Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઠંડીમાં ઝડપથી ફેલાશે કોરોના, ૬ ફૂટનું અંતર કામ નહીં આવે

તાજેતરના નિયમોનું પાલન પૂરતું નહીં હોય : તાપમાન ઓછું હોય અને ભેજ વધુ હોય ત્યાં કોરોના વાયરસના ડ્રોપલેટ્સ ૬ મીટર સુધી હવામાં ફેલાઈ શકે

લૉસ એન્જલસ,તા.૧૫ :  જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ ત્યારે એવું કહેવાતું હતું કે ઉનાળાની ઋતુમાં ગરમીમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે. પરંતુ, એવું કશું થયું નહીં. કારણકે ગરમીમાં પણ કોરોના વાયરસના ડ્રોપલેટ્સ હવામાં ફેલાઈ રહ્યા હતા. ત્યારે હવે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે શિયાળામાં કોરોના વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે. 'Nano Letters' જર્નલમાં છપાયેલા એક સ્ટડી મુજબ શિયાળામાં કોરોનાના સંક્રમણનો ખતરો વધી શકે છે.આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સના જે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તે પૂરતું નથી. કારણકે કોરોના વાયરસના ડ્રોપલેટ્સ ૬ ફૂટ કરતા વધારે અંતર સુધી ફેલાઈ શકે છે. એવી જગ્યાઓ કે જ્યાં તાપમાન ઓછું હોય અને ભેજ વધુ હોય ત્યાં આ ડ્રોપલેટ્સ ૬ મીટર સુધી ફેલાઈ શકે છે. બાદમાં તે જમીન પર પડે છે.

               આ રિસર્ચમાં જણાવ્યા મુજબ તેવામાં આ વાયરસ એક મિનિટથી લઈને એક દિવસ સુધી સંક્રમણ ફેલાઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઠંડી અને ભેજવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ વધુ હોય તે જરૂરી છે. લોકોએ એ વાત પણ સમજવાની જરૂર છે કે પોતપોતાના સ્થળના તાપમાન અને વાતાવરણના આધારે લોકોએ આ વાયરસથી બચવું પડશે. આ ડ્રોપલેટ્સ કલાકો સુધી હવામાં રહે છે અને શ્વાસ લેતી વખતે તેનું સંક્રમણ ફેલાય છે. માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે.અહીં નોંધનીય છે કે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૩૮,૮૧૬,૯૩૩ કેસ નોંધાયા છે અને કુલ ૧,૦૯૮,૦૩૭ લોકોના કોરોનાના કારણે મોત થાય છે. અત્યાર સુધીમાં કુલ ૨૯,૧૬૩,૨૮૩ લોકો કોરોના વાયરસમાંથી રિકવર થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭,૩૦૯,૧૬૪ કેસ નોંધાયા છે અને ૧૧૧,૩૩૭ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

(9:09 pm IST)