Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાણી પી રહી હતી મહિલા : નકલી દાંત ગળી જતા થયું મોત

દાંત ગળી ગયા બાદ મહિલાને ચક્કર આવવા લાગ્યા હતા અને ઉલટી થઈ હતી

ચેન્નાઇ,તા.૧૫:  ચેન્નઈમાં એક ૪૩ વર્ષીય મહિલા પાણી પી રહી હતી ત્યારે અચાનક જ તે તેનો નકલી દાંત ગળી ગઈ હતી અને તેનું મોત થયું હતું. વાલાસરાવક્કમની એસ રાજલક્ષ્મીએ પોરરની એક ખાનગી હોસ્પિટલમાં સાત વર્ષ અગાઉ પોતાના આગળના ત્રણ દાંત કઢાવીને નકલી દાંત નખાવ્યા હતા.

૪ જુલાઈએ તે ભૂલથી પોતાનો નકલી દાંત ગળી ગઈ હતી અને બાદમાં તેને ચક્કર આવવા લાગ્યા હતા અને ઉલટી થઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના ટેસ્ટ રિપોર્ટ્સ જોયા બાદ ડોકટરોને લાગ્યું હતું કે તેમાં કોઈ ચિંતાની વાત નથી અને તેમને રજા આપી દીધી હતી. પરંતુ બીજા દિવસે તે બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું મોત થયું હતું, તેમ આ કેસની તપાસ કરી રહેલા રોયલ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

મહિલાના પરિવારમાં તેમના પતિ અને બે પુત્રો છે. તેમના પતિ ખાનગી એડવર્ટાઈઝિંગ કંપનીમાં કામ કરે છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસનું માનવું છે કે સાત વર્ષ પહેલા તેમણે જે નકલી દાંત નખાવ્યો હતો તે કદાચ ઢીલો થઈ ગયો હતો અને કોરોના ટેસ્ટના કારણે તેઓ હોસ્પિટલ જવાનું ટાળતા હતા. પોલીસે ૧૭૪ કલમ (અકુદરતી મૃત્યુ) હેઠળ કેસ નોંધ્યો છે.

ઓરલ પેથોલોજિસ્ટ્સનું કહેવું છે કે દાંત ગળી જવાથી મૃત્યુ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે, જો દાંત અન્નનળીના બદલે શ્વાસનળીમાં જાય તો મૃત્યુ થઈ શકે છે. શ્વાસનળીમાં રહેલા અત્યંત કુમળા ટિસ્યુને તેનાથી નુકસાન થાય છે અને તેના પરિણામે તેમાં લોહી નીકળે છે અને મૃત્યુ થઈ શકે છે.

ટેયનામ્પેટની બાલાજી ડેન્ટલ એન્ડ ક્રેનિઓફેસિયલ હોસ્પિટલના ડોકટર એસએમ બાલાજીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કૃત્રિમ દાંત એક્રેલિકના બનેલા હોય છે અને તેમાં મેટલ કલેસ્પ હોય છે જેના કારણે તે ગળી જવામાં આવ્યા ત્યારે નુકસાન થવાની શકયતા રહેલી હોય છે. જોકે, મહિલાના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવે છે તેના પરથી જ મૃત્યુનું કારણ જાણી શકાશે. જોકે, જે કોઈ પણ ચોકઠુ પહેરતા હોય તેમણે નિયમિત રીતે ડેન્ટિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

(10:21 am IST)