Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અયોધ્યા મંદિર માટે અલીગઢના દંપત્તીએ ૪૦૦ કિલોનું તાળું બનાવ્યું

અગાઉ દંપત્તીએ ૩૦૦ કિલોનું તાળું બનાવ્યું હત ું: તાળાની લંબાઈ ૧૦ ફૂટ અને પહોળાઈ ૬ ફૂટ, તાળાને ૩૦ કિલો વજનની ચાવી વડે ખોલી અને બંધ કરી શકાશે

અલીગઢ, તા.૧૩ : ઉત્તર પ્રદેશનું અલીગઢ સમગ્ર વિશ્વમાં તાળા બનાવવા માટે પ્રખ્યાત છે. ત્યાં રહેતા એક વૃદ્ધ દંપતીએ અગાઉ ઓર્ડર પર ૩૦૦ કિગ્રા વજનનું એક મોટું તાળું બનાવ્યું હતું અને હવે તેના કરતાં પણ વિશાળ ૪૦૦ કિગ્રા વજનનું તાળું બનાવી નાખ્યું છે. આ વિશ્વનું સૌથી મોટું તાળું માનવામાં આવે છે. આ તાળાને અલીગઢની રાજકીય ઔદ્યોગિક અને કૃષિ પ્રદર્શનીમાં રાખવામાં આવ્યું છે. પ્રદર્શનીમાં આવનારા લોકો આ વિશાળ તાળાને જોઈને ચોંકી ઉઠ્યા છે. વૃદ્ધ દંપતીના કહેવા પ્રમાણે તેઓ આ વિશાળ તાળાને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ભેટ આપવા માગે છે.

અલીગઢ જ્વાલાપુરીના રહેવાસી સત્યપ્રકાશે પોતાના પત્ની રૃક્મણી સાથે મળીને વિશ્વનું સૌથી મોટું તાળું બનાવી નાખ્યું છે. તેની લંબાઈ ૧૦ ફૂટ અને પહોળાઈ ૬ ફૂટ છે. આ સાથે જ તાળાનું વજન ૪૦૦ કિગ્રા છે. આ તાળાને ૩૦ કિલો વજનની ચાવી વડે ખોલી અને બંધ કરી શકાશે અને આ ચાવીની લંબાઈ ૪ ફૂટ છે. આશરે ૧ લાખ રૃપિયાના ખર્ચે બનેલા આ તાળાને તૈયાર કરવામાં ૬ મહિનાનો સમય લાગ્યો હતો અને તેના પર રામદરબારની આકૃતિ પણ ઉપસાવવામાં આવી છે.

રૃક્મણી દેવી શર્માના કહેવા પ્રમાણે તેમની ઈચ્છા હતી કે, તેઓ રામ મંદિર માટે તાળું બનાવે. તેમના પતિ હાર્ટ પેશન્ટ હોવાથી આ તાળું બનાવવામાં વધારે સમય લાગ્યો છે. તેમનો પરિવાર છેલ્લા ૪૦ વર્ષથી તાળા બનાવવાની કારીગરી સાથે સંકળાયેલો છે. લોકો આ તાળાની સાથે તેમના જોડે પણ સેલ્ફી લઈ રહ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

સત્યપ્રકાશના કહેવા પ્રમાણે આ તાળાને અયોધ્યા મોકલતા પહેલા બોક્સ, લીવર વગેરે પિત્તળમાંથી તૈયાર કરવામાં આવશે અને તાળા પર સ્ટીલની સ્ક્રેપ શીટ લગાવવામાં આવશે જેથી તેના પર કાટ ન લાગે. આ માટે તેમને વધારે રૃપિયાની જરૃર પડશે જેથી તેઓ લોકો પાસેથી મદદ પણ માગી રહ્યા છે.

સત્યપ્રકાશ ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પરેડ યોજાય છે તેમાં આ વિશાળ તાળાની ઝાંખી કાઢવા માગે છે. આ માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો છે. એટલું જ નહીં, આ માટે તેમણે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત પણ લીધી છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા છે.

(7:21 pm IST)