Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરોના કહેર વચ્ચે IPL - 2022 ભારતમાં નહીં દક્ષિણ આફ્રિકા અથવા શ્રીલંકામાં રમાઈ શકે

BCCI વર્તમાન પ્રવાસ પર ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓથી અત્યંત પ્રભાવિત

મુંબઈ :ભારતમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જો આવનારા મહિનાઓમાં આ સંખ્યામાં સુધારો નહીં થાય, તો બીસીસીઆઈ  IPL 2022 દક્ષિણ આફ્રિકામાં યોજવાની વિચારણા કરી રહ્યં છે, જ્યાં ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, BCCI વર્તમાન પ્રવાસ પર ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓથી અત્યંત પ્રભાવિત છે. ભારતમાં ઇવેન્ટનું આયોજન કરવા માટે જો બીસીસીઆઈ અસમર્થ રહે છે તો ભારતીય ક્રિકેટ બોર્ડ રેઈનબો નેશનને એક સક્ષમ વિકલ્પ તરીકે જોઈ રહ્યું છે. ભારતમાં ચૂંટણીને કારણે 2009માં પણ દક્ષિણ આફ્રિકાએ T20 લીગનું હોસ્ટિંગ કર્યું હતું.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકા પણ લીગની યજમાની કરવા માટે BCCI માટે પ્લાન Bનો ભાગ છે. લખનઉ અને અમદાવાદ બે નવી ટીમોના ઉમેરા સાથે આગામી સિઝન અત્યાર સુધીની સૌથી લાંબી સિઝન હોવાની અપેક્ષા છે. છેલ્લી બે સિઝનમાં બીસીસીઆઈએ કોવિડ-19 કેસમાં વધારો થયા પછી ટૂર્નામેન્ટને યુએઈમાં યોજી હતી. જોકે બોર્ડ આ વખતે IPLની યજમાની માટે નવા દેશની શોધમાં છે.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર BCCI અધિકારીએ જણાવ્યુ કે, અમે હંમેશા UAE પર નિર્ભર રહી શકતા નથી, તેથી અમે વધુ વિકલ્પો માટેની વિચારણા કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ આફ્રિકાના સમયનો તફાવત પણ ખેલાડીઓ માટે સારી રીતે કામ કરે છે. રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની વ્યવસ્થાથી ભારતીય ક્રિકેટ બોર્ડ ખુશ છે.

એક અધિકારીએ જણાવ્યું કે, બીજી ટેસ્ટ માટે ટીમ જ્યાં રોકાઈ હતી તે જગ્યા મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં વૉકિંગ ટ્રેક પણ છે અને તે ખેલાડીઓ માટે સુવિધા પૂર્ણ રહ્યું, કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા વિદેશી પ્રવાસો પર આ ખેલાડીઓ રૂમમાં મર્યાદિત છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, બોર્ડે મહારાષ્ટ્રમાં આખી લીગનું આયોજન ચાર સ્થળોએ કરવાનું આયોજન કર્યું હતું. મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ અને વાનખેડે સ્ટેડિયમ, નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્ટેડિયમ અને નજીકના ગહુંજેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આ ચાર સ્થળોએ આયોજન કરવા માટેની વિચારણા કરવામાં આવી હતી. જોકે વધી રહેલા કોરોનાના કેસોને કારણે રણજી ટ્રોફી અને મહિલા T20 લીગ અને સ્થાનિક અંડર-19 કૂચ બિહાર ટ્રોફી સ્થગિત થવાને કારણે, BCCIને IPL 2022નું શેડ્યૂલ ફરીથી રિડ્રો કરવાની ફરજ પડી છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, આઈપીએલનું આગામી એડિશન ભારતમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ક્રિકેટ બોર્ડ તમામ પ્રયાસો કરશે. જોકે કોઈ સત્તાવાર તારીખો નક્કી કરવામાં આવી નથી. IPL 2022 એપ્રિલની શરૂઆતમાં યોજાવાની અપેક્ષા છે, ફેબ્રુઆરીની શરૂઆતમાં હરાજી પણ થશે.

શુક્લાએ મંગળવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં થાય. પરંતુ અમે માર્ચમાં આ મામલે કોવિડની સ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીશું.

(9:08 pm IST)