Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઓસ્‍ટ્રેલીયાના મેલબોર્નમાં વધુ એક હિન્‍દુ મંદિર બનાવાશેઃ ગુજરાતના 600થી વધુ શિલ્‍પકારો શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ કરશેઃ વિદેશી ધરતી ઉપર એક હજાર વર્ષ સુધી મંદિર ટકી રહે તેવી રીતે નિર્માણ કરાશે

1500 ટન રાજસ્‍થાની માર્બલનો ઉપયોગ કરાશેઃ ગુજરાથી પથ્‍થરો મોકલાશેઃ લોખંડ અને સિમેન્‍ટ નહીં વપરાય

વિદેશની ધરતી પર અનેક ભવ્ય હિન્દુ મંદિરો બનતા રહે છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, આફ્રિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી છે, ત્યાં મંદિરો બનાવાયા છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વધુ એક આલિશાન હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મેલબોર્ન ખાતે શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ કરાશે. જેના માટે ગુજરાતના 600 થી વધુ શિલ્પકારો આ મંદિરને તૈયાર કરશે.

મંદિરોના નિષ્ણાત અને જાણીતા શિલ્પકાર રાજેશ સોમપુરાના માર્ગદર્શન અંતર્ગત આ જિનાલય તૈયાર કરવામાં આવશે. પરંતુ મેલબોર્નમાં તૈયાર થનારા આ મંદિરની અનેક ખાસિયત છે. વિદેશી ધરતી પર એક હજાર વર્ષ સુધી આ મંદિર ટકી રહે તે રીતે આ જૈન મંદિર તૈયાર કરવામાં આવશે. ત્રણ વર્ષમાં આ જિનાલય બનીને ઉભુ થઈ જશે. આ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યાનું રામ મંદિર પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેલબોર્નના જિનાલયને તૈયાર કરવા પણ જલ્દી જ શિલ્પીઓ ત્યાં જશે.

જિનાલયની ખાસિયત

- જિનાલયના બાંધકામ માટે 1500 ટન રાજસ્થાન માર્બલનો ઉપયોગ કરાશે

- જિનાલયમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ નહિ કરાય

- જિનાલય માટેના પત્થર ગુજરાતથી મેલબોર્ન મોકલાશે

એકવાર તૈયાર થઈ ગયા બાદ આ જિનાલય ઓસ્ટ્રેલિયાનું સૌથી ઉંચુ શિખરબદ્ધ જિનાલય બની જશે. તાજેતરમાં જ જિનાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. તેના બાદ અત્યાર સુધી 30 ટકા જેટલી કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. પ.પૂ. જગવલ્લભસૂરીશ્વરજી મહારાજની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

(4:01 pm IST)