Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

નામ પુછીને રાહુલની હત્યા કરાઈ હોવાનો પિતાનો આરોપ

કાશ્મીરી પંડિત રાહુલ ભટની અંત્યેષ્ટી કરાઈ : રાહુલની હત્યા બાદ શોકનો માહોલ, તેમના પત્ની અને મા સમજી નથી શકતા કે તેમની સાથે આવું શા માટે થયું?

જમ્મુ, તા.૧૩ : જમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા પછી આજે જમ્મુમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને લોકોમાં આતંકી કૃત્ય સામે ગુસ્સો પણ છલકાઈ રહ્યો હતો. આતંકીઓની ગોળીનો શિકાર બનેલા રાહુલ ભટના પિતાએ આરોપ લગાવ્યો કે તેમના દીકરાનું નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે રાહુલના મિત્રો અને અન્ય સમુદાયના બાકી લોકો આ ઘટનાથી ભારે આઘાતમાં સરી પડ્યા છે. તેમના મનમાં સવાલ છે કે હવે તેમણે અહીં રહેવું ના જોઈએ.

રાહુલ ભટની હત્યા બાદ તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ છે. તેમના પત્ની અને મા સમજી નથી શકતા કે તેમની સાથે જ આવું શા માટે થયું? જ્યારે પિતા પણ ભારે આઘાતમાં છે. રાહુલના પિતા બિટ્ટાજી ભટે જણાવ્યું કે રાહુલ તેમના બીમાર કાકીને જેવા માટે ૮ દિવસ પહેલા જમ્મુ આવ્યા હતા. તેઓ ત્યાં ૪ દિવસ રોકાયા અને બડગામથી ફોન આવ્યો તો તેઓ પરત જતા રહ્યા હતા. દીકરાને ગુમાવનારા બિટ્ટાજી ભટે ભીની આંખે કહ્યું, બધું જ ખતમ થઈ ગયું. હવે બોલવા માટે બચ્યું જ શું છે! માતા-પિતાનો સહારો જ જતો રહ્યો.

રાહુલના પિતાએ કહ્યું, આતંકીઓ ઓફિસમાં આવીને તેમનું નામ પૂછીને ગોળી મારી કે રાહુલ ભટ કોણ છે? ત્યાં ચાર લોકો આવ્યા હતા. તેમણે પૂછ્યું કે રાહુલ ભટ કોણ છે અને તેમણે જવાબ આપ્યો કે હું રાહુલ ભટ, આવી જાવ શું કામ છે? આ પછી આતંકીઓએ તેમને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. વહીવટી તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા બિટ્ટાજીએ કહ્યું, *શ્રીનગરથી કોઈએ જહેમત કરી નહીં, ડીસી કે પછી કમસે કમ એસએસપી કંઈક બોલ્યા હોત તો સારું લાગતું.*

રાહુલ ભટના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહુલ ભટના અંતિમ સંસ્કાર જમ્મુના બનતાલાબમાં થયા. આ દરમિયાન એડીજીપી, જમ્મુ મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર, ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ અંતિમ વિદાય આપી હતી.

અંતિમ સંસ્કાર દરમિયાન એક વ્યક્તિ કહ્યું, મારો દોસ્ત છે રાહુલ ભટ, અમે આઘાતમાં છીએ. આખા સમુદાયમાં ગુસ્સો છે. લોકોના મનમાં સવાલ છે કે અમારે કાશ્મીરમાં રહેવું જોઈએ કે નહીં? બહાર રહેતા અમારા સમુદાયના લોકો કહે છે કે જ્યાં સુધી કાશ્મીરમાં આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અહીં કોઈ આવવાનું નથી. જે લોકો આવે તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

રાહુલ ભટની હત્યા પર જમ્મુ કાશ્મીરના લોકો અલગ-અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અનંતનાગમાં કાશ્મીરી પંડિત કર્મચારી એસોસિએશનના સભ્યો ચડૂરા તાલુકા ઓફિસ કર્મચારી રાહુલ ભટની હત્યા પર ન્યાયની માંગ કરી રહ્યા છે. બડગામના શેખપુરામાં કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમિત નામના એક કાશ્મીરી પંડિતે કહ્યું, વહીવટી તંત્રએ અમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ, નહીં તો સામુહિક રીતે અમારા પદો પરથી રાજીનામું આપી દઈશું.

(7:24 pm IST)