Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આજે વધુ ૩૧ હોમાયાઃ બે દિ'માં ૬૭ કોરોના ભરખી ગયો

ગઇકાલ સવારના ૮ વાગ્યા થી આજે તા.૧૪ના સવારના ૮ વાગ્યા સુધીમાં શહેરમાં ૨૪, જીલ્લામાં ૪ તથા અન્ય જીલ્લાનાં ૩ દર્દીઓએ દમ તોડયો : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૧૪ : સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે  ત્યારે તેમા રાજકોટ પણ બાકાત રહ્યુ નથી. શહેરમાં સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૩૧દર્દીઓનો ભોગ લેવાઇ જતા ફફડાટ ફેલાયો  છે. તે સાથે છેલ્લા ૨  દિવસમાં મૃત્યુઆંક ૬૭ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૧ તથા અન્ય જીલ્લામાં એકપણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૩નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૪ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૩૧ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે જ દિવસમાં કોરોનાએ ૬૭ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(3:12 pm IST)