Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સોમવાર સુધીમાં ઘર ખરીદનારાઓને પૈસા પરત કરતો અથવા જેલમાં જવા તૈયાર રહોઃ નોઇડાના સુપરટેકના ટ્‍વિન ટાવર કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટની ફટકાર

કોર્ટે નોઇડા ઓથોરિટીને વધારાના દસ્‍તાવેજો અને એફિડેવિટ ફાઇલ કરવા તથા 40 માળના ટ્‍વિન ટાવરને તોડી પાડવાની સ્‍થિતિથી વાકેફ કરવા કહ્યુ

નવી દિલ્હીઃ નોઈડામાં સુપરટેકના ટ્વિન ટાવર કેસની સુનાવણી દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટે કંપનીને ફટકાર લગાવી અને આદેશનું પાલન ન કરવા બદલ ડિરેક્ટરોને જેલમાં મોકલવા કહ્યુ. કોર્ટે કહ્યું કે કંપનીએ આદેશ મુજબ સોમવાર સુધીમાં ઘર ખરીદનારાઓને પૈસા પરત કરવા જોઈએ. એક યા બીજા બહાને કોર્ટના આદેશની અવગણના કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આવું થાય, તો તેના ગંભીર પરિણામો આવશે.

કોર્ટે નોઇડા ઓથોરિટીને વધારાના દસ્તાવેજો અને એફિડેવિટ ફાઇલ કરવા અને 40 માળના ટ્વીન ટાવરને તોડી પાડવાની વર્તમાન સ્થિતિથી વાકેફ કરવા જણાવ્યું હતું. સોમવારે આ મુદ્દે ફરી સુનાવણી હાથ ધરાશે. કેટલાક ખરીદદારોએ સુપરટેક પર નાણાં પરત ન કરવા અને ઓછા ચૂકવણી કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજીઓ દાખલ કરી હતી. બુધવારે આ મામલો જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેંચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. સુનાવણી પર આવતા કોર્ટે સુપરટેકના વકીલને કહ્યું કે શું થઈ રહ્યું છે. અમે તમારા નિર્દેશકોને જેલમાં મોકલીશું.

ખરીદદારોના વકીલોએ કહ્યું કે તેમને પહેલા પૈસા લેવા માટે બોલાવવામાં આવ્યા હતા, પછી કહ્યું કે પૈસા હપ્તે હપ્તે પરત આપવામાં આવશે. કોર્ટના આદેશ મુજબ તેમને પૈસા આપવામાં આવતા નથી. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે તમે કોર્ટના આદેશની અવગણના કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. કોર્ટે મૌખિક રીતે કહ્યું કે, તમે સોમવાર સુધીમાં પૈસા પરત કરો, નહીં તો તેના ગંભીર પરિણામ આવશે.

ટ્વીન ટાવર તોડી પાડવાના કેસમાં નોઈડા ઓથોરિટીના વકીલે કોર્ટને જણાવ્યું કે સુપરટેકે અગાઉ એક એજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. ઓથોરિટીએ તેને મંજૂરી માટે સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને મોકલી હતી. ત્યાર બાદ સુપરટેકે અન્ય એક એજન્સીની દરખાસ્ત મોકલી છે, તેથી તેનું પાલન કરવામાં વિલંબ થઈ રહ્યો છે. સુપરટેકના વકીલે કહ્યું કે નોઈડા ઓથોરિટી બે પૈકી કોઈપણ એજન્સી દ્વારા ડિમોલિશનનું કામ કરાવી શકે છે. આના પર કોર્ટે નોઈડા ઓથોરિટીને નિર્દેશ આપતાં આ મામલાની સુનાવણી 17 જાન્યુઆરીએ કરવાનો આદેશ આપ્યો હતો.

(5:26 pm IST)