ઓછા છે.
મા સહજ વત્સલ્યના... હું ખૂબ નસીબદાર છું કે મને સંગીતા ગુરુ આજે સાથે એક વાત્સલ્ય પૂર્ણ માં પણ પ્રાપ્ત થઇ હતી. વર્ષમાં ૩ થી ૪ વાર કલકત્તા બોલાવે અઠવાડિયુંથી ૧૦ દિવસ તેમના સાનિધ્યમાં રહેવાનું. જેમ મા દિકરીની દરેક વસ્તુનું ધ્યાન રાખે તેમ અમારૂં રાખે. હું આઇટીસી સંગીત રીસર્ચ એકેડમીના ગેસ્ટ હાઉસમાં રહું. સવારનો રિયાઝ કેમ કરવો તે માટે સવારે બોલાવે વચ્ચે નાના મોટા પ્રશ્નો પણ પુછે બેટા દુધ બરોબર પીતી હોના ? ફલ લેકે ખાતી હોના ? આઇટીસી મે તુમ્હારે લિયે જૈન ખાના બરાબર બનાતે હેના ? આવા અનેક પ્રશ્નો પુછે ? જાણે મારી મા નહોય ! કપડા કેવા પહેરવા, સ્ટેજ ઉપર કાર્યક્રમ આપવાનો હોય તો કેવા તૈયાર થવું ? કલાકાર સાથે વાતચીત કેમ કરવી ? વિદ્યાર્થી સાથે વાતચીત કેવી રીતે કરવી ? ગુરૂઓનો આદર કેમ કરવો ? તેમના ફેમીલીની સારસંભાળ કેમ રાખવી ? તે બધુ અમે અપ્પાજી પાસેથી શીખ્યા આજ સુધી તેમના ગુરૂજીના કુટુમ્બીજનો ને ગુરૂ દક્ષિણાનુ કવર મોકલતા હતા તેમના ગુરૂનો પરિવારની સંભાળ રાખતા હતા તેમના ગુરૂના વંશજને શિક્ષણ આપતા હતા. અને તેમને ગાયક બનાવવા માટે તત્પર રહેતા હતાં તેમના આટલાં યોગદાને મારી સંગીતિક યાત્રાને સમજણ પૂર્વક જ્ઞાનનું દાન આપવામાં ખુબ મોટો ફાળો આપ્યો છે.